એપશહેર

આજે શાહીબાગથી સરસપુર... સતત બીજા દિવસે અમદાવાદમાં પીએમ મોદીનો રોડશો યોજાશે

પીએમ મોદીના પ્રચારનો આજે અંતિમ દિવસ, છેલ્લા દિવસે પીએમની ચાર સભાનું આયોજન. શાહીબાગથી રોડશો નીકળી સરસપુર પહોંચશે અને ત્યાં પીએમ મોદી સભા સંબોધશે. ગુરુવારે પીએમે અમદાવાદમાં 50 કિમીથી પણ લાંબો રોડશો કરી ઝંઝાવાતી પ્રચાર કર્યો, આજે પણ વધુ એક રોડશો. બનાસકાંઠા અને પાટણની સભામાં પીએમે કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર

Authored byનવરંગ સેન | I am Gujarat 2 Dec 2022, 2:21 pm
અમદાવાદ: બીજા તબક્કાના મતદાન પહેલા આજે પીએમ મોદી અમદાવાદમાં ફરી એક રોડશો કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સાંજે થનારો રોડશો શાહીબાગ વિસ્તારથી શરુ થઈને સરસપુર સુધી યોજાશે, જેમાં અમદાવાદના કોટ વિસ્તારને આવરી લેવામાં આવશે. ગઈકાલે પીએમ મોદીએ નરોડાથી ચાંદખેડા સુધી 50 કિમી લાંબો રોડશો કર્યો હતો, જેમાં અમદાવાદ શહેરની હદમાં આવતી અનેક વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવી હતી. વોટિંગના 48 કલાક બાકી હોય ત્યારથી રાજકીય પક્ષો કોઈ જાહેર કાર્યક્રમ નથી કરી શકતા ત્યારે આજે ચાર સ્થળોએ પીએમ મોદીની સભા પણ યોજાવાની છે.
I am Gujarat modi roadshow
PM મોદીએ ગુરુવારે અમદાવાદમાં નરોડાથી ચાંદખેડા સુધી રોડશો કર્યો હતો


પીએમ મોદી આજે કાંકરેજ, પાટણ, સોજિત્રા તેમજ અમદાવાદના સરસપુર વિસ્તારમાં સભા કરી રહ્યા છે. શાહીબાગથી શરુ થનારી તેમની રેલી સરસપુર પહોંચશે અને ત્યાં પીએમ વિક્રમ મિલ કમ્પાઉન્ડમાં સભા સંબોધશે. ગઈકાલે પણ પીએમ મોદીએ ઉપરાછાપરી ચૂંટણી સભા સંબોધી હતી. પાટણમાં આજે થયેલી સભામાં પીએમ મોદીએ પોતાના પ્રચાર અભિયાનનો આજે છેલ્લો દિવસ હોવાનું જણાવ્યું હતું. જ્યારે કાંકરેજમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

પાટણમાં કોંગ્રેસ પર વરસતા પીએમે કહ્યું હતું કે કોંગ્રેસે ગરીબી હટાવવાની વાત કરી, પરંતુ ગરીબોને ઘર ના આપ્યા. ભાજપના શાસનમાં 45 કરોડ લોકોને બેંકમાં ખાતા ખોલાવી અપાયા અને ગરીબોને અત્યારસુધી 3 કરોડ પાકા મકાન બનાવી અપાયા છે, તેમજ 11 કરોડથી વધુ શૌચાલયો બનાવાયા છે. કોંગ્રેસના સમયમાં દિલ્હીથી ગરીબ માટે 1 રુપિયો નીકળતો અને તેના સુધી 15 પૈસા પહોંચતા તે વાત કરતા પીએમે કહ્યું હતું કે પોતાના સત્તામાં આવતા જ તેમણે આ બધું બંધ કરાવી દીધું.

પોતાની પાટણની સભામાં પીએમે દાવો કર્યો હતો કે પહેલા તબક્કાના વોટિંગ બાદ કોંગ્રેસે જાણે પોતાની હાર સ્વીકારી લીધી છે. પરિણામ આવ્યા બાદ ઈવીએમને દોષ દેવાની પણ કોંગ્રેસની આદત બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 01 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ચૂંટણી યોજાઈ હતી અને 05 ડિસેમ્બરના રોજ મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કામાં વોટિંગ થવાનું છે. જોકે, પહેલા તબક્કામાં થયેલા ઓછા મતદાનની કયા પક્ષને કેવી અસર પડશે તેના પર સૌની નજર છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story