એપશહેર

વ્યાજ દર ઘટાડાનો ફાયદો બેંકો તમને આપે છે કે પછી પોતાના ઘર ભેગો કરે છે?

I am Gujarat 6 Jan 2021, 11:19 am
મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંક અર્થવ્યવસ્થાની જરુરિયાતને ધ્યાને રાખીને સમય સમય પર રેપો રેટમાં ફેરફાર કરે છે. આ પાછળ રિઝર્વ બેંકનો આશય બેંક લોન સસ્તી કરીને એટલે કે બેંક લોનના વ્યાજ દર ઘટાડીને અર્થતંત્રમાં ગતિ લાવવાનો હોય છે. રેપો રેટમાં ઘટાડો બેંકો માટે એક સંકેત હોય છે અને આરબીઆઈ આશા કરે છે કે રેપો રેટમાં ઘટાડા પછી બેંકો તેના વ્યાજ દર ઘટાડીને લોન લેનારા ગ્રાહકોને ફાયદો આપશે. હવે સવાલ એ ઉભો થાય છે કે બેંકો રેપો રેટમાં ઘટાડાનો ફાયદો તમારા-મારા જેવા ગ્રાહકો સુધી પહોંચવા દે છે કે પછી વચ્ચે જ તેની મલાઈ ખાઈ જાય છે? આવો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ..
I am Gujarat do bank pass full and all benefits to customer of reduction of repo rate by reserve bank of india
વ્યાજ દર ઘટાડાનો ફાયદો બેંકો તમને આપે છે કે પછી પોતાના ઘર ભેગો કરે છે?


ગત વર્ષે કોરોના મહામારી શરું થયા બાદથી RBIએ રેપો રેટમાં અનેકવાર ઘટાડો કર્યો છે. તેણે અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે લોનને સસ્તી બનાવવા માટે આવું કર્યું હતું. પરતુ બેંકોએ આ રેપો રેટમાં ઘટાડાનો પૂરો ફાયદો ગ્રાહકોને આપ્યો જ નથી. બેંકોએ આ ઘટાડાનો અડધાથી પણ ઓછો ફાયદો આપ્યો છે.

આરબીઆઈએ માર્ચ 2020થી અત્યાર સુધીમાં રેપો રેટમાં 1.15 ટકા (115 બેસિસ પોઇન્ટ્સ)નો ઘટાડો કર્યો છે. પરંતુ એપ્રિલથી નવેમ્બર સુધીમાં સરેરાશ લેન્ડિંગ રેટ જૂની અને નવી લોનમાં ક્રમશઃ 0.40 ટકા અને 0.50 ટકાનો ઘટાડો નોંધાયો છે. આખરે સવાલ એ છે કે બેંકોએ રેપો રેટમાં ઘટાડાનો પૂરો ફાયદો ગ્રાહકોને કેમ નથી આપ્યો. આવો આ સવાલનો જવાબ જાણવાનો પ્રયાસ કરીએ છીએ.

ઇકોનોમિસ્ટ આનું કારણ બેંકોના ડિપોઝિટ રેટની વ્યવસ્થાને માને છે. ભારતમાં બેંકિંગ સિસ્ટમ ખૂબ મોટા પાયે રિટેલ ડિપોઝિટ પર આધારીત છે. તેનો અર્થ છે કે હોલસેલ અને માર્કેટ આધારીત ફંડિંગ વ્યવસ્થા પર તેની નિર્ભરતા ઓછી છે. બેંકો ફંડની પોતાની 40 ટકા જરુરિયાત ફિક્સ્ડ ડિપોઝિટથી પૂરી કરે છે. બાર્કલેજ ઇન્ડિયાના ચીફ ઇંડિયા ઇકોનોમિસ્ટ રાહુલ બજોરિયાએ કહ્યું કે, 'કારણ કે બેંકોની ફંડની મુદ્દલ સીધી રીતે પોલિસી રેટ સાથે જોડાયેલ નથી, આ કારણે રેપો રેટ મુજબ લોનના વ્યાજ દરમાં ઘટાડો ન થવાનું મુખ્ય કારણ છે.'

તેમણે કહ્યું કે, 'ભૂતકાળના અનુભવોથી ખબર પડે છે કે પોલિસી રેટમાં ઘટાડાની પૂર્ણ અસર દેખાવામાં લગભગ 12થી 18 મહિના જેટલો સમય લાગી જાય છે. આ લિક્વિડિટીની સ્થિતિ પર નિર્ભર કરે છે. એટલે આપણને આગામી 6 મહિનામાં વ્યાજ દરોમાં થોડો વધુ ઘટાડો જોવા મળી શકે છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો