એપશહેર

સુરત પછી હવે અમદાવાદનો વારો? અડધા રાજ્યમાં વોટિંગ ચાલુ હશે ત્યારે PM કરશે જંગી રોડશો

એપ્રિલ મહિનામાં અમદાવાદમાં જ રોડશો કરીને પીએમ મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરુઆત કરી હતી, ત્યારે 01 ડિસેમ્બરના રોજ અડધા રાજ્યમાં વોટિંગ થવાનું છે ત્યારે પીએમ અમદાવાદ શહેરની તમામ 16 બેઠકોને આવરી લેવાય તે રીતે રોડશો કરે તેવી શક્યતા, પીએમઓમાંથી અપ્રુવલ આવ્યા બાદ સત્તાવાર રીતે કરાઈ શકે છે આ કાર્યક્રમની જાહેરાત.

Authored byનવરંગ સેન | I am Gujarat 30 Nov 2022, 2:26 pm


અમદાવાદ: રાજ્યમાં 01 ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં પીએમ મોદીનો જંગી રોડશો યોજવા આયોજન કરાઈ રહ્યું છે. અમદાવાદ શહેરની તમામ 16 બેઠકોને આવરી લેવાય તેવો પ્રયાસ આ રોડશોમાં રહેશે તેવું સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં જ સુરતમાં ભવ્ય રોડશો કર્યો હતો. 01 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી થઈ રહી છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 05 ડિસેમ્બરના રોજ વોટિંગ થવાનું છે.

મોદી અને શાહે સંભાળી છે પ્રચારની કમાન

આ વખતની ચૂંટણીમાં પ્રચારની કમાન જાણે પીએમ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સંભાળી હોય તેમ તેઓ ઉપરાછાપરી રેલીઓ અને રોડશો કરી રહ્યા છે. અમિત શાહે તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં જ ધામા નાખ્યા છે. તેઓ માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ અન્ય જિલ્લા અને શહેરમાં પણ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. તો બીજી તરફ પીએમ મોદીએ પણ ગુજરાતમાં આ વખતે પ્રચાર કરવામાં કોઈ કમી નથી રાખી. જ્યાં-જ્યાં ભાજપને પડકારોનો સામનો કરવો પડી શકે તેમ છે તે તમામ સ્થળોએ પીએમ મોદીની સભા થઈ ચુકી છે, જેમાં સુરતના વરાછાનો પણ સમાવેશ થાય છે.

PMOમાંથી અપ્રુવલ બાદ સત્તાવાર જાહેરાત થશે

પીએમ મોદીના 01 ડિસેમ્બરના રોજ થનારા પ્રસ્તાવિત રોડશોની સત્તાવાર જાહેરાત પીએમ ઓફિસમાંથી અપ્રુવલ આવે ત્યારબાદ કરવામાં આવી શકે છે. આમ તો પીએમ મોદી અમદાવાદમાં પણ સભાઓ કરી ચુક્યા છે, પરંતુ અડધા રાજ્યમાં વોટિંગ હોય ત્યારે જ જો તેમનો અમદાવાદમાં રોડશો નીકળે તો તેનો ભાજપને સીધો ફાયદો થવાની પણ શક્યતા છે. જે જિલ્લામાં 01 ડિસેમ્બરના રોજ ચૂંટણી છે ત્યાં તો મંગળવારે સાંજથી જ રાજકીય પક્ષોને આચારસંહિતાના ભાગરુપે જાહેરમાં પ્રચાર કરવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

ગુજરાતમાં આ વખતે ત્રીજું ફેક્ટર પણ મેદાનમાં

રાજ્યમાં વર્ષોથી ચૂંટણીનો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખેલાય છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ મોટાપાયે એન્ટ્રી કરી ભાજપ અને કોંગ્રેસ બંનેની ઉંઘ હરામ કરી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતમાં આમ આદમી પાર્ટીનું જોર વધુ જણાઈ રહ્યું છે. વરાછા જેવી પાટીદારોનો ગઢ ગણાતી બેઠકમાં ભાજપને આકરી ટક્કર મળે તેવી સંભાવના વચ્ચે પીએમ મોદીએ પહેલીવાર વરાછામાં મોટી ચૂંટણી સભા સંબોધી હતી.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story