અમદાવાદ: નિકોલ વિસ્તારમાં રહેતા અને ગાંધીનગરના રણજીપુર ગામમાં ઘોડેસવારીની ટ્રેનિંગ આપતા 26 વર્ષીય મનોરજી ઠાકોરની લાશ 3જી મેના રોજ ઝાડ પર લટકતી મળી હતી. આ કેસ પહેલા તો આત્મહત્યાનો લાગતો હતો, પણ તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ઈજા અને મૃત્યુ શ્વાસ રુંધાવાને કારણે થયું હોવાનું સામે આવ્યું છે. અડાલજ પોલીસે આ કેસમાં 6 લોકોની ધરપકડ કરી છે, જેમાં મનોરજી ઠાકોર પાછલા ચાર મહિનાથી જે છોકરીના પ્રેમમાં હતો તેના પિતા પણ શામેલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડ કરવામાં આવેલા લોકોમાં યુવતીના પિતા સંગ્રામજી ઠાકોર, ભાઈ શૈલેષજી ઠાકોર, કાળાજી ઠાકોર, હર્શદજી ઠાકોર, રવજી ઠાકોર અને કુશલજી ઠાકોર શામેલ છે. તેમની પૂછપરછ ચાલુ છે. ગાંધીનગરના SP વિરેન્દ્રસિંહ યાદવના જણાવ્યા અનુસાર, મનોરજી ઠાકોર પરિણીત હતો અને તેના બે બાળકો પણ છે. ઠાકોર રણજીપુરા ગામમાં ઘોડાને ટ્રેનિંગ આપતો હતો. ત્યાં જ તેની મુલાકાત તેજલ નામની યુવતી સાથે થઈ હતી. જ્યારે તેજલના પરિવારને એક પરિણીત પુરુષ સાથેના તેજલના પ્રેમસંબંધની જાણ થઈ તો તે રોષે ભરાયા હતા. તેમણે અન્ય એક વ્યક્તિ સાથે તેજલના લગ્ન નક્કી કર્યા હતા, જે 8મી મેના રોજ થવાના હતા. આ કેસની તપાસ કરતા ઈન્વેસ્ટિગેટરનું કહેવું છે કે, તેજલના પિતા અને અન્ય આરોપીઓએ મળીને મનોરજીને માળવાનું કાવતરું ઘડ્યું. 2જી મેની રાતે તેમણે મનોરજી ઠાકોરને રણજીપુર બોલાવ્યો અને ગળું દબાવીને તેની હત્યા કરી હતી. આખી ઘટનાને આત્મહત્યાનું રુપ આપવા માટે તેના મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો હતો. બીજા દિવસે તેમણે મૃતદેહ મળ્યો હોવાનું નાટક કર્યુ હતું.
ષડયંત્ર: હોર્સ ટ્રેનરની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવ્યો
TNN 13 Jul 2017, 8:53 am