એપશહેર

વડોદરાનો ગ્રાઉન્ડ રિપોર્ટ: પબ્લિક બોલી, 'કામ તો મોદી જ કરે છે... કોંગ્રેસ, AAPનું કશુંય ના આવે!!'

Gujarat Election Ground Report : વડોદરાના મતદારોમાં મોંઘવારી મોટો મુદ્દો તો છે, પરંતુ પીએમ મોદીનું નામ આગળ આવતા જ લોકો બીજું બધું ભૂલી જાણે ભાજપને વોટ આપવા માટે તૈયાર છે! 2017માં વડોદરા જિલ્લાની દસમાંથી આઠ બેઠકો ભાજપે જીતી હતી, આ વખતે રાજેન્દ્ર ત્રિવેદી, મધુ શ્રીવાસ્તવ જેવા નેતાની ટિકિટ કાપી છે. કોંગ્રેસ અને AAP તો જાણે વડોદરામાં ખાસ સક્રિય જ નથી!

Authored byનવરંગ સેન | I am Gujarat 25 Nov 2022, 12:24 pm
વડોદરા: સંસ્કાર નગરી વડોદરા ભાજપનો ગઢ પણ ગણાય(Vadodara Vidhan Sabha Seats) છે. 2017ની ચૂંટણીમાં વડોદરા જિલ્લાની દસ બેઠકોમાંથી(Gujarat Election Ground Report Vadodara) ભાજપે આઠ બેઠકો પર વિજય મેળવ્યો હતો. જોકે, આ વખતે અહીંની સેફ ગણાતી વાઘોડિયા બેઠક(Waghodia Assembly Seat) પર ભાજપ સાથે છેડો ફાડી મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હાલની સરકારના મંત્રી અને ક્યારેક નંબર-2 કહેવાતા રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તું કપાયું છે. યોગેશ પટેલ જેવા 75 વર્ષથી વધુ વય ધરાવતા ઉમેદવારને પક્ષે માંજલપુર બેઠકથી ઉતાર્યા છે. વડોદરામાં આ વખતે ભાજપે કરેલા ફેરફારની ચૂંટણી પર શું અસર પડી શકે છે તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અહીં કેટલા દમદાર છે તે જાણવા IamGujaratની ટીમ શહેરમાં પહોંચી હતી.
I am Gujarat Vadodara ground report.
2017માં વડોદરાની દસમાંથી આઠ બેઠકો પર ભગવો લહેરાયો હતો


'નેતા ના હોત તો ચંબલમાં ડાકૂ હોત.. કમિશનરને બે લાફા ચોડી દીધા ત્યારથી હું બાહુબલિ કહેવાયો'
કેજરીવાલ, કોંગ્રેસની ખાસ અસર નહીં

વડોદરાની જનતા સાથે વાત કરતા જાણવા મળ્યું કે વડોદરા શહેરમાં આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ખાસ અસર નથી. લોકો માટે મોંઘવારી મુદ્દો તો છે, પરંતુ તેમના માટે વિકાસ, હિન્દુત્વ તેમજ શાંતિ-સુલેહ વધુ મહત્વના છે. જે લોકો માટે મોંઘવારી મોટો મુદ્દો છે તેઓ પરિવર્તન તો ઈચ્છે છે, પરંતુ તેઓ પણ કહી રહ્યા છે કે ભાજપને ચૂંટણીમાં મોંઘવારી તો નહીં જ નડે. કેજરીવાલ અને તેમની પાર્ટી પોતાના 300 યુનિટ ફ્રી વીજળીના ચૂંટણી વચનથી આખાય ગુજરાતમાં ખાસ્સા ચર્ચામાં છે, ત્યારે વડોદરા શહેરના લોકોને જાણે આ બાબત ખાસ અસર નથી કરી રહી, અને ના તો તેમને તેમાં ખાસ રસ છે.

મોંઘવારી મોટો મુદ્દો, પરંતુ ભાજપને તે નહીં નડે

IamGujaratએ વડોદરાના એમ.જી. રોડ પર કેટલાક મુસ્લિમો સાથે પણ વાત કરી, તેમણે પણ મોંઘવારી મોટો મુદ્દો હોવાનું જણાવ્યું પરંતુ ભાજપ માટે જીત આસાન રહેશે તેવું તેમનું કહેવું હતું. કેટલાક લોકોએ વારંવાર પાટલી બદલતા નેતાઓની ફરિયાદ કરી પરંતુ સાથે એમ પણ કહ્યું કે સરકાર ગમે તેની આવે, પરંતુ મોંઘવારીનો પ્રશ્ન કોઈનાથી હલ થાય તેવું નથી લાગતું. અત્તરનો વેપાર કરતા દિનેશભાઈ ગાંધીએ જણાવ્યું કે લોકો મોજશોખમાં રુપિયા તો વાપરે જ છે, મોદીના આવવાથી વિકાસના કામો થયા છે, અને તેનાથી રોજગારીની નવી તકો પણ સર્જાઈ છે તેમ પણ તેમનું કહેવું હતું.
ગ્રાઉન્ડ રિપોર્ટ: વરાછામાં ભાજપ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ, અલ્પેશ કથિરિયા વિશે શું બોલી પબ્લિક?
લોકો મોદીના નામે આપે છે વોટ

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનો ખાસ્સો સમય વડોદરામાં વિતાવ્યો છે. ઘણા લોકોને તેઓ નામથી પણ ઓળખે છે, તો બીજી તરફ ઘણા વડોદરાવાસીઓ પણ જાણે નરેન્દ્ર મોદીથી પ્રભાવિત છે, અને અહીં ભલે ભાજપે ગમે તેટલા અખતરા કર્યા હોય, પરંતુ મોદીની છબી એટલી મજબૂત છે કે ચૂંટણીમાં ભાજપની વોટબેંક આમથી તેમ થવાના ચાન્સ પ્રમાણમાં ઓછા લાગી રહ્યા છે. ઘણા લોકોએ તો એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી લોકો માટે કામ કરે છે, દેશનું નામ તેઓ દુનિયામાં મજબૂત કરી રહ્યા છે જોકે તેમની નીચે કામ કરતા લોકો યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story