આશિષ ચૌહાણ/સરફરાઝ શેખ, અમદાવાદઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. પરંતુ આ વચ્ચે શહેરમાં આવી મજૂરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા પરપ્રાંતિયો પર આફતના પહાડ તૂટી પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાવાનું નહીં, ખિસ્સામાં પૈસા નહીં અને પરિવારથી સેંકડો કિલોમીટર દૂર હોવાથી તેઓ હવે પોતાના ઘર તરફ પાછા વળી રહ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:રવિન્દ્ર યાદવ નામનો એક યુવાન ઓઢવમાં એક ફર્નિચર ફેક્ટરીમાં કામ છે, તે ખિસ્સામાં માત્ર 12 રૂપિયા સાથે અમદાવાદથી યુપીના બારાબંકી જવા નીકળ્યો છે. યાદવ કહે છે, અમે સાંભળ્યું છે કે સરકાર અને NGO નજીકની બોર્ડર સુધી પહોંચવામાં અમને મદદ કરશે. શેઠે અમને કહી દીધું છે કે હવે અહીં કોઈ કામ કે પગાર નથી. આથી આ અમારી પાસે અંતિમ આશા છે. હું જાણું છું કે ઘર સુધીની સફર સરળ નહીં હોય પરંતુ હું મજૂર છું અને ખોરાક માટે ભીખ માગવા નથી ઈચ્છતો.મંગળવારે જ્યારથી સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન અને બસ સહિતની તમામ ટ્રાવેલિંગની સેવાઓ બંધ કરી દેવાઈ છે. એવામાં હજારો પરપ્રાંતિય મજૂરો પોતાના ઘર તરફની લાંબી મુસાફરી માટે ચાલતા જ નીકળી ગયા હતા. તેઓ હેડલાઈનમાં આવી જતા પોલીસ, NGO અને અન્ય લોકો તેમને મદદ કરીને નજીકની બોર્ડર પોસ્ટ સુધી મૂકવા તથા ફૂડ પેકેટ્સ આપવાના કામમાં જોડાઈ ગયા છે. જોકે ત્રણ અઠવાડિયા સુધીના લોકડાઉન અને કામ મળવાની અનિશ્ચિતતાથી મોટાભાગના મજૂરોએ આ મુશ્કેલ સમયમાં પોતાના પરિવાર પાસે જવાનું નક્કી કર્યું હતું.આવા જ અન્ય એક મજૂર 32 વર્ષના રામ પ્રસાદ કોરી છે, જે ખુલ્લા પગે ઉન્નાવ જવા નીકળ્યા છે. તેમણે કમર પર રૂમાલ બાંધ્યો છે અને ખીસ્સામાં તૂટેલા ચપ્પલ છે. રામ પ્રસાદને ગામડામાં પત્ની અને ત્રણ સંતાનો છે. તે કહે છે, ‘મારી પાસે નવા સ્લીપર ખરીદવાના પૈસા નથી. મેં પ્રાર્થના કરતા મારૂં ઘર છોડ્યું છે અને પરિવાર સાથે મળવાની આશા લઈને નીકળ્યો છું. તે આગળ કહે છે, જો તે અથવા હું મરી જાઉં તો શું થશે. હું મારા પરિવાર સાથે રહેવા માગું છું, કોઈની દયા પર જીવવા નથી માગતો.’ આ સાથે વ્હીલચેરમાં બેઠેલો સુનિલ ગામિત નામનો દિવ્યાંગ યુવાન પણ પોતાના પરિવાર સાથે દાહોદમાં પાછો જવા માગે છે. સુનિલ કહે છે, મારી બહેન પ્રાઈમરી સ્કૂલમાં કામ કરે છે, પરંતુ તે બંધ થઈ ગઈ છે અને તેને પગાર પણ નથી અપાયો. આથી અમે પોતાના ગામમાં પાછા જવા માગીએ છીએ.મજૂરો અને પરપ્રાંતીયોની પોતાના ઘરે જવા લાંબી કતારોથી અધિકારીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. જો તેમાંથી કોઈને કોરોના વાયરસનું સંક્રમણ હશે તો તે ગામડાઓમાં થઈને સમગ્ર દેશમાં ફેલાઈ શકે છે. આથી DCP ઝોડ-5 રવિ તેજાએ મજૂરોને અહીં જ રોકાવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. DCP ઝોન-4ના નીરજ બડગુજ્જરે પણ મજૂરોને અહીં રોકાઈ તેમનું ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ કોઈપણ કિંમતે પાછા જવા માગે છે. આ મામલે સીએમ વિજય રૂપાણીએ પરપ્રાંતિયો તથા મજૂરોને અપીલ કરતા તેઓ જ્યાં છે ત્યાં જ રોકાવાનું કહીને, સરકાર તેમને ઘર અને ફૂડની વ્યવસ્થા પૂરી પાડશે તેવું આશ્વાસન આપ્યું હતું.