એપશહેર

'MS Dhoni: ધ અનટોલ્ડ સ્ટોરી'ના 4 વર્ષ: સુશાંતે રોલની તૈયારી માટે ધોનીને પૂછ્યા હતા 250 પ્રશ્નો

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' 4 વર્ષ પહેલા આજના દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે સુશાંતને ક્રિકેટર ધોનીને 250 સવાલ પૂછ્યા હતા.

I am Gujarat 30 Sep 2020, 4:32 pm
30 સપ્ટેમ્બરના રોજ 4 વર્ષ પહેલા સુશાંત સિંહ રાજપૂતની બ્લોકબસ્ટર ફિલ્મ 'એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' રિલીઝ થઈ હતી. સુશાંત સિંહ રાજપૂત આજે આપણી વચ્ચે નથી પરંતુ તેની એક્ટિંગ દ્વારા હંમેશા ફેન્સની વચ્ચે જીવતો રહેશે. આમ તો ઘણા વિડીયો અને તસવીરો સામે આવી છે જેમાં સુશાંત ક્રિકેટ ધોનીની નકલ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે, ક્રિકેટરના પાત્રમાં પોતાને ઢાળવા માટે સુશાંતે 10-20 નહીં પૂરા 250 સવાલ ધોનીને પૂછ્યા હતા?
I am Gujarat SSR DHONI
ધોની અને સુશાંત



સુશાંતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 12 મહિનાની તૈયારીમાં તે માત્ર 3 વખત ધોનીને મળ્યો હતો. પહેલી મુલાકાતમાં સુશાંતે ધોનીને તેની જર્ની વિશે પૂછ્યું હતું. જે બાદ બીજી મુલાકાતમાં સુશાંતે ધોની સામે 250 સવાલોનું લિસ્ટ મૂક્યું હતું. આ પાછળનું કારણ એ હતું કે, સુશાંત ધોનીના વિચારો જાણવા માગતો હતો જેથી તે પોતાની એક્ટિંગમાં ઉતારી શકે.

સુશાંતે 'એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' ફિલ્મ માટે કેટલીક મહેનત કરી હતી એ તો સૌ કોઈ જાણે છે. ધોની જેવી ચાલ, ફિઝિક અને ક્રિકેટ રમવાના અંદાજને પોતાનામાં ઉતારવા માટે સુશાંતે લગભગ દોઢ વર્ષ મહેનત કરી હતી. એ સમયે ઊંઘતા-જાગતા સુશાંત ધોની બનીને ફરતો હતો. ધોનીની બાયોપિક માટે સુશાંત રોજ મુંબઈના ક્રિકેટ અસોસિએશનમાં પ્રેક્ટિસ કરતો હતો.


સુશાંત ખૂબ મહેનત કરતો હતો છતાં ધોનીનો હેલિકોપ્ટર શોટ રમવામાં તકલીફ થતી હતી. જો કે, સુશાંતે હાર ના માની અને જ્યાં સુધી એ શોટ પર્ફેક્ટ આવડ્યો નહીં ત્યાં સુધી પ્રયાસ કરતો રહ્યો. જે દિવસે સુશાંતને આ શોટ આવડી ગયો એ દિવસે તે બાળકોની જેમ ખુશીથી કૂદતો હતો. ત્યાર પછી તેણે સતત 10-15 હેલિકોપ્ટર શોટ માર્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, એ દિવસે સચિન તેંડુલકરે સુશાંતને બાલ્કનીમાંથી રમતો જોયો હતો. એ સમયે સુશાંતની બેટિંગ જોઈને સચિન એટલો પ્રભાવિત થયો કે તેને લાગ્યું કે કોઈ નવો ક્રિકેટર આવ્યો છે. જો કે, સુશાંત વિશે જાણ થઈ ત્યારે સચિનના આશ્ચર્યનો પાર નહોતો.

જો કે, દુઃખની વાત એ છે કે, શાનદાર અને મહેનતુ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આજે આપણી વચ્ચે નથી. 14 જૂનના રોજ સુશાંત પોતાના બાંદ્રા સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મોત મામલે દેશની ત્રણ કેંદ્રીય એજન્સી CBI, NCB અને ED તપાસ ચલાવે છે. સુશાંતના મોત મામલે ડ્રગ્સનું એંગલ પણ બહાર આવ્યું છે તો બીજી તરફ ED મની લોન્ડ્રિંગનું એંગલ ચકાસે છે. જો કે, સુશાંતના મોતના 100થી વધુ દિવસ વિત્યા હોવા છતાં રહસ્ય અકબંધ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો