એપશહેર

કહેવાતા ગૌરક્ષકોએ મારેલા યુવકનું મૃત્યુ

I am Gujarat 17 Sep 2016, 12:12 am
નવગુજરાત સમય, અમદાવાદ
I am Gujarat crime 315
કહેવાતા ગૌરક્ષકોએ મારેલા યુવકનું મૃત્યુ

ચાર દિવસ પહેલાં પ્રહલાદનગર ટી જંકશન ઉપર અકસ્માત અને માર મારવામાં આવતાં ગંભીર ઈજા પામેલા અયુબ શેખનું મૃત્યુ નિપજ્યું છે. ‘બકરી ઈદ’ની ઉજવણી સમયે જ એક વાછરડું અને એક બળદને લઈ આવતી કારને અકસ્માત નડ્યો હતો. કહેવાતા ગૌરક્ષકો પીછો કરતા હોવાથી કારને અકસ્માત બાદ ધસી આવેલા શખ્સોએ કારચાલક અયુબ અને તેની સાથે રહેલા સમીરને ઢોર માર માર્યો હતો. આનંદનગરમાં પશુ અત્યાચાર ધારો, અકસ્માત અને અયુબની હત્યાની કોશિશ, એમ ત્રણ ગુના નોંધાયા હતા. આ કેસોની તપાસ એન ડિવિઝન ACP કલ્પેશ ચાવડાને સોંપાઈ હતી. વી.એસ.માં સારવાર દરમિયાન અયુબનું મૃત્યુ નિપજતાં કહેવાતા ગૌરક્ષકો સામે હત્યાની તપાસ ગતિવંત બની છે.

ગત તા. ૧૨ની રાત્રે ૩ વાગ્યાના અરસામાં એસ.જી. હાઈવે ઉપર ઓનેસ્ટ ત્રણ રસ્તા ઉપર હોટલ ક્રાઉન પ્લાઝાની ઈનોવા લઈને નજરઅલી ચૌધરી જઈ રહ્યા હતા. આ સમયે ઈસ્કોન સર્કલ તરફથી એક ઈન્ડિગો કાર પૂરઝડપે આવી હતી અને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જનાર કારના ચાલક, ૩૦ વર્ષના મોહમ્મદ અયુબ મોહમ્મદ ઈશાક મેવાતીને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ કારમાં એક બળદ અને એક વાછરડું મળી આવ્યા હતા. બળદ મૃત્યુ પામ્યો હતો. બે અબોલ પશુને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવા બદલ કારચાલક મોહમ્મદ અયુબ મોહમ્મદ ઈશાક અને સમીર ભીખુભાઈ શેખ સામે આનંદનગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તા. ૧૩ના સાંજે આનંદનગર પોલીસે અયુબને માર મારવા અંગે ફરિયાદ નોંધી હતી. સમીર ઉર્ફે બકો ભીખુભાઈ શેખની ફરિયાદ જણાવાયા મુજબ, ઊંઝા પાસેથી વાછરડું લઈ પાછા ફરતી વખતે અડાલજ પાસે પહોંચ્યા ત્યારે કોઈ પીછો કરી રહ્યાનો ફોન આવતા અયુબે કારની સ્પીડ વધારી હતી. ઓનેસ્ટ ટી સર્કલ પાસે અયુબની કારથી ઈનોવાને ટક્કર વાગી હતી. પીછો કરતી સફેદ રંગની પ્રેસ લખેલી કાર ઊભી રહી તેમાંથી ઉતરેલા શખ્સોએ બન્નેને લાકડીના ફટકાનો માર માર્યો હતો. અકસ્માત સ્થળે આવી પહોંચેલી પોલીસે બન્નેને બચાવી હોસ્પિટલ ખસેડ્યા હતા. અયુબનું મૃત્યુ નિપજતાં આ કેસ હત્યામાં તબદિલ થયો છે. એન ડિવિઝન ACP વધુ તપાસ કરી રહ્યાં છે અને સેક્ટર-૧ JCP રાજીવ રંજન ભગતે આ કેસનું સુપરવિઝન શરૂ કર્યું છે.

મારીને ‘કાયદો’ હાથમાં લેવાની સત્તા કોણે આપી? સ્વજનોનો રોષ
અયુબને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે ચાર દિવસની સારવાર દરમિયાન તે એક શબ્દ બોલી શક્યો નહોતો. તેણે કાયદાનો ભંગ કર્યો હતો તો કાયદેસર કાર્યવાહી કરી શકાય. કોઈને માર મારીને ‘કાયદો’ હાથમાં લેવાની સત્તા કોણે આપી? આ કેસમાં આનંદનગર પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે. આરોપીઓને પકડી પાડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાના નથી. (મોહમ્મદ અઝીઝખાન મેવ, મૃતકના મામા અને દલિત સેનાના પ્રમુખ)

ACP દ્વારા નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે: કમિશનર
આ કેસને ગંભીરતાથી લઈને અકસ્માત બન્યો તે દિવસે જ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતા જોતાં એન ડિવિઝન ACP કે.એમ. ચાવડાને તપાસ સોંપવામાં આવી રહી છે. SG હાઈવે ઉપરના CCTV ફૂટેજ મેળવવામાં આવી રહ્યાં છે. કાયદાનો ભંગ કરનાર સામે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે અને પુરાવા મેળવી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. (શિવાનંદ ઝા, પોલીસ કમિશનર)

અયુબના બે સંતાનો અને પત્ની બેસહાય
અકસ્માતમાં અને માર મારવાથી ગંભીર ઈજા પામતાં મૃત્યુ પામેલા અયુબ શેખના બે સંતાનો અને પત્ની બેસહારા બન્યાં છે. વટવામાં રહેતા અયુબ શેખ તેમના પરિવારનો એકમાત્ર આધાર હતા. ચાર દિવસથી સારવાર દરમિયાન સ્વજનો અને પાડોશીએ અયુબભાઈના પરિવારજનોની સારસંભાળ લીધી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો