એપશહેર

કોરોના વાયરસઃ અમદાવાદમાં 302 અને સુરતમાં 204 નવા કેસ નોંધાયા

અમદાવાદ અને સુરત ઉપરાંત રાજકોટ અને વડોદરા શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં 100થી વધુ કેસ સામે આવ્યા છે

I am Gujarat 2 Dec 2020, 8:27 pm
કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જોકે, સરકારના આ પ્રયાસમાં સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું નથી. ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કોરોનાના કેસની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 302 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 204 કેસ નોંધાયા છે. વડોદરા અને રાજકોટમાં પણ 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
I am Gujarat ahmedabad civil2


અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 302 કેસ સામે આવ્યા છે જેની સામે 309 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ જિલ્લામાં 23 કેસ નોંધાયા છે અને 21 દર્દીઓ સાજા થયા છે. કોવિડ-19ના કારણે અમદાવાદમાં આઠ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ અમદાવાદ બાદ સૌથી વધારે અસરગ્રસ્ત શહેર સુરતમાં પણ પરિસ્થિતિમાં કોઈ ફેર પડી રહ્યો નથી.

સુરતમાં દૈનિક 200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં પણ 50ની આસપાસ કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોવિડ-19ના 204 કેસ સામે આવ્યા છે. જોકે, તેની સામે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 256ની રહી છે. સુરત જિલ્લામાં 48 કેસ સામે આવ્યા છે અને 51 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. સુરત શહેરમાં કોરોનાથી બે તથા જિલ્લામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

વડોદરા અને રાજકોટમાં પણ 100થી વધુ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 135 કેસ સામે આવ્યા છે અને 126 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરા જિલ્લામાં 41 કેસ નોંધાયા છે અને 34 દર્દીઓ સાજા થયા છે. રાજકોટમાં 108 નવા કેસ નોંધાયા છે અને 86 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં 45 કેસ નોંધાયા છે જ્યારે 26 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યું થયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો