એપશહેર

કોરોનાથી શ્રવણ રાઠોડનું નિધન, ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડ્યા નદીમ- કહ્યું 'મારો શાનુ જતો રહ્યો'

શ્રવણ રાઠોડ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા, 90ના દાયકામાં નદીમ સાથે મળીને તેમણે ઘણી ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું હતું

I am Gujarat 22 Apr 2021, 11:28 pm
કોરોનાના કહેરે બોલીવૂડના વધુ એક દિગ્ગજ કલાકારનો ભોગ લીધો છે. નદીમ-શ્રવણની લોકપ્રિય સંગીતકારની જોડીના શ્રણવ કુમાર રાઠોડનું ગુરૂવારે કોવિડ-19થી નિધન થયું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દિગ્ગજ સંગીતકાર શ્રવણ રાઠોડ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગુરૂવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ મુંબઈના માહિમની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
I am Gujarat shravan rahtod


મીડિયા અહેવાલ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી શ્રવણ રાઠોડની તબીયત ઘણી ખરાબ થઈ ગઈ હતી. શ્રવણ રાઠોડના પત્ની અને તેમના પુત્ર તથા સંગીતકાર સંજીવ રાઠોડ પણ અંધેરીમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બોમ્બે ટાઈમ્સ સાથે ફોન પર વાતચીત કરતા તેમના જોડીદાર નદીમ શપી રડી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે મારો શાનુ હવે આ દુનિયમાં રહ્યો નથી. અમે આખી જીંદગી એકસાથે રહ્યા છીએ. અમે સાથે સુખ-દુઃખ જોયા છે. અમે ઘણી બધી રીતે એકબીજા સાથે આગળ વધ્યા છીએ. અમે હંમેશા એકબીજાની સાથે રહીશું. અમને કોઈ ક્યારેય અલગ કરી શકશે નહીં.

મેં તેના પુત્ર સાથે વાતચીત કરી હતી. શ્રવણની તબીયત બગડી હતી અને જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારથી છેલ્લા કેટલાક દિવસોથી અમે એકબીજાના સંપર્કમાં હતા. શ્રવણની પત્ની અને તેના પુત્રની તબીયત પણ ખરાબ છે અને તેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મને ઘણું દુઃખ થઈ રહ્યું છે કે આવા કપરા સમયમાં હું રૂબરૂ તેમની સાથે નથી અને તેમને મદદ કરી શકતો નથી. એટલું જ નહીં હું મારા મિત્રને અંતિમ વિદાય પણ આપી શકતો નથી, તેમ નદીમે જણાવ્યું હતું.

66 વર્ષીય શ્રવણ રાઠોડને માહિમની એસએલ રાહેજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને અન્ય રોગ પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ડોક્ટરોએ તેમને આઈસીયુમાં રાખ્યા હતા. તેમના અંતિમ દિવસોમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના નજીકના મિત્ર અને ગીતકાર સમીર અંજાને અગાઉ ઈટી ટાઈમ્સને જણાવ્યું હતું કે, શ્રવણને ડાયાબિટીસ છે અને કોરોનાના ચેપના કારણે તેમના ફેફસા ચેપગ્રસ્ત બન્યા છે. તેને હ્રદયની પણ તકલીફ ઊભી થઈ હતી. તેઓ ઝડપથી સાજા થઈ જાય તેના માટે ભગવાનને પ્રાર્થના કરો.

નોંધનીય છે કે 1990ના દાયકામાં નદીમ-શ્રવણની જોડી ઘણી જ લોકપ્રિય બની હતી. તેમણે ઘણી ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું છે. 1990ના દાયકામાં આશિકી, સાજન, પરદેશથી લઈને રાજા હિંદુસ્તાની જેવી ફિલ્મોનું સંગીત સામેલ છે. આ ઉપરાંત બંનેએ સાથી મળીને કેટલાક આલ્બમ પણ આપ્યા હતા.

Read Next Story