એપશહેર

કંગના રનોત સામે ટ્વિટરની મોટી કાર્યવાહી, ડિલીટ કરી ઘણી 'વાંધાજનક' ટ્વીટ્સ

કંગના રનોતે હાલના દિવસોમાં ખેડૂત આંદોલન પર ઘણી ટ્વીટ કરી હતી. હવે ટ્વિટરે કંગનાની ઘણી ટ્વીટસ ડિલીટ કરી દીધી છે.

I am Gujarat 4 Feb 2021, 4:36 pm
બોલિવુડ એક્ટર કંગના રનોત સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યા બાદ કંગના રનોત સતત ખેડૂત આંદોલનને સપોર્ટ કરતી ટ્વીટ કરીને ચર્ચામાં છે. જોકે, હવે કંગના રનોતની કેટલીક ટ્વીટ્સને ટ્વિટરે હટાવી દીધી છે. ટ્વિટરે કહ્યું છે કે, કંગનાની આ ટ્વીટ્સમાં તેના નિયમોનું ઉલ્લંઘન થયું છે, એટલે તેને હટાવી લેવાઈ છે.
I am Gujarat Kangana Ranaut


કંગનાની ટ્વીટ ડિલીટ કરવા પર ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે, 'અમે એ ટ્વીટ્સ પર એક્શન લીધા છે, જે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી.' હવે, કંગનાની આ વિવાદિત ટ્વીટ તેના હેન્ડલ પર જોવા નહીં મળે. તેમાંથી એક કંગનાની રોહિત શર્મા અને અન્ય ક્રિકેટર્સ વિશે એ વિવાદિત ટ્વીટ પણ હતી, જેમાં તેણે ક્રિકેટર્સની સરખામણી 'ધોબીના કૂતરા' સાથે કરી હતી. રોહિત શર્માએ ભારતની એકતાને લઈને ટ્વીટ કરી હતી, તેના જવાબમાં કંગનાએ ક્રિકેટર્સને ધોબીના કૂતરા કહી દીધા હતા.

એટલું જ નહીં તેણે રિહાનાએ ખેડૂત આંદોલનના કારણે પ્રભાવિત ઈન્ટરનેટ સેવા પર ટ્વીટ કરી હતી. રિહાનાએ કહ્યું હતું કે, આ અંગે કેમ વાત નથી કરી રહ્યા? તેના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે, 'આ અંગે એટલા માટે કોઈ વાત નથી કરી રહ્યું કેમકે તે ખેડૂતો નહીં, આતંકવાદી છે, જે ભારતના ભાગલા પાડવા ઈચ્છે છે. જેથી ચીન જેવા દેશ આપણા દેશ પર કબજો કરી લે અને યુએસએ જેવી ચાઈનીઝ કોલોની બનાવી દે. તું શાંત બેસ મૂર્ખ. અમે લોકો તારા જેવા મૂર્ખ નથી, જે પોતાના દેશને વેચી દે.'

ઉલ્લેખનીય છે કે, કંગનાની ટીમ જે અકાઉન્ટને પહેલા સંભાળતી હતી, એ જ અકાઉન્ટને ઓગસ્ટ મહિનાથી કંગના જાતે સંભાળી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મોતા પછીથી પોતાના વિરોધીઓ પર સતત તીખી ટિપ્પણીઓ કરવાના કારણે કંગના હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરના દિવસોમાં કંગના સતત ખેડૂત આંદોલનના વિરોધમાં ટ્વીટ કરી રહી છે.

Read Next Story