એપશહેર

ભાવનગરમાં બોલ્યા પીએમ, 'એક વખતે સાંજે જમવાના સમયે વીજળી આવી જાય તોય લોકો ખુશ થતા'

PM Modi in Bhavnagar: પીએમે ભાવનગરના ગાઠિયા અને પેંડા યાદ કરી કહ્યું, હરિસિંહ દાદાએ મને ગાંઠિયા ખાતા શીખવાડ્યું. એક સમયે ભાવનગરમાં દરિયાના ખારા પાણીને લીધે લોકો પાસે પલાયન કરવા સિવાય કોઈ રસ્તો નહોતો, પરંતુ આજે એ જ દરિયાએ ભાવનગરની સકલ બદલી નાખી છે. ગુજરાતની કોસ્ટ લાઈન હવે ભારતની આયાત-નિકાસમાં ચાવીરુપ ભાગ ભજવે છે તેમજ લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે.

Authored byનવરંગ સેન | I am Gujarat 29 Sep 2022, 3:28 pm
ભાવનગર: સુરત બાદ ભાવનગર પહોંચેલા પીએમ મોદીએ આજથી 20 વર્ષ પહેલાના સમયને યાદ કરતા જણાવ્યું હતું કે, એક સમયે ભાવનગર માટે દરિયાનું ખારું પાણી અભિશાપ બન્યું હતું. લોકો પલાયન કરવા લાગ્યા હતા, ઘણા યુવાન સુરત જતા અને એક રુમમાં 15-20 લોકો રહેતા હતા. જોકે, છેલ્લા બે દાયકામાં ગુજરાતના દરિયાકાંઠાનો સદુપયોગ કરીને ન માત્ર રોજગારના અવસર ઉભા કરવામાં આવ્યા પરંતુ અનેક બંદર ઉભા કરાયા તેમજ રિનોવેશન કરવામાં આવ્યું. આજે ગુજરાતમાં ત્રણ એલએનજી પોર્ટ છે, દરિયાકાંઠા પર અનેક નાના-મોટા ઉદ્યોગો ઉભા કરાયા, તેમની વીજળીની માગ પૂરી કરવા પાવર ટર્મિનલ પણ બનાવવામાં આવ્યા. આજે ગુજરાતના દરિયાકાંઠે બનેલા અનેક પાવર પ્લાન્ટ ગુજરાત જ નહીં દેશને ઊર્જા પહોંચાડે છે.
I am Gujarat PM Modi in Bhavnagar
પીએમ મોદીએ ભાવનગરમાં વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમૂહુર્ત/શિલાન્યાસ કરી જાહેરસભા સંબોધી


પીએમે જણાવ્યું હતું કે, આજે ગુજરાતની કોસ્ટ લાઈન દેશની આયાત-નિકાસમાં મહત્વનો ભાગ ભજવવાની સાથે લાખો લોકોને રોજગાર પૂરો પાડવા ઉપરાંત રિન્યૂએબલ એનર્જી અને હાઈડ્રોજન ઈકોસિસ્ટમનો પર્યાય બની ઉભી રહી છે. સૌરાષ્ટ્રને પણ ઊર્જાનું એક મહત્વનું કેન્દ્ર બનાવવા પ્રયાસ થયા છે. હવે સૌર ઊર્જાના પણ અનેક પ્રોજેક્ટ આ ક્ષેત્રમાં લાગી રહ્યા છે. પાલિતાણામાં આજે સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું છે, જે લોકોને સસ્તી ઊર્જા પૂરી પાડશે. એક સમયે ગુજરાતમાં સાંજે જમવાના સમયે વીજળી આવી જાય તો લોકોને ખુશી થતી હતી, પરંતુ આજે આ બધી વાતો ભૂતકાળ બની ગઈ છે.

ગુજરાતમાં પર્યાપ્ત વીજળી હોવાના કારણે તેના અનેક ફાયદા થઈ રહ્યા છે, અનેક ઉદ્યોગ ફુલીફાલી રહ્યા છે. ધોલેરામાં સ્પેસ, ગ્રીન એનર્જી અને સેમીકન્ડક્ટરના ક્ષેત્રે જે રોકાણ થવાનું છે તેનો લાભ ભાવનગરને સૌથી વધુ મળશે. એ દિવસો દૂર નથી જ્યારે અમદાવાદ, ધોલેરા અને ભાવનગરનો આખોય વિસ્તાર વિકાસની નવી ઉંચાઈને પ્રાપ્ત કરશે. પોર્ટ્સને માલગાડીઓ સાથે જોડવામાં આવશે, તેમજ હાઈવે અને રેલવે નેટવર્ક સાથે પણ તેની કનેક્ટિવિટી હશે. ભાવનગરનું આ પોર્ટ આત્મનિર્ભર ભારત અભિયાનમાં મોટી ભૂમિકા ભજવવાની સાથે મોટી સંખ્યામાં રોજગારી પણ પૂરી પાડશે. અહીં ગાડીઓના સ્ક્રેપિંગ, કન્ટેનર ઉત્પાદન અને ધોલેરા SIRની પણ જરુરિયાતોને પૂરી કરશે, તેમ પણ પીએમે કહ્યું હતું.

ભાવનગરને જહાજ ભાંગવાનો અનુભવ ઘણો કામમાં લાગવાનો છે તેમ કહેતા પીએમે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જે નવી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી બનાવી છે તેના લાગુ થતાં સમગ્ર ભારતમાં સૌથી વધુ અને સૌથી વહેલો લાભ ભાવનગરને મળશે. અલંગ પાસે સ્ક્રેપિંગની એક્સપર્ટીઝ છે. તેવામાં જહાજો સાથે બીજા નાના વાહનોના સ્ક્રેપિંગનું પણ અલંગ મોટું સેન્ટર બનશે. અલંગમાં જહાજો તોડીને જે લોખંડ કાઢવામાં આવે છે તેનો કન્સ્ટ્રક્શનમાં વધુ ઉપયોગ થાય છે, જેને કન્ટેનર મેન્યુફેક્ચરિંગમાં પણ વાપરી શકાય છે. ભાવનગરમાં બનનારા કન્ટેનર આત્મનિર્ભર ભારતને ઊર્જા આપવાની સાથે રોજગારીના અવસર પેદા કરશે.

લોથલમાં બનનારા મેરીટાઈમ મ્યૂઝિયમનો ઉલ્લેખ કરતા પીએમે જણાવ્યું હતું કે જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આખી દુનિયામાં નામ છે તે જ રીતે આ મ્યૂઝિયમને જોવા પણ દુનિયાભરમાંથી લોકો આવશે. તે જ રીતે વેળાવદર નેશનલ પાર્કમાં ઈકો ટુરિઝમ સર્કિટનો લાભ પણ ભાવનગરના નાના વેપારીઓ અને કારોબારીઓને મળશે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો