એપશહેર

ભારતમાં ચાલુ FYમાં 20 લાખ ટન ઘઉંની આયાત થવાની શક્યતા

I am Gujarat 27 Sep 2016, 4:15 am
સ્થાનિક પૂરવઠો વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે ઘઉં પરની કસ્ટમ્સ ડ્યૂટી ઘટાડાયા બાદ ભારત ચાલુ નાણાકીય વર્ષમાં ૨૦ લાખ ટન સુધીની આયાત કરે એવી શક્યતા છે, એવું ફ્લોર મિલ્સે જણાવ્યું છે.
I am Gujarat india likely to import 2 mt wheat to boost supplies
ભારતમાં ચાલુ FYમાં 20 લાખ ટન ઘઉંની આયાત થવાની શક્યતા


“આવનારા મહિનાઓમાં આયાત વધશે અને સ્થાનિક પ્રાપ્યતા પરનું દબાણ ઘટશે. સરકાર ફ્લોર મિલર્સ જેવા જથ્થાબંધ ગ્રાહકોને FCIના ઘઉં વેચવાનું ચાલુ રાખશે,” એવું અન્ન મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી પ્રશાંત દ્વિવેદીએ એક સમારોહમાં જણાવ્યું હતું. તેમણે આયાતનો જથ્થો જણાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે ઉદ્યોગના સૂત્રોએ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં અનાજની વિદેશી ખરીદી ૨૦ લાખ ટનને સ્પર્શવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (RFMFI)ના ભૂતપૂર્વ પ્રમુખ એમ. કે. દત્તાએ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા, યુક્રેન, ફ્રાન્સ અને રશિયાથી આશરે છ લાખ ટન ઘઉંની આયાત થઈ ચૂકી છે, જ્યારે બીજા ચાર થી પાંચ લાખ ટનની આયાત માટે પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે જણાવ્યા પ્રમાણે ઘઉંની કુલ આયાત ચાલુ વર્ષમાં ૨૦ લાખ ટનની થવાની સંભાવના છે. મોટા ભાગની આયાત દક્ષિણ ભારતની ફ્લોર મિલ્સ દ્વારા થઈ રહી છે. હવે ડ્યૂટી ઘટવા સાથે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના ફ્લોર મિલર્સ માટે આયાત આર્થિક રીતે શક્ય બની છે.

ફ્લોર મિલર્સ ઓસ્ટ્રેલિયાના સફેદ ઘઉં મોટા પ્રમાણમાં આયાત કરી રહ્યાં છે, ડ્યૂટીમાં ઘટાડા બાદ બેંગલોરમાં તેનો ડિલિવરીનો ખર્ચ કિલોદીઠ આશરે રૂ. ૧૯.૫૦ થાય છે, જે અગાઉ કિલોદીઠ રૂ. ૨૩ હતો. ગત સપ્તાહે સરકારે ઘઉં પરની આયાત ડ્યૂટીને પચીસ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી છે. નવો દર ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી અમલી રહેશે. દેશનું ઘઉંનું ઉત્પાદન ૨૦૧૫-૧૬ના વેચાણ વર્ષ (એપ્રિલ-માર્ચ)માં ૯.૩૫ કરોડ ટનનું રહેવાનો અંદાજ છે, જ્યારે આ ઉદ્યોગના સૂત્રો ઉત્પાદન આશરે પચાસ લાખ ટન ઓછું રહેવાનો અંદાજ વ્યક્ત કરે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો