એપશહેર

પહેલા તબક્કામાં જોઈએ તેવો મતદારોનો કરંટ જોવા ના મળ્યોઃ કેટલીક બેઠકોના ગણિત ખોરવાવાની શક્યતા

Gujarat Election 2022: ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે આ મતદાન બાદ રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો શું થશે તેના ગણિત માંડવામાં લાગી ગયા છે. જે પ્રમાણે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે અને પ્રચારમાં જોશ બતાવ્યો છે તે પ્રમાણેનું પરિણામ જોવા મળશે નહીં તે અંગે પણ અનેક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Edited byTejas Jingar | I am Gujarat 2 Dec 2022, 8:16 am
ગુજરાતમાં પહેલી તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, હવે 5મી ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. 1 ડિસેમ્બરે શું થશે તે વિશે રાજકીય પાર્ટીઓ ગણિત ગોઠવીને હવે બાકીના અમુક કલાકોમાં બીજા તબક્કા માટે શું કરી શકાય તેના પ્લાનિંગમાં લાગી ગઈ ગઈ છે. પહેલા તબક્કાના મતદાન બાદ કેટલાક બેઠકોના ગણિત ખોરવાતા હોવાની શક્યતા સાથે અણધાર્યા પરિણામ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા તબક્કામાં થયેલા ઓછા મતદાનના કારણે ગણિત ખોરવાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે પ્રમાણે રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે તે પ્રમાણે મતદાન થયું નથી. જે પ્રમાણે 2017માં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફાયદો થયો હતો તે આ વખતે યથાવત રહેશે કે પછી કોઈ નવાજૂની થશે તે પરિણામના દિવસે સ્પષ્ટ થઈ જશે.
I am Gujarat Gujarat Election 2022
ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું


પ્રથમ તબક્કાનું 89 બેઠકો પર મતદાન થઈ ગયું છે અને જે પ્રકારે ઓછું મતદાન થયું છે તેના કારણે રાજકીય પાર્ટીઓના ગણિત ઉલટફેર થાય તો નવાઈ નહીં. અણધાર્યા પરિણામ આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાછલી ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટીમાં ભાજપને તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફાયદો થયો હતો, પરંતુ આ વર્ષે મતદારોનું વલણ બેધારી તલવાર જેવું સાબિત થઈ શકે છે. મતદારોએ લીધેલા નિર્ણયથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે તે આગામી 8મી ડિસેમ્બરે જાહેર થશે.

ત્રિપાંખિયો જંગ થવાની ચર્ચા વચ્ચે પહેલા તબક્કાના મતદાન બાદ આ અંડર કરંટ કઈ દિશામાં આગળ વધશે અને તેનાથી કોને ફાયદો થશે તે જાણવા માટે નેતાઓ મથામણ કરતા હશે. તો બીજી તરફ પહેલા તબક્કાના ઉમેદવારો પણ એ વિચારમાં હશે કે તેમનાથી ફાયદો કોને થશે? પરંતુ તેનો સાચો જવાબ 8 ડિસેમ્બરે લોકોની સામે આવી જશે.

પાછલી ચૂંટણીમાં જે રીતે ઓછી અને એકદમ સામાન્ય લીડથી ઉમેદવારો જીત્યા હતા તેમના શ્વાસ આ વખતે અધ્ધર થયા હશે કારણ કે સામાન્ય લીડનું પલડું ગમેતે તરફ નમી શકે છે.

ત્રિપાંખિયો જંગ કે AAPને નહીં મળે એન્ટ્રી?
ભાજપ અને કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ જોશ સાથે મેદાનમાં ઉતરી છે અને ફ્રીની લહાણીના વચન આપ્યા છે. જોકે, મતદાનમાં એવો કોઈ જોશ જોવા મળ્યો નથી. ત્યારે ગુજરાતમાં આપને એન્ટ્રી મળશે કે જાકારો તે અંગે પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આપે રેલી, રોડ શો અને જાહેર સભાઓમાં કોઈ કચાસ છોડી નથી, લોકોના ઘરે-ઘરે જઈને પણ મતની માગણી કરી હતી. પરંતુ મતદાનની ટકાવારીથી આપને કેટલો ફાયદો થશે તે આગામી અઠવાડિયે સ્પષ્ટ થશે.

રાજ્યમાં ત્રણે પક્ષોએ પોતાની સરકાર બનવાના દાવા કર્યા છે અને આ દાવા કેટલા સાચા સાબિત થાય છે તેના માટે બીજા તબક્કાનું મતદાન પણ મહત્વનું સાબિત થશે. કારણ કે બીજા તબક્કામાં મોટા પ્રમાણે શહેરી વિસ્તારો આવશે અને તેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોનો સમાવેશ થાય છે.

Read Next Story