એપશહેર

હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ બેંકોને 4800 કરોડનો ચૂનો લગાવ્યો

હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની IVRCLના ડિરેક્ટર અને જોઈન્ટ ડિરેક્ટર સામે બેંકો સાથે 4,800 કરોડ રૂપિયાનું ફ્રોડ કરવાનો કેસ નોંધાયો છે.

Agencies 30 Dec 2020, 11:29 pm
નવી દિલ્હી: સીબીઆઈએ બુધવારે હૈદરાબાદની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની IVRCL અને તેના મેનેજિંગ ડિરેક્ટર સુધીર રેડ્ડી અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર આર બાલારામી રેડ્ડી સામે બેંકો સાથે 4,800 કરોડ રૂપિયાથી વધુનો ફ્રોડ કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, તપાસ એજન્સીએ કંપનીની ઓફિસ અને બંને આરોપીઓના ઘરો પર સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું.
I am Gujarat IVRCL


સીબીઆઈના પ્રવક્તા આર સી જોશીએ કહ્યું કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદના આધારે હૈદરાબાદની કંપની અને તેના ડિરેક્ટરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, 'આરોપ લગાવાયો છે કે આરોપીઓએ અન્ય અજાણ્યા લોક સેવકો અને અન્યો સાથે મળીને જાહેર ક્ષેત્રની બેંકો સાથે ફ્રોડ કર્યું, જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈ બેંક, કેનેરા બેંક, આંધ્ર બેંક, કોર્પોરેશન બેંક, એક્ઝિમ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સામેલ છે. તેને પગલે આ બેંકોને કુલ 4,837 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું.'

સીબીઆઈએ આરોપ લગાવ્યો કે, કંપનીએ બેંકો પાસેથી લીધેલી લોનના હપ્તા ન ભરીને છેતરપિંડી કરી. સીબીઆઈએ કહ્યું કે, કંપનીએ કન્સર્ટિયમ મેમ્બર્સ પાસેથી ક્રેડિટ ફેસિલિટી લીધી અને લોન પાછી ભરપાઈ ન કરીને છેતરપિંડી કરી. જોશીએ કહ્યું કે, 'ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના આધારે એવો પણ આરોપ મૂકાયો છે કે, કંપનીએ બુક્સમાં કોઈ ખરીદીનું ટ્રાન્જેક્શન્સ બતાવ્યા વિના પાર્ટીઓને લેટર્સ ઓફ ક્રેડિટ (LCs)થી પેમેન્ટ કર્યું હતું અને કંપનીના અકાઉન્ટમાં ફંડ્સ ડાયવર્ટ કર્યા હતા અને એ રીતે બેંકના ફંડ્સનો ખોટો ઉપયોગ કર્યો હતો.'

જોશીએ જણાવ્યું કે, કંપની પર અન્ય નાણાંકીય અનિયમિતતાઓને લગતા પણ આરોપ છે. તેમણે જણાવ્યું કે, હૈદરાબાદમાં આરોપીઓની ઓફિસ તેમજ ઘરમાં સર્ચ કરવામાં આવ્યું અને આ દરમિયાન તપાસ એજન્સીને ઘણા મહત્વના દસ્તાવેજ મળ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો