એપશહેર

હૈદરાબાદ : અનુપમ ખેરે દેખાડ્યો ગુસ્સો, અમિત શાહને કહ્યું- બસ, આ કાયદો પાસ કરાવી દો

Shailesh Thakkar | I am Gujarat 30 Nov 2019, 4:31 pm
તેલંગાણાના હૈદરાબાદમાં 27 વર્ષની એક વેટરનિટી ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ બળેલી લાશ મળવાના ન્યૂઝથી તેલંગાણા જ નહીં પણ સમગ્ર દેશ હચમચી ગયો છે. યુવતીની સાથે થયેલી હેવાનિયતભરી ઘટનાને લીધે દેશમાં આક્રોશ છે અને સામાન્ય માણસથી લઈને સેબિબ્રિટીઝ પણ આ ઘટના પર પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યાં છે. આ જ ઘટનાક્રમમાં અભિનેતા અનુપમ ખેરે પણ ટ્વીટ દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. આની સાથે જ તેમણે બળાત્કારીઓ માટે ફાંસીની માગણી કરી છે. ખેરે દેશના ગૃહમંત્રી અમિત શાહને દુષ્કર્મ કરનારાઓ માટે મોતની સજા આપવાનો કાયદો લાવવાની પણ માંગણી કરી. તેમણે કહ્યું કે, દુષ્કર્મ કરનારાઓને જાહેરમાં ઉલ્ટા લટકાવી ગોળી મારી દેવી જોઈએ. ત્યારબાદ તેમણે ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરતા લખ્યું કે, ‘ગૃહ મંત્રી તરીકે તમે ઘણા સાહસિક નિર્ણયો લીધા છે. દુષ્કર્મ કરનારાઓને તરત જ મોતની સજા થવી જોઈએ. બસ એક એવો કાયદો પાસ કરાવી દો.’
જણાવી દઈએ કે, હૈદરાબાદમાં દિલ્હીના નિર્ભયા કાંડનું પુનરાવર્તન જોવા મળ્યું. ક્રૂરતાની તમામ હદો વટાવતા નરાધમોએ 27 વર્ષની પશુ ચિકિત્સક સાથે બળાત્કાર કર્યો અને બાદમાં તેને જીવતી સળગાવી દીધી. બાદમાં તેને અડધી બળેલી હાલતમાં પુલની નીચે ફેંકી દેવામાં આવી. નિર્ભયાને જે રીતે નરાધમોએ મદદનો વિશ્વાસ આપીને બસમાં બેસાડી દીધી હતી તે જ રીતે હૈદરાબાદમાં પણ મૃતક પીડિતાને મદદ કરવાની ખાતરી આપી તેની સાથે દુષ્કર્મ કરાયું હતું.

Read Next Story