એપશહેર

આ સપ્તાહે શેરબજાર વોલેટાઈલ રહેવાની ધારણા

I am Gujarat 2 Jul 2017, 2:21 pm
નવી દિલ્હી: બજાર નિષ્ણાતોના મતે જીએસટીના અમલ બાદ શેરબજાર વોલેટાઈલ રહેવાની ધારણા છે. આ સપ્તાહે જાહેર થનારા મેક્રોઈકોનોમિક ડેટા પરથી બજાર તેની દિશા મેળવવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે.
I am Gujarat mkts to watch closely how gst pans out may see volatility
આ સપ્તાહે શેરબજાર વોલેટાઈલ રહેવાની ધારણા


રોકાણકારો હાલમાં જીએસટીનો કેવો અમલ થાય છે તેના પર વિશેષ નજર રાખી રહ્યા છે આ ઉપરાંત તેઓ ફેડરલ ઓપન માર્કેટ કમિટીની આગામી બેઠક પર પણ મીટ માંડી રહ્યા છે, તેમ HDFC સિક્યુરિટીઝના PCG બિઝનેસ હેડ વી કે શર્માએ જણાવ્યું હતું.

17 વર્ષની લાંબી વિચારણા અને ચર્ચાઓ બાદ સ્વતંત્ર ભારતના સૌથી મોટા કર સુધાર ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પહેલી જૂલાઈથી અમલી થયો છે. આ નવી કરપ્રણાલી ભારતના કરમાળખાની સિકલ બદલી નાખશે પણ, શરૂઆતમાં તેણે અમલીકરણની કેટલીક શરૂઆતી અડચણોનો સામનો કરવો પડશે.

હાલમાં ઊંચામથાળે પહોંચેલું બજાર ગ્રોથના નવા ટ્રિગરના અભાવે વેચવાલીના દબાણનો સામનો કરે તેવી શક્યતા છે. જીએસટીનો અમલ પણ બજારને કરેક્શન મોડમાં દોરી જનાર પરિબળ સાબિત થઈ શકે છે, તેમ ટ્રેડ સ્માર્ટ ઓનલાઈનના સંસ્થાપક ડિરેક્ટર વિજય સિંઘાનિયાએ જણાવ્યું હતું.

વૈશ્વિક સંકેતો, ઓટોના માસિક વેચાણના આંકડા, ક્રૂડના ભાવની વધઘટ અને ડોલરની સામે રૂપિયાની ચાલ વગેરે પરિબળો પણ બજારની ભાવિ ચાલ નક્કી કરવામાં મહત્ત્વના સાબિત થઈ શકે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશીના મતે આપણા અર્થતંત્રમાં મોટો કર સુધારો થઈ રહ્યો હોવાથી ટૂંકાગાળા માટે GSTના અમલને લઈને બજારમાં ઘટાડો જોવા મળી શકે છે.

આ સ્થિતિમાં બજાર વોલેટાઈલ રહેશે તેવી અમારી ધારણા છે. GSTના પ્રશ્નોમાંથી બજાર કેવી રીતે બેઠું થાય છે તે જોવાનું રહ્યું, તેમ તેમણે ઉમેર્યું હતું. બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે GSTના અમલ બાદ શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળે તેવી શક્યતા છે.

ટેક્સની સ્પષ્ટતાને કારણે વન નેશન, વન ટેક્સની નવી પ્રણાલીને દલાલ સ્ટ્રીટ પોઝિટિવ રિસ્પોન્સ આપશે તેમ લાગે છે પણ સાથે સાથે અમે બજારમાં ઘટાડાની શક્યતા પણ નકારતા નથી. માસિક વેચાણના આંકડાના જોરે ઓટો શેરો પણ રોકાણકારોના રડાર પર રહેવાની ધારણા છે. આ ઉપરાંત આ સપ્તાહે જાહેર થનારા PMI ડેટા પણ બજારની ચાલ પર અસર કરશે, તેમ આમ્રપાલી આદ્ય ટ્રેડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ અને ડિરેક્ટર અબનિશ કુમાર સુદ્ધાંશુંએ જણાવ્યું હતું.

GSTનો અમલ શરૂ થઈ ગયો છે તેથી ટૂંકાગાળે તે રોતાણકારોની અપેક્ષાઓ સંતોષવામાં નિષ્ફળ રહે તેવી આશંકા છે પણ મધ્યમથી લાંબા ગાળે તે બજાર માટે હકારાત્મક બની રહેશે, તેમ જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના વડા વિનોદ નાયરે જણાવ્યું હતું.

આ સપ્તાહે સ્થાનિક પરિબળો કરતાં વૈશ્વિક જોખમો બજાર પર અસર કરે તેવી શક્યતા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગયા સપ્તાહે સેન્સેક્સ 216.60 પોઈન્ટ અથવા 0.69 ટકા જ્યારે નિફ્ટી 54.05 પોઈન્ટ અથવા 0.56 ટકા ગગડીને બંધ રહ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો