એપશહેર

વૃદ્ધિને વેગ આપવા તમામ પગલાં લેવાશે: મોદી

I am Gujarat 10 Jan 2020, 11:25 am
73181977 નવી દિલ્હી:વડાપ્રધાન મોદીએ ગુરુવારે અર્થતંત્રની સ્થિતિ અંગે નીતિ આયોગ ખાતે અર્થશાસ્ત્રીઓ, વિવિધ સેક્ટર્સના નિષ્ણાતો અને સફળ યુવા ઉદ્યોગસાહસિકો સાથે ચર્ચા કરી હતી. તેમણે વૃદ્ધિને વેગ આપવા ટૂંકા અને લાંબા ગાળાનાં બંને પ્રકારનાં પગલાં લેવાનું વચન આપ્યું હતું.
I am Gujarat economy 95
વૃદ્ધિને વેગ આપવા તમામ પગલાં લેવાશે: મોદી


બજેટ 2020-’21 પહેલાં ચાલેલી અઢી કલાકની બેઠકમાં નિષ્ણાતોએ આર્થિક વૃદ્ધિને બેઠી કરવા સંખ્યાબંધ સૂચન કર્યાં હતાં. 2019-’20માં અર્થતંત્રની વૃદ્ધિ 5 ટકાની 11 વર્ષની નીચી સપાટીએ પહોંચવાનો અંદાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં ભાગ લેનારા નિષ્ણાતોએ ધિરાણવૃદ્ધિ, નિકાસમાં વધારો, PSU બેન્કોના વહીવટમાં સુધારો, વપરાશ આધારિત માંગમાં વૃદ્ધિ અને રોજગારી સર્જનને વેગ આપવાનાં સૂચન કર્યાં હતાં.

બેઠકમાં 40 નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓએ ભાગ લીધો હતો. મોદીએ તેમને ટૂંકા ગાળામાં અમલ થઈ શકે તેવાં સૂચનો તાત્કાલિક લાગુ કરવાની તેમજ લાંબા ગાળાનાં સૂચનોને સમયાંતરે અમલી બનાવવાની ખાતરી આપી હતી. કારણ કે લાંબા ગાળાનાં સૂચનો માટે માળખાકીય સુધારાની જરૂર છે.

નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે ટ્વિટ કરી હતી કે, “વડાપ્રધાન મોદીએ અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગના નિષ્ણાતો સાથે સઘન ચર્ચા કરી હતી. તેમણે આર્થિક વૃદ્ધિ, સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેશન સહિત વિવિધ મુદ્દે વિચારોની આપ-લે કરી હતી.” વડાપ્રધાન સાથેની હાઈ-પ્રોફાઇલ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ, નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમાર, CEO અમિતાભ કાંત અને થિંક-ટેન્કના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

વડાપ્રધાનની ઇકોનોમિક એડ્વાઇઝરી કાઉન્સિલના ચેરમેન બિબેક દેબરોય પણ બેઠકમાં હાજર હતા. નાણામંત્રી નિર્મલા સીતારામન ભાજપના હેડક્વાર્ટરમાં પક્ષના કાર્યકરો સાથે પ્રિ-બજેટ બેઠકોમાં વ્યસ્ત હોવાથી મીટિંગમાં હાજર રહી શક્યા ન હતા. સરકાર 2020-’21ના બજેટની તૈયારી કરી રહી હોવાથી નીતિ આયોગની બેઠક મહત્ત્વની બને છે. સરકાર હવે આર્થિક વૃદ્ધિને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વડાપ્રધાન સાથેની બેઠકમાં NIPFPના અર્થશાસ્ત્રી ઇલા પટનાયક, ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર, શંકર આચાર્ય, IGIDRના પ્રોફેસર આર નાગરાજ, KKR ઇન્ડિયાના CEO સંજય નાયર, એથર એનર્જીના સહસ્થાપક અને CEO તરુણ મહેતા, મેકમાયટ્રિપના દીપ કાલરા અને CEO ચંદ્રશેખર ઘોષ તેમજ ક્રિસલના CEO અને MD આશુ સુયશે પણ હાજરી આપી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો