સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવા બદલ બોલિવુડના મોટા માથા જેવા કે, સલમાન ખાન, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી અને કરણ જોહર સામે કેસ દાખલ કરવાની અરજી બિહાર કોર્ટે ફગાવી છે. કેસ સત્તાવિસ્તારની બહારનો હોવાનું કહીને કોર્ટે બુધવારે પિટિશન ફગાવી હતી. મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ કુમારે સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝાએ કરેલી પિટિશન ફગાવતા કહ્યું કે, આ કેસ કોર્ટના સત્તાવિસ્તારની બહારનો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
34 વર્ષીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મુંબઈમાં આત્મહત્યાના ત્રણ દિવસ બાદ આ પિટિશન કરવામાં આવી હતી. જેમાં એડવોકેટ ઓઝાએ એક્ટ્રેસ કંગના રનૌતના નામનો ‘સાક્ષી’ તરીકે ઉલ્લેખ કર્યો હતો. સુશાંતના મોત બાદ કંગનાએ બોલિવુડમાં નેપોટિઝમ અને ફેવરિટિઝમ હોવાની વાત કરતાં વિડીયો પોસ્ટ કર્યા હતા. છેલ્લા થોડા સમયમાં એડવોકેટ ઓઝા ફિલ્મ અને રાજકારણની ટોચની હસ્તીઓ સામે ઘણી પિટિશન કરી ચૂક્યા છે. ત્યારે CJMએ આ અરજી ફગાવી દેતાં તેઓ હાર માન્યા નથી.
મીડિયા સાથે વાત કરતાં એડવોકેટ ઓઝાએ કહ્યું, “હું સીજેએમના નિર્ણયને જિલ્લા અદાલતમાં પડકારીશ. સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બિહાર ઊંડા દુઃખમાં છે. સુશાંત જેવા ખુશમિજાજી યુવાનને આવું અંતિમ પગલું ભરવા માટે પ્રેરનારાઓને સજા મળવી જોઈએ, ન્યાય થવો જોઈએ.”
પટનામાં જન્મેલા સુશાંત સિંહ રાજપૂતના મોતમાં ષડયંત્ર હોવાની વાત ખાસ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બિહારના લોકોએ કરી છે. સાથે જ CBIને કેસ સોંપવાની માગ કરી છે. આ માગ કરનારાઓમાં એક્ટર શેખર સુમન અને સિંગર-રાજકારણી અને ભાજપ સાંસદ મનોજ તિવારીનો સમાવેશ થાય છે.