સુકિર્તી દ્વિવેદી, અમદાવાદ મિરર
ગત વર્ષે 13860 કરોડ રૂપિયાની આવક જાહેર કરીને લાઈમલાઈટમાં આવી જનાર મહેશ શાહના સી.એ તહેમૂલ શેઠનાએ એક ધડાકો કર્યો છે. શેઠનાના મતે મહેશ શાહે અત્યાર સુધીમાં તેણે અત્યાર સુધીમાં આ ગોટાળામાં શામેલ લોકોના નામ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપી દીધા હશે પરંતુ આ લોકો ખૂબ જ વગદાર હોવાને કારણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તેમની સામે કોઈ પગલા ભરી શકે તેમ નથી.
પ્રોપર્ટી ડીલર મહેશ શાહે ગયા વર્ષે 30મી ડિસેમ્બરના રોજ 13,860 કરોડની આવક જાહેર કરી હતી. મહેશ શાહે અનેક વગદારોની આવક પોતાના નામે જાહેર કરી હતી. મહેશ શાહે દાવો કર્યો હતો કે તે આ ગોટાળામાં સંડોવાયેલા બધાના નામ દુનિયા સામે જાહેર કરશે. પરંતુ પાછળથી ન તો કોઈના નામ બહાર આવ્યા અને ન તો મહેશ શાહને કોઈ સજા થઈ.
મહેશ શાહના સી.એ શેઠના જણાવે છે, “આવકવેરા ખાતાએ મહેશ શાહની પૂરતી પૂછતાછ કરી છે અને શાહે તેમને બધા નામ આપી પણ દીધા હશે. પરંતુ IT ડિપાર્ટમેન્ટ આ લિસ્ટ ક્યારેય ડિક્લેર નહિ કરે. આ મામલામાં ખૂબ જ વગદાર લોકો સંડોવાયેલા છે. IT આ લોકો સામે પગલા ભરવાની હિંમત નહિ કરે. માત્ર મીડિયાના પ્રેશરને કારણે જ તેમણે IPC અંતર્ગત શાહ સામે પગલા ભરવાનું જણાવ્યું હતું.”
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે મહેશ શાહની બે વાર પૂછતાછ કરી છે. ત્રીજી નવેમ્બરના રોજ પોલીસે મહેશ શાહને સ્થાનિક ટીવી ચેનલના સ્ટુડિયોમાંથી ઝડપી લીધો પછી તેની પૂછતાછ થઈ હતી. બીજી વખત પૂછતાછ 5મી ડિસેમ્બરના રોજ થઈ હતી. IT ડિપાર્ટમેન્ટે હાલ સુધી મહેશ શાહે કોઈ નામ જાહેર કર્યા છે કે નહિ તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આટલું જ નહિ, ડિપાર્ટમેન્ટ શાહ વિરૂધ્ધ કોઈ પગલા પણ ભરી શકે તેમ નથી.
આપાજી અમીન એન્ડ કંપનીમાં સિનિયર મોસ્ટ પાર્ટનર તહેમૂલ શેઠના જણાવે છે, “શાહે જે લોકોની આવકને પોતાની આવક તરીકે જાહેર કરી તેમાં ઘણા ગરબડ છે. એટલે જ ઘણા લોકો છેલ્લી ઘણીએ પલટી ગયા.” સી.એ એવું પણ જણાવે છે કે શાહે પોતાની જાતને આટલી મોટી મુસીબતમાં નાંખતા પહેલા પૂરતુ હોમવર્ક કર્યું નહતું અને આ બાબત કેટલી મોટી છે તેનો તેને અહેસાસ જ નહતો.
શેઠનાએ તેમની સામે લાગેલા આરોપો પણ ખોટા હોવાનું જણાવ્યું હતું.