એપશહેર

અમદાવાદ: સોલા સિવિલમાં વેન્ટિલેટરમાં કથિત ધડાકામાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત

Agencies 23 May 2020, 9:42 am
અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરમાં કથિત ઘડાકાની ઘટના સામે આવી છે. જેમાં કોરોના શંકાસ્પદ મહિલા દર્દીનું મોત નીપજ્યું છે. મૃતક મહિલાના પુત્રએ હોસ્પિટલના તંત્ર પર આક્ષેપ કર્યો છે કે, સોલા સિવિલમાં મારી માતાને વેન્ટિલેટર પર રખાયા હતા. ત્યારે વેન્ટિલેટરમાં ધડાકો થયો અને ફટાકડો ફૂટે તેવી રીતે અવાજ આવ્યો હતો. બૂમાબૂમ થતા બીજુ વેન્ટિલેટર લગાડવામાં આવ્યું પરંતુ ગણતરીના મિનિટોમાં તેમનું મોત થયું હતું. જ્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા વેન્ટિલેટરમાં ધડાકાની કોઈ ઘટના નથી બની તેવો દાવો કરવામાં આવ્યો છે.સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ગોમતીપુરના 55 વર્ષીય પરવીનબાનુ પઠાણના પુત્ર આમીરખાન પઠાણે જણાવ્યા મુજબ સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીથી વેન્ટિલેટરમાં ધડાકો થયા બાદ તેની માતાનું મૃત્યુ થયું હતું. મારી માતાને હૃદયમાં તકલીફ હોવાથી 20મીએ સારવાર માટે GCS હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ICUમાં બેડ ખાલી ન હોવાથી સોલા સિવિલમાં લઇ ગયા હતા. સોલા સિવિલ પહોચ્યા બાદ માતાને ખાંસી ચઢી એટલે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે વેન્ટિલેટરમાં ધડાકા જેવું થયા બાદ માતાને મૃત જાહેર કરાઈ હતી. ત્યારબાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બીજી તરફ સોલા સિવિલના એક અધિકારીએ વેન્ટિલેટરમાં ધડાકો થયાની કોઇ ઘટના બની ન હોવાનું જણાવ્યું હતું.હોસ્પિટલના તંત્રએ જણાવ્યા મુજબ જો વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થાય તો તરત જ આગ લાગે પરંતુ આવુ કશું થયું નથી. મહિલાને પહેલા જ્યારે જીસીએસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે ICUમાં બેડ ખાલી નથી તેમ જણાવ્યું હતું. જેના કારણે મહિલાને સોલા સિવિલ લઈ જવા પડ્યા હતા. પરંતુ જીસીએસ હોસ્પિટલના ICU વોર્ડમાં બે બેડ ખાલી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે GCS હોસ્પિટલના જણાવ્યા મુજબ જે દર્દીઓ દાખલ છે તેમને જરૂર પડે એટલે બેડ ખાલી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો