એક્ટ્રેસ તુનિષા શર્મા પંચતત્વમાં વિલીન થઈ ગઈ છે. 20 વર્ષીય ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરના રોજ બપોરે સિરિયલના સેટ પર આત્મહત્યા કરી હતી. તુનિષાના આજે એટલે કે 27 ડિસેમ્બરના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તુનિષાની માતાની આંખો રડી રડીને સૂજી ગઈ હતી અને દીકરીના અંતિમ સંસ્કારમાં તેઓ બેભાન થઈ ગયા હતા.
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ (Tunisha Sharma) 20 વર્ષની ઉંમરમાં જીવન ટૂંકાવતા તેના મમ્મી એકલા પડી ગયા છે. તેઓ તેમની દીકરીને ન્યાય અને બોયફ્રેન્ડ શીઝાન (Sheezan Khan) ખાનને સજા આપવાની માગ કરી રહ્યા છે. મુંબઈની જેજે હોસ્ટિપલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી થયા બાદ તુનિષા શર્માના મૃતદેહને સોમવારે રાતે ભાયંદરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. દિવંગત એક્ટ્રેસના મમ્મી અને પરિવારના તમામ સભ્યો તેના પાર્થિવ દેહને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. દીકરીની લાશને જોતાં જ વનિતા શર્મા (Vanita Sharma) બેભાન થઈ ગયા હતા. પરિવારના કેટલાક સભ્યોએ તેમના બંને હાથ પકડીને માંડ-માંડ કાર સુધી પહોંચ્યા હતા અને તેમને અંદર બેસાડ્યા હતા. આ દરમિયાન પણ તેમની સ્થિતિ ભાવુક કરી દે તેવી હતી. તેઓ કંઈ બોલી શક્યા નહોતા. જો કે, તેમના ચહેરા પરના હાવભાવ ઘણું કહી રહ્યા હતા.
તુનિષા શર્માના મમ્મીએ લગાવ્યા ગંભીર આરોપ
અગાઉ, તુનિષાના માતાએ 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબૂલ'ના કો-એક્ટર શીઝાન ખાન પર ઉપયોગ કરવાનો અને દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું, તે અન્ય મહિલા સાથે રિલેશનશિપમાં હોવા છતાં તેણે તુનિષાને લગ્નનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'આજે હું મીડિયાને જણાવવા માગું છું કે, શીઝાને તુનિષાને દગો આપ્યો હતો. તેના સાથે રિલેશનશિપમાં રહ્યો. લગ્નનું વચન આપીને તેની સાથે બ્રેકઅપ કરી લીધું. આ પહેલા તે કોઈ અન્ય છોકરી સાથે રિલેશનમાં હતો. ત્રણ-ચાર મહિના તેનો ઉપયોગ કર્યો.
હું માત્ર એટલું કહેવા માગું છું કે, તેને સજા મળી જોઈએ. શીઝાનને છોડતા નહીં. મેં મારું બાળક ગુમાવ્યું છે. બાકી મીડિયા કોઓપરેટ કરી રહ્યું છે. હું મીડિયાનો દિલથી આભાર માનું છું'. જણાવી દઈએ કે, તુનિષા શર્માના આપઘાત બાદ શીઝાન ખાનની તરત જ ધરપકડ કરવામાં આવી હતી અને તે ચાર દિવસ માટે પોલીસની કસ્ટડીમાં છે.