અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમમાં યુવતીને ગોંધી રાખવામાં આવી હોવાની તેના પિતાની ફરિયાદ બાદ DPS સ્કૂલ વિવાદમાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્કૂલની પરવાનગી માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા બાદ DPSના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ધરપકડથી બચવા માટે DPSના સંચાલકોએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને મિર્ઝાપુર કોર્ટે ફગાવી દીધી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો હાથીજણ વિસ્તારમાં આવેલી DPS ઇસ્ટ સ્કૂલની પરવાનગી માટે CBSEમાં બનાવટી NOC રજૂ કરવા મામલે અમદાવાદના ગ્રામ્ય જીલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ ફાઉન્ડેશનના ચેરમેન અને એમ.ડી. મંજુલા પૂજા શ્રોફ તેમજ તત્કાલિન ટ્રસ્ટી હિતેન વસંત, પ્રિન્સિપલ અનિતા દુઆ સામે કેસ દાખલ કર્યો હતો. આ મામલે ધરપકડથી બચવા માટે આરોપીઓએ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જોકે, ગ્રામ્ય કોર્ટે DPSના સંચાલકોની જામીન અરજી ફગાવી દીધી હતી. આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવતા હવે પોલીસ ગમે તે સમયે આરોપીઓની ધરપકડ કરી શકે છે. ઉલ્લેખનીય છે શિક્ષણ ક્ષેત્ર મંજુલા પૂજા શ્રોફનું ખુબ મોટું નામ ગણવામાં આવે છે. આ પહેલા જ DPS દ્વારા ખોટા પુરાવા રજૂ કર્યા હોવાથી CBSE બોર્ડ દ્વારા સ્કૂલની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે. જોકે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે એક સત્ર સુધી શાળાનું સંચાલન કરશે તેવો નિર્ણય કર્યો છે.