એપશહેર

હત્યારાને ત્રણ શખ્સોએ રહેંસી નાખ્યો

I am Gujarat 18 Sep 2016, 4:07 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat crime 321
હત્યારાને ત્રણ શખ્સોએ રહેંસી નાખ્યો


હત્યાના એક કેસમાં ગુનેગાર સાબિત થયેલા અને સજા દરમિયાન પેરોલ પર છૂટીને ઘરે આવેલા ઈસનપુરના કુખ્યાત ધવલ મરાઠીની શુક્રવારે રાત્રે તેના જ ઘર નજીક હત્યા થતા અરેરાટી મચી ગઈ હતી. જૂની મારામારીની અદાવતમાં ત્રણ શખ્સોએ ડાંગ (લાકડીના મોટા દંડા) વડે ધવલને મારમારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્રણેય આરોપીઓ નાસી છૂટતા ઈસનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, એક સમયે હત્યાના આરોપી ધવલ મરાઠીને પકડવા માટે શહેર પોલીસે સ્પેશિયલ સ્કવોડની રચના કરવી પડી હતી.

ઈસનપુર વિસ્તારની લોટસ સ્કૂલ પાસે આવેલા મોહિની પાર્કમાં રહેતા 52 વર્ષિય આશાબેન મરાઠીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમના દીકરા ધવલ મરાઠીને અગાઉના એક હત્યા કેસમાં કોર્ટે ગુનેગાર ઠેરવીને જેલની સજા ફટકારી હતી.

ધવલ મરાઠી જેલમાંથી થોડા દિવસ પહેલા જ પેરોલ પર રજા લઈને ઘરે આવ્યો હતો. ધવલને શનિવારે એટલે કે 17મી તારીખે પરત જેલમાં હાજર થવાનું હતું. દરમિયાન 16મી તારીખને શુક્રવારે રાત્રે 10.30 વાગ્યે ધવલ તેની સોસાયટીના ગેટ પાસે ઊભો હતો ત્યારે ગોપાલ રબારી, બાબો ઉર્ફ કનુ રબારી અને અલ્કેશ રબારી નામના ત્રણ શખ્સો હાથમાં ડાંગ લઈને આવ્યાં હતા અને તેના પર હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઈજાના પગલે ધવલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઉપરાંત ‘જે’ ડિવિઝનના ACP વી.એમ. જાડેજા પહોંચી ગયા હતા. પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ હતી.

આ અંગે એ.સી.પી. વી.એમ. જાડેજાએ જણાવ્યું હતુ કે, ધવલ મરાઠી ગુનેગાર જ હતો અને અગાઉની કોઈ મારામારીની અદાવતમાં રબારી શખ્સોએ તેના પર હુમલો કરી હત્યા કરી છે. આરોપીઓને પકડી પાડવા તપાસ ચાલી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

શાહઆલમમાં જમાઈએ માતા-પિતા સાથે મળીને મામા સસરાની હત્યા કરી: ત્રણેય આરોપી પકડાયા
શાહઆલમ નવા બજાર ચોક ખાતે રહેતા મોહંમદ શાહરૂખ શેખે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફિરોઝઅલી મોહંમદભાઈ મેવાણી (ઉં.40, રહે. શાહઆલમ)ની ભાણીના લગ્ન નવા બજાર ચોક પાસે જ રહેતા ફરીદ અલીહસન શાહ સાથે થયા હતા. પતિ ફરીદ શાહ તેની પત્નીને ત્રાસ આપતો હોય ફિરોઝઅલી ભાણીનું ઉપરાણું લઈને તેના પતિને સમજાવા ગયા હતા. દરમિયાન ફરીદ અને તેના પિતા અલીહસન શાહ અને માતા હુસૈનાબીબીએ મળીને ફિરોઝઅલી પર હુમલો કર્યો હતો. જીવલેણ હુમલામાં ફિરોઝઅલીનું મોત નિપજતા ઈસનપુર પોલીસે ત્રણેય વિરુદ્ધ હત્યાનો ગોનો નોંધી તપાસ શરૂ કરી હતી. ‘જે’ ડિવિઝન એ.સી.પી. વી.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ કરીને ઈસનપુર પોલીસે ફરીદ શાહ સહિત તેના માતા-પિતાની હત્યાના આરોપસર ધરપકડ કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો