મુંબઈ:સ્પેશિયલ કોર્ટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ની આગેવાની હેઠળની15 બેન્કોના કોન્સોર્ટિયમને ફરાર ઉદ્યોગપતિ વિજય માલ્યાની અસ્થાયી મિલકતોનો ઉપયોગ કરીને ઋણ વસૂલવાની છૂટ આપી છે. આ એસેટ્સમાં યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (યુબીએચએલ)ના શેરોનો સમાવેશ થાય છે. તેને સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ દ્વારા 2016માં ટાંચમાં લેવામાં આવ્યા હતા. આ કોર્ટે માલ્યાને ગુનેગાર જાહેર કર્યો હતો. ક્રિમિનલ પ્રોસિઝર કોડ હેઠળ કોર્ટ જ્યારે કોઈ વ્યક્તિને ગુનેગાર જાહેર કરે ત્યારે તેની અસ્થાયી મિલકતો જપ્ત કરી શકે છે. ગુનેગાર સામે વોરંટ જારી કરવામાં આવ્યું હોય અને કોર્ટ માનતી હોય કે તે વ્યક્તિ ભાગેડુ છે અથવા તો વોરંટની અમલ બજાવણી ટાળી રહ્યો છે તો તેને કોર્ટ દ્વારા ફરાર જાહેર કરવામાં આવે છે. બેન્કોના કોન્સોર્ટિયમે સ્પેશિયલ કોર્ટ સમક્ષ ખાસ અરજી કરી હતી કે તેમની પડતર લોન માલ્યાની અસ્થાયી મિલકતોમાંથી વસૂલવાની છૂટ આપવામાં આવે. કોન્સોર્ટિયમ વતી હાજર થયેલા વરિષ્ઠ વકીલ રાજીવ પાટિલે જણાવ્યું હતું કે મંગળવારે સ્પેશિયલ કોર્ટે અસ્થાયી અસ્કામતો પરની ટાંચ ઉઠાવી લીધી હતી. કોર્ટનો મનાઈહુકમ18 જાન્યુઆરી સુધીનો છે, તેના લીધે સક્ષમ પક્ષકારો બોમ્બે હાઈ કોર્ટમાં અપીલ કરી શકશે. માલ્યા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અમિત દેસાઈએ જણાવ્યું હતું કે કોર્ટે યુબીએચએલના શેર જેવી એસેટ્સ પરથી તેની ટાંચ ઉઠાવી છે. પણ અમે જાણતા નથી કોર્ટે જારી કરેલો આદેશ એસબીઆઇ માટે છે અથવા તો કોન્સોર્ટિયમ માટે છે. અમે વધારે સ્પષ્ટતા માટે આ આદેશની નકલની રાહ જોઈ રહ્યા છીએ. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા મની લોન્ડરિંગના આરોપી માલ્યા માર્ચ 2016માં ભારત છોડી ભાગી ગયા હતા અને હાલમાં તે લંડનમાં છે. આ અરજીમાં ધિરાણદારોએ જણાવ્યું હતું કે તેઓ ₹6,000 કરોડથી વધારે રકમના દાવાની પતાવટ માટે એસેટ્સ લિક્વિડેટ કરવા માંગે છે.
બેંકોને અબજોમાં નવડાવી ફરાર થયેલા માલ્યા પાસેથી હવે આ રીતે વસૂલી થશે
I am Gujarat 2 Jan 2020, 12:01 pm