એપશહેર

જગન્નાથજી મંદિરે આજે ખલાસ ભાઇઓની હાજરીમાં દોરડા પૂજન

I am Gujarat 5 Jul 2016, 3:22 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat jyotish astrology 79
જગન્નાથજી મંદિરે આજે ખલાસ ભાઇઓની હાજરીમાં દોરડા પૂજન


ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળભદ્રજીનાં રથને ખેંચવા માટે 1200 જેટલા ખલાસભાઇઓ દર વર્ષે જોડાય છે અને તેઓ ‘રથયાત્રામાં પ્રારંભથી પૂર્ણાહુતિ સુધી રથને હેમખેમ પરત લાવવાની જવાબદારી સ્વીકારે છે ત્યારે તેઓ દરેક સ્થિતિ માટે સજ્જ પણ હોય છે. ઉલ્લેખનીય છે કે ખલાસ ભાઇઓની ઉપસ્થિતિમાં મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ મંગળવારે સવારે 9 વાગ્યે ‘દોરડા પૂજન’ કરશે. જ્યારે મહંતશ્રીએ પણ અપીલ કરી છે કે રથ ખેંચતા ખલાસભાઇઓને વાગતું હોવાથી છુટ્ટા શ્રીફળ ન ફેંકવા.

જગન્નાથજી મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે રથયાત્રા નિમિત્તે નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે અને જે પણ રથયાત્રા દરમિયાન રથનું પૂજન તો થાય જ છે, તે પૂર્વે દોરડાનું પણ વિધિવત્ પૂજન-અર્ચન કરવામાં આવે છે. ખાસ કરીને રથનાં દોરડાં બાંધવાનાં ખીલાનું પૂજન કરીને ચારે દિશામાં દેવી-દેવતાઓનું પૂજન પણ કરવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પૂજન-વિધિ સંપન્ન થાય છે અને પછી જ નિજ મંદિરની બહાર રહેલાં રથને અંદર લાવવામાં આવે છે ત્યારબાદ શુભમુહૂર્તમાં રથનું પૂજન કરવામાં આવે છે. જોકે, રથયાત્રા દરમિયાન ખાસ કરીને અબીલ-ગુલાલ-ચોખા પણ લોકો ભગવાનને વધાવવા માટે ફેંકતા હોય છે, પરંતુ છુટ્ટા શ્રીફળ ન ફેંકે જેનાથી તેઓને કોઇ ઇજા ન પહોંચે કેમકે, રથને હેમખેમ નિજ મંદિર પરત લાવવાની જવાબદારી ખલાસ ભાઇઓની હોય છે.

મહેન્દ્રભાઇ ખલાસે જણાવ્યું કે મારી આ 46મી રથયાત્રા છે ત્યારે અમે પણ શ્રદ્ધાળુઓને વિનંતી કરીએ છીએ કે છુટ્ટા શ્રીફળ ન ફેંકવા, જેને બાધા-માનતા હોય તેઓ અમને શ્રીફળ આપે તો વધેરીને અમે તેમને પ્રસાદ માટે પરત આપીએ છીએ. આ રથયાત્રામાં ભાગ લેવા માટે અમદાવાદ ઉપરાંત ભરૂચ, વડોદરા, નડિયાદ, સુરતથી માંડીને મુંબઇથી પણ ખલાસ ભાઇઓ આવે છે અને નિયમિત રીતે અમેરિકાથી પણ ખલાસભાઇ આવે છે, પરંતુ આ વર્ષે તે આવી શકવાનો નથી.

બાળકોને સુભદ્રાજીના દર્શન કરાવવા પડાપડી થતી હોય છે મહેન્દ્રભાઇ ખલાસે જણાવ્યું કે શ્રદ્ધાળુઓ રથ ઉપર પુષ્પ-ચોખાથી વધામણી કરતાં હોય છે ત્યારે સુભદ્રાજીને બાધા-માનતાની સાડી અર્પણ કરતાં હોય છે તો અનેક શ્રદ્ધાળુઓ બાળકોને દર્શન કરવા માટે પણ લઇ આવતા હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો