એપશહેર

રૂપિયો ઘસાવાના કારણે HUL, નેસ્લે ભાવ વધારશે

I am Gujarat 27 Sep 2018, 4:05 pm
65979544 રત્ના ભૂષણ
I am Gujarat hul 2
રૂપિયો ઘસાવાના કારણે HUL, નેસ્લે ભાવ વધારશે


નવી દિલ્હી:પેટ્રોલના ભાવમાં વધારો અને રૂપિયો ઘસાવાના કારણે હિંદુસ્તાન લિવર અને નેસ્લે અમુક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવાની યોજના ધરાવે છે. ઘઉં જેવી મહત્ત્વની કોમોડિટીના ભાવમાં વધારો થવાથી પણ આ કંપનીઓની પ્રોડક્ટ મોંઘી થશે.

કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપની એચયુએલના ચેરમેન સંજીવ મહેતાએ બુધવારે AIMAના 45મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનમાં જણાવ્યું કે ક્રૂડ અત્યારના સ્તરે જળવાય અને રૂપિયો ઘસાય તો અમારા માટે પ્રતિકૂળ સ્થિતિ હશે કારણ કે ખર્ચ વધી જશે. તેના કારણે કેટલીક પ્રોડક્ટના ભાવ વધારવા પડશે. જોકે, અમે પ્રાઇસ વેલ્યૂનું પ્રમાણ જાળવી રાખીશું. દેશની સૌથી મોટી પેકેજ્ડ ફૂડ ઉત્પાદક નેસ્લે ઇન્ડિયાના ચેરમેન સુરેશ નારાયણને પણ જણાવ્યું કે તેઓ ભાવવધારો કરવાની તૈયારીમાં છે.

ગુડગાંવ ખાતે કંપનીના હેડક્વાર્ટરમાં તેમણે કહ્યું કે, “કોમોડિટીમાં પ્રતિકૂળ સ્થિતિ શરૂ થઈ ગઈ છે અને રૂપિયામાં ઘટાડો તથા ઓઇલના વધતા ભાવ નડતરરૂપ છે. તેના કારણે અમુક કેટેગરીમાં ભાવ વધારવામાં આવશે. નેસ્લે ઇન્ડિયાના લોજિસ્ટિક્સ પ્રોવાઇડર પણ પેટ્રોલ અને ડીઝલના વિક્રમજનક ભાવ બાદ રેટ અંગે ફરીથી વાતચીત કરવા માંગે છે.”

ભાવમાં કેટલો અને ક્યારે વધારો કરવામાં આવશે તે વિશે મહેતાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, “અમે પ્રાઇસ ગાઇડન્સ આપ્યાં નથી. ભાવનો વધારો ઈનપુટ ખર્ચ સાથે વન-ટુ-વન સહસંબંધમાં નહીં હોય. અમે પ્રાઇસ વેલ્યૂ સમીકરણ ટકાવી રાખીશું. પ્રાઇસિંગની વાત આવે ત્યારે અમે હંમેશા જોખમ લેવાનું ટાળીએ છીએ.”

મહેતાએ જણાવ્યું કે ગયા વર્ષે જીએસટી લાગુ થયા બાદ એચયુએલે નવેમ્બરમાં ભાવ ઘટાડ્યા હતા અને હવે ભાવ વધારવામાં આવે તો ગ્રાહકોને તેનાથી આંચકો નહીં લાગે. ઈનપુટ ખર્ચ વધવાના કારણે હવે ભાવ વધે તો પણ ગ્રાહકોને ટેકો મળી રહેશે એમ અમે માનીએ છીએ.”

ઇટીએ 7 સપ્ટેમ્બરના અહેવાલમાં જણાવ્યું હતું કે ત્રીજા ક્વાર્ટરથી દૈનિક વપરાશની વસ્તુઓના ભાવમાં લગભગ પાંચ ટકાનો વધારો થશે. આ અહેવાલમાં બ્રિટાનિયા અને પારલે પ્રોડક્ટ્સ જેવી કંપનીઓને ટાંકવામાં આવી હતી. લઘુતમ ટેકાના ભાવની અસર 10થી 12 ટકાની રેન્જમાં છે અને તે પહેલેથી ઊંચા છે. જોકે, તમામ કંપનીઓ ગ્રાહકો પર સમગ્ર બોજ નહીં લાદે કારણ કે તેનાથી વૃદ્ધિને અસર થવાની શક્યતા છે.

નારાયણને જણાવ્યું કે, “અમે પ્રયાસ કરીશું કે ભાવમાં વધારો અમુક પ્રોડક્ટ પૂરતો હોય અને વૃદ્ધિને અસર ન થાય.” ફુગાવાની સ્થિતિમાં વપરાશના આઉટલૂક વિશે મહેતાએ કહ્યું કે, “માર્કેટનો વપરાશ રાતોરાત બદલાતો નથી. અગાઉ સળંગ બે વર્ષ દુષ્કાળ હતો તેને ધ્યાનમાં લેવામાં આવે તો અત્યારે વૃદ્ધિ થઈ છે અને બજાર બોટમ આઉટ થયું છે.”

મુંબઈમાં પેટ્રોલના ભાવ 90 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયા છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયો પણ ઘટી રહ્યો છે. એફએમસીજી કંપનીઓ ક્રૂડના ડેરિવેટિવ્ઝનો ઉપયોગ કરતી હોય છે.

આ ઉપરાંત બોટલ અને ટ્યૂબ જેવા પેકેજિંગ મટિરિયલમાં પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ થાય છે અને તેના ભાવ વધી ગયા છે. જોકે, મહેતાએ કહ્યું કે કૃષિ લોન માફી અને જીએસટીમાં ઘટાડાના કારણે ગ્રામીણ માંગને ટેકો મળશે.
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો