એપશહેર

કિશોર બિયાની એક મહિનામાં બીજી વખત ડિફોલ્ટ, લોન ન ચુકવી શક્યા

કિશોર બિયાનીના ફ્યુચર એન્ટરપ્રાઈઝિસ (Future Enterprises)એ પંજાબ નેશનલ બેન્ક (PNB) સહિત ત્રણ બેન્કોને 28 માર્ચ સુધીમાં રૂ. 19.16 કરોડની ચુકવણી કરવાની હતી, પરંતુ આ નાણાં ચુકવી શકાયા નથી. હજુ પાંચ દિવસ પહેલાં જ ફ્યુચર ગ્રૂપે પંજાબ નેશનલ બેન્ક અને કેનરા બેન્કને રૂ. 93.99 કરોડની ચુકવણીમાં ડિફોલ્ટ થયાની જાહેરાત કરી હતી.

Authored byઅજિત ગઢવી | Agencies 30 Mar 2022, 11:50 am

હાઈલાઈટ્સ:

  • પીએનબી, કેનરા બેન્ક, યુનિયન બેન્કને રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ નાણાં ચુકવવામાં કંપની નિષ્ફળ
  • આગામી એપ્રિલમાં ફ્યુચર ગ્રૂપની તમામ કંપનીઓ પોતાના શેરહોલ્ડરો સાથે બેઠક યોજશે
  • કિશોર બિયાનીની બીજી કંપનીઓ પર પણ બેન્કો આકરી બની રહી છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Kishore Biyani
બિયાનીની ફ્યુચર એન્ટરપ્રાઈઝિસે ત્રણ બેન્કોને 28 માર્ચ સુધીમાં રૂ. 19.16 કરોડની ચુકવણી કરવાની હતી.
રિટેલ ઉદ્યોગના મહારાથી ગણાતા કિશોર બિયાની ફરી એક વખત બેન્કની લોન ચુકવવામાં ડિફોલ્ટ થયા છે. કિશોર બિયાનીના ફ્યુચર એન્ટરપ્રાઈઝિસ (Future Enterprises)એ પંજાબ નેશનલ બેન્ક (PNB) સહિત ત્રણ બેન્કોને 28 માર્ચ સુધીમાં રૂ. 19.16 કરોડની ચુકવણી કરવાની હતી, પરંતુ આ નાણાં ચુકવી શકાયા નથી.
ફ્યુચર એન્ટરપ્રાઇઝિસે જણાવ્યું કે તે પીએનબી, કેનરા બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાને વન-ટાઈમ રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ નાણાં ચુકવવામાં નિષ્ફળ ગઈ છે. એક મહિનાની અંદર ફ્યુચર ગ્રૂપ બીજી વખત ડિફોલ્ટ થયું છે. જોકે, તેણે કહ્યું કે તેની પાસે રિવ્યૂ માટે 30 દિવસનો સમય છે.

હજુ પાંચ દિવસ પહેલાં જ ફ્યુચર ગ્રૂપે પંજાબ નેશનલ બેન્ક અને કેનરા બેન્કને રૂ. 93.99 કરોડની ચુકવણીમાં ડિફોલ્ટ થયાની જાહેરાત કરી હતી. આ રકમ 23 માર્ચ પહેલાં ચુકવવાની હતી. FEL સહિત ફ્યુચર ગ્રૂપની કેટલીક કંપનીઓએ આરબીઆઈના 6 ઓગસ્ટ 2020ના સર્ક્યુલર અંગે પોતપોતાની બેન્કો સાથે કરાર કર્યા છે જેમાં તેમણે કોવિડના કારણે સ્ટ્રેસ હોવાનું જણાવીને રિઝોલ્યુશન ફ્રેમવર્ક નક્કી કર્યું છે.

આગામી એપ્રિલમાં ફ્યુચર ગ્રૂપની તમામ કંપનીઓ પોતાના શેરહોલ્ડરો અને પોતાને ધિરાણ કરનારી તમામ બેન્કો સાથે બેઠક યોજશે અને રૂ. 24,713 કરોડની ડીલ વિશે તેમનો મત જાણશે.

ઓગસ્ટ 2020માં આ ડીલ નક્કી કરવામાં આવી હતી. તે મુજબ તે રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ક્ષેત્રે કામ કરતી પોતાની તમામ કંપનીઓની એસેટ રિલાયન્સ રિટેલને વેચશે. આ તમામ 19 કંપનીઓને સંગઠીત કરીને FEL તરીકે એક કંપની રચવામાં આવશે. ત્યાર બાદ તે રિલાયન્સને ટ્રાન્સફર કરવામાં આવશે. જાન્યુઆરીમાં વન ટાઈમ રિસ્ટ્રક્ચરિંગ હેઠળ ફ્યુચર રિટેલ લિમિટેડ પણ બેન્કોને રૂ. 3494.56 કરોડની ચુકવણી કરવામાં ડિફોલ્ટ થઈ હતી.

કિશોર બિયાનીની બીજી કંપનીઓ પર પણ બેન્કો આકરી બની રહી છે. ફ્યુચર રિટેલ અંગે તાજેતરમાં બેન્ક ઓફ ઇન્ડિયાએ અખબારોમાં એક પબ્લિક નોટિસ આપી હતી અને બીજા ધિરાણકારોને ચેતવણી આપી હતી કે ફ્યુચર રિટેલની એસેટ અંગે કોઈ પણ ડિલ કરવી નહીં.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો