એપશહેર

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો, છ વર્ષના દીકરાને કારણે હવે કાપશે આજીવન કેદની સજા

વર્ષ 2018માં ઉત્તરપ્રદેશના શામલીમાં એક મહિલાએ પ્રેમીની મદદથી પતિની હત્યા કરી હતી. આટલુ જ નહીં, પતિના મૃતદેહને દરવાજા પર લટકાવીને તેને આત્મહત્યા દર્શાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મહિલાના એક દીકરાએ આ આખી ઘટના નજરે જોઈ હતી. તેણે પોતાના દાદાને આ વાતની જાણકારી આપી. કોર્ટના આદેશથી બન્નેની ધરપકડ કરવામાં આવી અને દોષી જાહેર કરવામાં આવ્યા.

Edited byZakiya Vaniya | TNN 1 Feb 2023, 11:51 am

હાઈલાઈટ્સ:

  • પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી.
  • હત્યાને આત્મહત્યાનું રૂપ આપી બચી ગયા.
  • છ વર્ષના દીકરાની ગવાહીથી હકીકત સામે આવી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kid
પ્રતિકાત્મક તસવીર
શામલી- ઉત્તરપ્રદેશના શામલી શહેરની સ્થાનિક કોર્ટે રાજેશ દેવી નામની 37 વર્ષીય મહિલા અને તેના પ્રેમી 39 વર્ષીય પ્રદીપ કુમારને આજીવન કેદની સજા સંભળાવી છે. આ બન્ને પર આરોપી મહિલાના પતિને મારવાનો આરોપ છે. રાજેશ દેવીના છ વર્ષીય દીકરા કાર્તિકેય સિંહની સાક્ષીને આધારે આ સજા સંભળાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના 12 જૂન 2018ના રોજ બની હતી. મૃતક પતિનું નામ ધર્મવીર સિંહ હતું. ધર્મવીર સિંહની પત્નીએ પ્રેમીની મદદથી ગળું દાબીને હત્યા કરી હતી.

પતિની હત્યા કર્યા પછી મૃતદેહને દરવાજા સાથે લટકાવી દેવામાં આવ્યો હતો જેથી પોલીસને આત્મહત્યાનો કેસ લાગે. આ તમામ ઘટનાક્રમ છ વર્ષનો માસૂમ દીકરો જોઈ રહ્યો હતો. અત્યારે તેની ઉંમર 11 વર્ષ છે અને તે ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં આવેલા ખેકરા ગામમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. તે પોતાના ફોઈ સાથે રહે છે. સાક્ષી કાર્તિકેય સિંહે સમગ્ર ઘટનાની જાણકારી પોતાના દાદાને આપી હતી અને પછી પોલીસ તેમજ કોર્ટને પણ ગવાહી આપી હતી.
મંગળવારના રોજ કાર્તિકેયે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, જે દિવસે મારા મમ્મીએ મારા પપ્પાની હત્યા કરી હતી તે દિવસે તે મારા માટે મરી ગયા હતા. હું હવે પોલીસ ઓફિસર બનવા માંગુ છું જેથી આ પ્રકારના ગુના થાય ત્યારે ન્યાય અપાવી શકું. ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરતાં તેણે જણાવ્યું કે, હું મારા બે નાના ભાઈ-બહેનો સાથે સુઈ રહ્યો હતો. એકાએક અવાજ થવાને કારણે હું ઉઠી ગયો તો મેં જોયું કે મારા મમ્મીએ પપ્પાના પગ પકડી રાખ્યા છે અને અન્ય એક વ્યક્તિએ તકિયાથી પપ્પાનું ગળું દબાવી રાખ્યું છે. હું ડરી ગયો હતો અને મને સમજાતુ નહોતું કે શું કરવું જોઈએ. પણ થોડા દિવસ પછી મેં દાદાને આખી વાત જણાવી હતી.

કાર્તિકેયે સમગ્ર બાબતની જાણકારી આપી તો તેના દાદાએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પરંતુ છ વર્ષના બાળકની ગવાહીને ધ્યાનમાં લેવામાં નહોતી આવી. મૃતકના પિતા બ્રહ્મ સિંહ જણાવે છે કે, મને મારા પૌત્રની વાત પર વિશ્વાસ હતો કારણકે રાજેશે આત્મહત્યાની ખોટી વાર્તા ઘડી કાઢી હતી. અમે તમામ લોકો રાજેશના પ્રદીપ સાથેના સંબંધો વિશે જાણતા હતા અને ધર્મવીરે અનેક વાર તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે પોલીસને આદેશ આપ્યો કે FIR દાખલ કરવામાં આવે અને પછી બન્નેની અટકાયત કરવામાં આવી હતી.

ઘટનાના લગભગ પાંચ મહિના પછી 1 નવેમ્બર, 2018ના રોજ FIR દાખલ કરવામાં આવી હતી. IPCની કલમ 302 અને 34 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. DGC સંજય ચૌહાણ જણાવે છે કે, 17 નવેમ્બર 2018ના રોજ રાજેશ દેવી અને પ્રદીપ કુમારની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન 11 સાક્ષીઓને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય સાક્ષી કાર્તિકેય પણ શામેલ હતો. બાળક દ્વારા કરવામાં આવતા દાવાની ખરાઈ કરવા માટે કોર્ટે તેની એક પરીક્ષા પણ લીધી હતી. જજે પોતે બાળકને અમુક પ્રશનો અવારનવાર પૂછ્યા હતા.

DGC વધુમાં જણાવે છે કે, બાળકે પહેલા જે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો તે પોતાની વાત પર અડી રહ્યો હતો. તમામ તથ્યો અને નિવેદનોના આધારે, સેશન્સ કોર્ટે બન્ને આરોપીઓને દોષી જાહેર કર્યા અને આજીવન કેદની સજા સંભળાવી અને 40,000 રુપિયા દંડ પણ ફટકાર્યો છે.

Read Next Story