એપશહેર

જય પટેલ અપહરણ કેસમાં ઘેરું રહસ્ય ખંડણી કે સામાજિક સંબંધના તાણાવાણા?

I am Gujarat 28 Jul 2016, 12:19 am
નવગુજરાત સમય.અમદાવાદ
I am Gujarat crime 608
જય પટેલ અપહરણ કેસમાં ઘેરું રહસ્ય ખંડણી કે સામાજિક સંબંધના તાણાવાણા?


ચાંદલોડીયામાંથી અપહૃત દસ વર્ષનો જય પટેલ ૯ જ કલાકમાં મુક્ત તો થઈ ગયો. પણ, બનાવના ૩૦ કલાક પછી આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી નથી. આ અપહરણ પાછળ ખંડણીનો જ ઈરાદો હતો કે સામાજીક સંબંધોના તાણાવાણા? એ વિશે પોલીસ પણ અસમંજસમાં મુકાઈ છે. એટલું નિશ્ચિત છે કે, કોઈ ઓળખીતી વ્યક્તિ હોય તો જ જયને ફરવા લઈ જવાનું કહીને લઈ જઈ શકી હોય. આથી, નજીકના જ કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની ધારણા સાથે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. આ કેસમાં બે શખ્સોની સંડોવણી છે અને ઘર આસપાસના જ રહસ્ય ઘૂંટાઈ રહ્યું હોવાનું પોલીસ માની રહી છે. ચાંદલોડીયામાં સિલ્વર સ્ટાર પાછળ માધવ ફાર્મ ફ્લેટમાં રહેતા સોનલબહેન વિશ્નુભાઈ પટેલના ૧૦ વર્ષના પુત્ર જયનું તા. ૨૬ના સવારે ૧૧-૩૦ વાગ્યાના અરસામાં અપહરણ થયું હતું. જયના પિતા વિશ્નુભાઈ સાત વર્ષથી અમેરિકાના બોસ્ટનમાં સ્થાયી થયા હોવાથી ૧૫ લાખ આસાનીથી મળશે તેવી ગણતરી સાથે ખંડણી માગવામાં આવી હતી. પણ, પોલીસની ભીંસ વધતાં જયને નડીયાદ બસ સ્ટેશન બહાર મુકી દેવાયો હતો. સોનલબહેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પુત્ર જય સ્કુલે જવા નીકળ્યા બાદ તા. ૨૬ના બપોરે ૧-૧૦ વાગ્યે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો કે, ‘સોનલ તારો છોકરો જય મારી જોડે છે. તું કોઈને કશું કહેતી નહીં. મારે ૧૫ લાખ જોઈએ છે. તારે છોકરો જીવતો જોઈતો હોય તો સાંજ સુધીમાં ૧૫ લાખ તૈયાર રાખજે.’ સોનલબહેને દિયર વિનુભાઈને જાણ કરી હતી. બપોરે બે વાગ્યે ફરી ફોન આવ્યો અને ગુજરાતી ભાષામાં પૈસા તૈયાર રાખવા કહેવાયું હતું. બનાવની જાણ થતાં સાંજે છ વાગ્યાના અરસામાં સોનલબહેનના માતા-પિતા ઘરે આવ્યા હતા. આ સમયે સંબંધીના ફોન ઉપર ફોન આવ્યો અને કહ્યું કે, ‘તારા ઘરે કોણ ડોસો-ડોસી આવ્યા છે? કેમ બીજાને જાણ કરી છે?’ સાંજે ૬-૩૦ વાગ્યે ફોન કરી પૈસા લઈ આણંદ ખાતે રેલવેમાં આવવા જણાવાયું હતું. આ ફરિયાદ સંદર્ભે સોલા પોલીસ એટલું સ્પષ્ટ કરી શકી છે કે, અપહરણમાં બે શખ્સો સામેલ હતાં અને જયને ફરવા લઈ જવાનું કહીને ઉઠાવી જનાર શખ્સ પરિવારનો જાણકાર હતો. જો કે, હજુ સધી પોલીસને કોઈ મહત્વની કડી મળી નથી તેમ PI ડી.વી. રાણાનું કહેવું છે.

ખંડણી મગાઈ તે નંબરના બન્ને સિમકાર્ડ ‘ડમી’ નામથી ખરીદાયા દસ વર્ષના માસુમ બાળક જય પટેલનું અપહરણ કરીને બે અલગ-અલગ નંબરથી ખંડણી માગવામાં આવી હતી. આ બન્ને નંબર અંગે પોલીસે તપાસ કરતાં બન્ને સિમકાર્ડ ‘ડમી’ નામથી ખરીદવામાં આવ્યા હોવાનું જણાયું છે. જો કે, જયનો કબજો નહોતો મળ્યો ત્યાં સુધી ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે સિમકાર્ડના આધારે આરોપીની ભાળ મેળવવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

વૈષ્ણોદેવીથી આણંદ જતાં માર્ગે CCTVથી આરોપીને ઓળખાશે અપહરણના ૩૦ કલાક પછી પણ પોલીસને આરોપી સુધી પહોંચી શકાય તેવી કોઈ મહત્વની કડી મળી નથી. આખરે, પોલીસે ચાંદલોડીયાથી એસ.જી. હાઈવે થઈ વૈષ્ણોદેવીથી SP રિંગ રોડથી આણંદ જતાં માર્ગે CCTV શોધવાની કવાયત હાથ ધરી છે. પોલીસને આશા છે કે, આ માર્ગ ઉપર CCTVમાં અપહરણકારનું વર્ણન કે કાર અંગેની જાણકારી મળતાં ગુનો ઉકેલાઈ શકે છે.

ચાલાક ગુનેગારની માફક જયને નડીયાદમાં ઉતારાયો આ સમગ્ર કેસમાં ચાલાક ગુનેગારની માફક પૈસા પડાવવાનો કારસો રચાયો હોવાનું પોલીસ માની રહી છે. ‘તારી મમ્મી અહીં આવશે, ઉતરી જા.’ તેમ કહીને જયને નડીયાદ બસ સ્ટેશન પાસે ઉતારી દેવાયો હતો. એ જ રીતે સોનલબહેનના માતા-પિતા, દિયર વિનુભાઈ અને, પિતરાઈ ભાઈ દિપકભાઈ નિમજે પણ મદદે આવ્યાની જાણકારી અપહરણકારને હોવાની વિગતો મળતાં આસપાસમાં જ કોઈ ‘વોચ’ રાખતું હોવાની શંકા પોલીસને જાગી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો