એપશહેર

એર ઈન્ડિયાએ જાણી-જોઈને પોતાનું પ્લેન મોડું ઉપાડીને બચાવ્યો ચાર વ્યક્તિઓનો જીવ

એર ઈન્ડિયાએ જયપુરથી દિલ્હી આવતી પોતાની ફ્લાઈટને જાણી-જોઈને મોડી કરી અને દિલ્હીમાં ઓર્ગન્સની રાહ જોઈ રહેલા ચાર દર્દીઓનો જીવ બચાવ્યો.

Written bySaurabh Sinha | TNN 29 Nov 2020, 6:00 pm
નવી દિલ્હી: સમય પાલનમાં એર ઈન્ડિયાના ઘણા ઓછા વખાણ થાય છે, પરંતુ ગત શનિવારે એર ઈન્ડિયાએ ફ્લાઈટ મોડી પડી, બધાએ તેના વખાણ કર્યા. હકીકતમાં એર ઈન્ડિયાએ જાણી-જોઈને પોતાની ફ્લાઈટ મોડી કરી અને ચાર વ્યક્તિઓના જીવ બચાવી લીધા. વાત જાણે એમ છે કે, જયપુરથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હીના ચાર દર્દીઓ માટે ઓર્ગન્સ લઈ જવાના હતા. આ ઓર્ગન્સ જયપુરની 49 વર્ષની એક મહિલાએ પોતાના ફેફસાં, એક કિડની અને એક લિવર ડોનેટ કર્યા હતા. દિલ્હીમાં ગંભીર રીતે બીમાર ચાર દર્દીઓ આ ઓર્ગન્સ સમયસર પહોંચે તેની રાહ જોઈ રહ્યા હતા. એર ઈન્ડિયાએ પોતાની ફ્લાઈટ સમયસર ઉપડવા તૈયાર હોવા છતાં આ ઓર્ગન લેવા માટે રાહ જોઈ હતી અને ઓર્ગન્સને સમયસર દિલ્હી પહોંચાડ્યા હતા અને એ રીતે ચાર વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા.
I am Gujarat Air India


શનિવારે જયપુરથી દિલ્હી જતી એર ઈન્ડિયાની પહેલી ફ્લાઈટમાં જ આ ઓર્ગન્સ જતા રહે તે માટે રાજસ્થાન મુખ્યમંત્રી કાર્યાલય, સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO), એરલાઈન્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને જયપુર એરપોર્ટ વચ્ચે કો-ઓર્ડિનેશનથી કામ થઈ રહ્યું હતું. એર ઈન્ડિયાની સ્થાનિક સબસિડરી એલાયન્સ એરનું પ્લેન જયપુરથી સવારે 8.15 કલાકે દિલ્હી જવા ઉપડવાનું હતું.

સવારે પ્લેનમાં બધા મુસાફરો બેસી ગયા હતા અને પ્લેન ઉપડવાની રાહ જોઈ રહ્યા હતા. પ્લેન ઉપડવાની જાહેરાત થયા બાદ એર ઈન્ડિયા અને એલાયન્સ એર મેનેજમેન્ટે ફ્લાઈટ મોડી ઉપાડવાનો નિર્ણય લીધો. એલાયન્સ એરના અધિકારીઓએ જણાવ્યું કે, 'જ્યારે મુસાફરોને જાણ થઈ કે કયા કારણસર પ્લેન મોડું ઉપાડવાનો નિર્ણય લેવાયો છે તો તેઓ પણ શાંતિથી ઓર્ગન્સ અને મેડિકલ જયપુર એરપોર્ટ પહોંચે તેની રાહ જોવા લાગ્યા. ઓર્ગન્સ કાઢવાની સર્જરી જયપુરની એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જેમાં ફેફસાં, કિડની અને લિવર કાઢવામાં આવ્યા હતા અને તેના કારણે મોડું થયું હતું. લગભગ 30 મિનિટ્સમાં ડોક્ટરોની ટીમ, પેરામેડિકલ સ્ટાફ ડોનરના બે ફેફસાં, એક લિવર અને એક કિડની લઈને પ્લેનમાં પહોંચ્યા અને તે પછી 9.28 કલાકે પ્લેન ઉપડ્યું હતું.'

એલાયન્સ એરના સીઈઓ હરપ્રીત એ ડી સિંહે તેમની ટીમને આ કામ માટે બિરદાવી હતી. તેમણે કહ્યું કે, 'આ લાઈફ-સેવિંગ ફ્લાઈટનો ભાગ બનીને અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. એલાયન્સ એરનો ઉદ્દેશ્ય બિઝનેસના લક્ષ્યો અને સામાજિક જવાબદારી પૂરી કરવાની સાથે સલામત અને કુશળ કામગીરીથી રિજનલ કનેક્ટિવિટીને વધારવાનો છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો