એપશહેર

PM મોદી બે દિવસ ગુજરાતમાં.. ભાજપ ફુલ ઈલેક્શન મોડમાં, સુરતમાં CR અને CM સાથે કર્યો રોડશો

PM Modi in Gujarat: ચૂંટણીની આચારસંહિતા જાહેર થાય તે પહેલા જ પીએમ મોદી અબજો રુપિયાના પ્રોજેક્ટ્સના ખાતમૂહુર્ત/લોકાર્પણ કરશે. વિકાસ Vs રેવડી કલ્ચરની રાજનીતિ પર પીએમ મોદી પોતાની અમદાવાદ તેમજ ભાવનગરમાં થનારી જાહેર સભા પર શું બોલે છે તેના પર સૌની નજર. ગુજરાતમાં આ વખતે ઘણા વર્ષો પછી વિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજકીય પક્ષો ઝૂકાવી રહ્યા છે.

Authored byનવરંગ સેન | I am Gujarat 29 Sep 2022, 11:55 am
સુરત/અમદાવાદ: ગુજરાતમાં હવે ગમે ત્યારે વિધાનસભા ચૂંટણી જાહેર થઈ જાય તેવી શક્યતા વચ્ચે ભાજપે પોતાની પૂરી ક્ષમતાથી જાણે પ્રચાર શરુ કરી દીધો છે. આજે પીએમ મોદી રાજ્યની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. સુરતથી પોતાના પ્રવસાનો પ્રારંભ કરતા પીએમે શહેરમાં રોડશો કર્યો હતો, જેમાં તેઓ ખૂલ્લી જીપમાં સીઆર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જોવા મળ્યા હતા. સુરતમાં પીએમ મોદી ડ્રીમ સિટી સહિતના 3772.54 કરોડ રુપિયાના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે. ત્યારબાદ તેઓ ભાવનગર જશે, જ્યાં પણ તેઓ રોડશો અને જાહેર સભા કરશે. સાંજે પીએમ મોદી અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવવાની સાથે GMDC ગ્રાઉન્ડ પર વાઈબ્રન્ટ નવરાત્રી ઉત્સવમાં ભાગ લેવાના છે.
I am Gujarat PM Modi
સુરતમાં પીએમ મોદીએ કર્યો રોડશો


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂરી થઈ જઈ શકે છે. આ ઉપરાંત, હિમાચલ સાથે ગુજરાતમાં પણ ચૂંટણી થઈ જશે તેવી પણ ચર્ચા છે. જો ચૂંટણી પંચ તારીખો જાહેર કરી દે તો તે જ દિવસથી પરિણામ આવે નહીં ત્યાં સુધી આચારસંહિતા લાગુ પડી જાય, અને કોઈપણ નવી યોજના કે પ્રોજેક્ટના લોકાર્પણ કે પછી ખાતમૂહુર્ત ના થઈ શકે. તે પહેલા જ ગુજરાતમાં પીએમ મોદીના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં તેઓ અમદાવાદમાં વર્ષોથી જેની પ્રતિક્ષા જોવાઈ રહી છે તેવી મેટ્રો ટ્રેનનું પણ લોકાર્પણ કરવાના છે.

આજે સવારે 11 વાગ્યે સુરત પહોંચેલા પીએમ મોદી શુક્રવારે સાંજે અંબાજી ધામમાં આરતીમાં ભાગ લઈ દિલ્હી જવા રવાના થવાના છે. આ બે દિવસમાં તેમની રાજ્યમાં બે જાહેરસભાઓ ગોઠવવામાં આવી છે, જેમાં એક ભાવનગરમાં જ્યારે બીજી અમદાવાદમાં યોજાવાની છે. પીએમ મોદી જ ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક છે, ત્યારે ચૂંટણી જાહેર થયા પહેલાનો તેમનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો મનાઈ રહ્યો છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં પણ અમદાવાદની મેટ્રો ટ્રેન મુદ્દો બની ચૂકી છે, ત્યારે આ વખતે પીએમ મોદી તેમાં કાલુપુરથી બેસીને દૂરદર્શન ટાવર પહોંચી AEC ગ્રાઉન્ડમાં સભા કરશે.

ગુજરાતમાં વર્ષો બાદ આ વખતે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં મોટા પાયે ઝંપલાવી રહી છે. પક્ષના વડા અરવિંદ કેજરીવાલ છાશવારે ગુજરાતની મુલાકાતે આવીને સારી સરકારી સ્કૂલો, સારી સરકારી હોસ્પિટલો, 200 યુનિટ સુધી ફ્રી વીજળી, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના સહિતની લોકલુભાવન જાહેરાતો કરીને ભાજપને ખૂલ્લો પડકાર આપી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગને પણ સાધવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે પોતાના આ પ્રવાસમાં પીએમ મોદી જે જાહેર સભા સંબોધવાના છે તેમાં તેઓ કેજરીવાલ તેમજ કોંગ્રેસને કઈ રીતે આડેહાથ લે છે તેના પર પણ સૌની નજર છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ જ 'મફતની રેવડી' જેવો શબ્દપ્રયોગ કરી AAPની ચૂંટણી રણનીતિ તેમજ વાયદાઓની રાજનીતિ પર તેનું નામ લીધા વિના જ સવાલ ઉઠાવ્યા હતા.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story