એપશહેર

ભારતમાં હવે આ નવા રુટથી થાય છે સોનાનું સ્મગ્લિંગ, અબજો રુપિયાનો છે તેનો કારોબાર

I am Gujarat 15 Dec 2019, 11:23 am
રામ સહેગલ, મુંબઈ: સોનાના દાણચોરોએ હવે ભારતમાં ગેરકાયદેસર રીતે સોનું ઘુસાડવા ઇન્ડો-મ્યાનમાર અને ઇન્ડો-બાંગ્લાદેશ સરહદનો રૂટ લીધો છે, તેમ ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના મુંબઈ ઝોનલ યુનિટે ઇટીને મુંબઈ સ્થિત ઝવેરીની ધરપકડ કર્યા પછી જણાવ્યું હતું. આ ઝવેરી દાણચોરીના સોનાના બિસ્કિટ સાથે ડીલ કરતો હોવાનું મનાય છે. તેમણે જણાવ્યું હતું કે અમે સમગ્ર દેશના એરપોર્ટ અને સીપોર્ટ પર જાપ્તો વધાર્યો છે અને તેના લીધે બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદેથી ગેરકાયદેસરના સોનાના કન્સાઇનમેન્ટ આવી રહ્યા છે. અમે હવે આ રૂટ પરથી થતી સોનાની દાણચોરીને કેવી રીતે અંકુશમાં લાવવી તે ચકાસી રહ્યા છીએ. ડીઆરઆઇના માનવા મુજબ મુંબઈમાં 2019ના નાણાકીય વર્ષમાં 212 કિલો સોનાની દાણચોરી થઈ હતી અને વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 132 કિલોની દાણચોરી થઈ ચૂકી હોવાનું મનાય છે. ડીઆરએ કસ્ટમ્સ એક્ટના ભંગની ચકાસણી કરતી ટોચની ઇન્ટેલિજન્સ અને તપાસ સંસ્થા છે. આ હિલચાલ અંગે માહિતી ધરાવતાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ દાણચોરી અટકાવવા સરહદ પર ગોઠવવામાં આવેલા અર્ધલશ્કરી દળોની મદદ લેવામાં આવશે. ડીઆરઆઇના અધિકારીઓએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. કેટલાક વેપારીઓ અને બુલિયન મર્ચન્ટ્સે દાવો કર્યો હતો કે દાણચોરી જુલાઈ પછી વધી છે કારણ કે સોના પરની આયાત જકાત દસ ટકાથી વધારી 12.5 ટકા કરવામાં આવી હતી. હવે તેમા જીએસટીના ત્રણ ટકા ઉમેરીઓ તો 15.5 ટકાનો વેરો લાગે છે. દાણચોરી વડે આવેલું સોનું સમગ્ર દેશના સોના-ચાંદી બજારમાં જકાત ચૂકવાયેલા સોના કરતાં સસ્તા ભાવે વેચાય છે. સમગ્ર સિસ્ટમ બિલ્સ વગર ચાલે છે અને તેની વિપરીત અસર બુલિયન ડીલરો અને ઝવેરીઓ પર પડે છે જેમણે જકાત ચૂકવીને આ સોનું ખરીદ્યું હોય છે. વેપારી સંગઠનોનું માનવું છે કે દર વર્ષે 100થી 120 ટન સોનાની દાણચોરી થાય છે. દાણચોરીનું સોનું ચર્ચાનો વિષય રહ્યો છે. વિવિધ દેશોના પ્રવાસીઓ દ્વારા પણ સોનાની દાણચોરી કરવામાં આવે છે, એમ ઇન્ડિયા બુલ્સ એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (આઇબીજેએ)ના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું. તેઓનું કહેવું છે કે કેટલા પ્રમાણમાં સોનાની દાણચોરી થાય છે તે નક્કી કરવું મુશ્કેલ છે. આ સિવાય લોકો દ્વારા વેચાતા જૂના સોનાને પણ દાણચોરીવાળું સોનું કહેવાય છે, તેનો સ્રોત જાણીતો હોતો નથી અને આ જ સોનું એક ઝવેરી પાસેથી બીજા ઝવેરી પાસે જાય છે અને છેવટે તેને સરકારની માન્ય ન હોય તેવી રિફાઇનરીમાં રિફાઇન કરવામાં આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો