એપશહેર

અમદાવાદ બોંબ બ્લાસ્ટ હોય કે ભાનુશાળી મર્ડરઃ આગવી રીતે કેસ ઉકેલવામાં નિષ્ણાત છે આશિષ ભાટિયા

ગુજરાતના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે, 1985ની બેચના આઈપીએસ ભાટિયા ધીરજપૂર્વક અને શાંત સ્વભાવે કેસ ઉકેલવામાં માહેર છે

I am Gujarat 31 Jul 2020, 10:25 pm
ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સંભાળનારા આશિષ ભાટિયા હરિણાયામાં જન્મ્યા છે અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આશિષ ભાટિયા 2016માં સુરતના કમિશનર તરીકે પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. અત્યંત શાંત સ્વભાવના આશિષ ભાટિયાએ મોટા-મોટા કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે. અમદાવાદના સિરિયલ બ્લાસ્ટથી લઈને બિટકોઈન તોડકાંડનો કેસ હોય ભાટિયાએ પોતાના નેટવર્કના આધારે કેસ ઉકેલી કાઢ્યા છે.
I am Gujarat 1985 batch ips ashish bhatia appointed as new dgp of gujarat
અમદાવાદ બોંબ બ્લાસ્ટ હોય કે ભાનુશાળી મર્ડરઃ આગવી રીતે કેસ ઉકેલવામાં નિષ્ણાત છે આશિષ ભાટિયા


ઘણી મોટી જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે ભાટિયા

આશિષ ભાટિયા અમદાવાદના કમિશનરથી ડીજીપી બન્યા છે. તે અગાઉ તેઓ 2016મા સુરતના કમિશનર હતા. આ ઉપરાંત તેમણે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, રેલવેના ડીજીપી અને સીઆઈડી ક્રાઈમ વડાની જવાબદારીઓ સંભાળી છે. હવે તેઓ ગુજરાતના પોલીસ વડા તરીકેની જવાબદારી સંભાળશે.

શાંત મગજ રાખીને કેસો ઉકેલવામાં નિષ્ણાંત

આશિષ ભાટિયા 1985ની બેચના આઈપીએસ છે. તેમણે 2001મા પોલીસ મેડલ અને 2011મા પ્રેસિડેન્ટ મેડલ મેળ્યો છે. તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ અત્યંત ધીરજ અને શાંત ચિત્તે કામ કરે છે. કોઈ પણ જાતની ઉતાવળ વગર તેઓ લાંબી પૂછપરછ કરીને આરોપી પાસે માહિતી કઢાવી લે છે. તેમની પૂછપરછ બાદ કેસની મોટા ભાગની માહિતી બહાર આવી જતી હોય છે.

19 દિવસમાં જ ઉકેલી દીધો અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો કેસ

2008મા અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાએ ધીરજ ગુમાવી ન હતી અને ફક્ત 19 દિવસની અંદર કેસ ઉકેલી દીધો હતો. આ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનો હાથ હોવાનું સાબિત કરીને 30 જેટલા આરોપીઓનો પકડી લીધા હતા.

બિટકોઈન કાંડમાં પણ મળી હતી સફળતા

ગમે તેવો કેસ હોય પરંતુ આશિષ ભાટિયા પોતાની કુનેહપૂર્વક તેને ઉકેલવામાં માહેર છે. 2018મા સામે આવેલા ગુજરાતના સૌથી મોટા બિટકોઈન કૌભાંડને પણ તેમણે સફળતાપૂર્વક ઉકેલી દીધો હતો. એટલું જ નહીં તેમાં સંડોવાયેલા મોટા માથાઓને પણ બહાર લાવવામાં તેમણે પાછીપાની કરી ન હતી. આ કેસમાં જગદીશ પટેલ જેવા પોલીસ અધિકારીઓ તથા ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સંડોવણી હતી.

બહુચર્ચિત ભાનુશાળી હત્યા કેસને પણ ઉકેલ્યો

2019મા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાથી રાજકિય જગતમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, આ હાઈપ્રોફાઈલ કેસને પણ રેલવેના તત્કાલિન વડા આશિષ ભાટિયાએ ઉકેલી દીધો હતો. આશિષ ભાટિયાએ એક એસઆઈટી બનાવી હતી. આ હાઈપ્રોફાઈલ કેસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની પણ ધરપકડ કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો