એપશહેર

દીપિકા, સારા, શ્રદ્ધા અને રકુલની પૂછપરછમાં શું ખુલાસો થયો? NCBના અધિકારીએ જણાવ્યું

બોલિવુડ ડ્રગ ચેટ કેસમાં હાલ NCBએ ધર્મા પ્રોડક્શન્સના પૂર્વ કર્મચારી ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી છે. ક્ષિતિજનું કહેવું છે કે, અમુક નામ લેવા માટે NCBએ તેના પર દબાણ કર્યું હતું.

TNN 28 Sep 2020, 11:00 am
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્ર્રોલ બ્યૂરો(NCB)એ તપાસ શરૂ કરી હતી. NCBની તપાસમાં મોટા એક્ટર્સના નામ સામે આવ્યા હતા અને હાલમાં જ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહની પૂછપરછ કરવામાં આવી છે. આ ચારેય એક્ટ્રેસે ડ્રગ્સ લેવાની વાત નકારી કાઢી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના એક અધિકારીએ કહ્યું કે, તેમણે પૂછપરછમાં સિગરેટ સુદ્ધાં ન પીધી હોવાનું કહ્યું છે. જો કે, બીજી તરફ વોટ્સએપ ચેટમાં વપરાયેલા 'ડૂબ' શબ્દનો અર્થ રોલ કરેલી સિગરેટ થાય તેમ કહ્યું છે.
I am Gujarat shraddha sara rakul dp
NCBએ હાલમાં જ આ ચારેય અભિનેત્રીઓની પૂછપરછ કરી હતી.


સુશાંત સિંહ રાજપૂતની કથિત ડ્રગ્સની લત વિશે પણ ખબર ના હોવાનું આ હીરોઈનોએ જણાવ્યું છે. NCBના અધિકારીએ કહ્યું કે, આ ચારેયે મોબાઈલ પોતાની મરજીથી જમા કરાવ્યા હતા અને હવે તેમના ફોનના ટેક્નિકલ એનાલિસિસ પરથી શંકાનું સમાધાન થશે.

દરમિયાન, કરણ જોહરના ધર્મેટિક એન્ટરટેઈનમેન્ટના પૂર્વ એક્સઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદે કોર્ટના મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું છે કે, કરણ જોહરને ફસાવવા માટે નિવેદન આપવા તેના પર દબાણ કરાયું હતું. ક્ષિતિજના વકીલ સતીશ માનેશિંદેએ આરોપ લગાવ્યો છે કે, NCBની ટીમે બળજબરી કરીને તેનું નિવેદન લીધું અને કરણ જોહરને ફસાવવા માટે ડીલ ઓફર કરી હતી. જો કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

જણાવી દઈએ કે ક્ષિતિજ રવિ પ્રસાદની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી અને 3 ઓક્ટોબર સુધી તે એનસીબીની રિમાન્ડમાં રહેશે. આ કેસમાં પકડાયેલા રિયા ચક્રવર્તી સિવાયના 20 લોકોમાં ક્ષિતિજનું નામ પણ સામેલ છે. ક્ષિતિજ પ્રસાદના રિમાન્ડ માગતી વખતે NCBના એક અધિકારીએ કહ્યું હતું કે, તે ડ્રગ સિન્ડિકેટ લિંકનો મહત્વનો આરોપી છે અને પૂછપરછ દરમિયાન સહકાર પણ નહોતો આપતો.

રિમાન્ડ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ક્ષિતિજ પ્રસાદે કરમજીત ઉર્ફે આનંદ સિંહ અને તેના સાગરીતો અંકુશ અરનેજા અને કૈઝાન ઈબ્રાહિમ પાસેથી ગાંજાની ડિલિવરી લીધી હતી. આ ત્રણેયનું સુશાંત સિંહ રાજપૂતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા સાથે કનેક્શન છે. માટે કેસમાં તેની ભૂમિકા શું છે તે જાણવા માટે NCBને ક્ષિતિજની કસ્ટડી જોઈએ છે.

આ તરફ રિયા ચક્રવર્તી અને ક્ષિતિજ પ્રસાદના વકીલ સતીશ માનેશિંદેએ આરોપ લગાવ્યો છે કે, NCBની ટીમ ક્ષિતિજ પાસે કબૂલાત કરાવવા માટે દબાણ ઊભું કરી રહી છે. માનેશિંદેનો દાવો છે કે, ક્ષિતિજના ઘરેથી દરોડા દરમિયાન NCBની ટીમને બાલ્કનીમાંથી સિગરેટના ઠૂંઠા સિવાય કંઈ નથી મળ્યું પરંતુ તેઓ તેને ગાંજામાં ખપાવી રહ્યા છે. માનેશિંદેનું કહેવું છે કે, ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ ક્ષિતિજ પ્રસાદને કહ્યું કે, જો તે કરણ જોહર, સોમલ મિશ્રા, રાખી, અપૂર્વ, નીરજ અથવા રાહિલને ડ્રગ્સના કેસમાં ફસાવશે તો તેને તેઓ છોડી દેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો