એપશહેર

ડીંગુચા ગામ ફરી ચર્ચામાં આવ્યું, તાજેતરમાં જ 35 લોકો ફેક ડૉક્યુમેન્ટ્સ પર USA ગયા હોવાની શંકા

જાન્યુઆરી 2022માં અમેરિકામાં પ્રવેશવાના પ્રયાસમાં જગદીશ પટેલના આખા પરિવારનું મોત થયાની ઘટના બાદ પણ ડીંગુચાના લોકોનો અમેરિકા જવાનો મોહ નથી ઘટ્યો! અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં પકડાયેલી 'નકલી દસ્તાવેજોની ફેક્ટરી'માંથી ડીંગુચાના 35 લોકોની ફાઈલ મળતા પોલીસ ચોંકી. ચાર વર્ષમાં એક હજારથી પણ વધુ લોકો નકલી દસ્તાવેજો પર અમેરિકા પહોંચ્યા હોવાની શંકા.

Authored byAshish Chauhan | Edited byનવરંગ સેન | TNN 17 Sep 2022, 9:52 am
અમદાવાદ: કેનેડા પહોંચ્યા બાદ ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસમાં કાતિલ ઠંડીમાં થીજીને મોતને ભેટેલા ડીંગુચાના એક જ પરિવારના ચાર લોકોના મોત થયા બાદ પણ લોકોનો જીવના જોખમે પણ અમેરિકા જવાનો મોહ નથી ઘટી રહ્યો. પોલીસે હાલમાં જ અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં વિદેશ પ્રવાસ માટે ફેક ડોક્યુમેન્ટ બનાવી આપતા એક રેકેટનો ભાંડો ફોડ્યો છે. જે ઓફિસમાં આ દસ્તાવેજ તૈયાર કરાતા હતા તેની તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે, છેલ્લા કેટલાક ગણતરીના મહિનામાં જ માત્ર ડીંગુચામાંથી જ 35 જેટલા લોકો ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળી ગયા છે.
I am Gujarat 35 people from dingucha may have flown to the usa illegally say police
ડીંગુચા ગામ ફરી ચર્ચામાં આવ્યું, તાજેતરમાં જ 35 લોકો ફેક ડૉક્યુમેન્ટ્સ પર USA ગયા હોવાની શંકા


અમદાવાદ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ન્યૂ રાણિપ વિસ્તારમાં રહેતા એક શખશ અને તેના બે દીકરા દ્વારા દિલ્હી દરવાજા વિસ્તારમાં ચલાવાતી ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી પોલીસને નકલી દસ્તાવેજો મળતા આ સમગ્ર કાંડનો ભાંડો ફુટ્યો હતો. સોમવારે ઓફિસના સર્ચ દરમિયાન જાણવા મળ્યું હતું કે પાસપોર્ટ તેમજ વિઝા મેળવવા માટે જરુરી દસ્તાવેજો આ ઓફિસમાં ગેરકાયદે રીતે તૈયાર કરવામાં આવતા હતા.

અંદાજે એક હજાર જેટલા લોકોના દસ્તાવેજ આ ઓફિસમાં તૈયાર થયા હોવાનું પોલીસનું માનવું છે. આ તમામ લોકો છેલ્લા ચાર વર્ષમાં અમેરિકા જતા રહ્યા હોવાની પોલીસને શંકા છે. આ રેકેટ ચલાવનારા મુખ્ય આરોપીની ઓળખ સૂર્યપ્રકાશ કોષ્ટી તરીકે કરવામાં આવી છે. જેની સાથે તેના બે દીકરા અભિષેક અને નિશિથ પણ સામેલ હતા. આ તમામ લોકો ન્યૂ રાણિપના સન રિયલ હોમ્સમાં રહે છે. તેમની સાથે ન્યૂ રાણિપના જ ઉદયપ્રકાશ પુજારી અને જયેશ કોષ્ટીની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉદયપ્રકાશ ન્યૂ રાણિપની પ્રમુખ સોસાયટીમાં રહે છે, જ્યારે જયેશ કોષ્ટી બાપુનગરની ઓતંબા સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

SOGના સૂત્રોનું માનીએ તો તમામ આરોપી ફેક બેંક સ્ટેટમેન્ટ, બેલેન્સ શીટ, ગુમાસ્તા લાઈસન્સ, આઈટી સર્ટિફિકેટ તૈયાર કરી આપતા હતા. વિઝા અને પાસપોર્ટ માટે જરુરી કોઈપણ ડોક્યુમેન્ટ ગેરકાયદે રીતે તૈયાર કરી આપવાનો તગડો ચાર્જ વસૂલવામાં આવતો હતો. છેલ્લા ચાર વર્ષથી આ ઓફિસ ચલાવાતી હતી. પોલીસે તેમના કમ્પ્યુટરની તપાસ કરતા એક હજાર જેટલા લોકોના ફેક દસ્તાવેજ તૈયાર કરાયા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. તપાસ હજુય ચાલુ છે ત્યારે આ આંકડો હજુય વધી શકે છે.

ચોંકાવનારી વાત એ છે કે, નકલી દસ્તાવેજ લેનારા જે 1,000 લોકોની પોલીસને વિગતો મળી છે તેમાંથી 35 તો ડીંગુચાના જ છે. પોલીસને આરોપીઓ પાસેથી અલગ-અલગ ગ્રામપંચાયતના સિક્કા પણ મળ્યા છે, જેમાં ડીંગુચાના સ્ટેમ્પનો પણ સમાવેશ થાય છે.

આરોપીઓ પાસેથી ડીંગુચાની ફાઈલો પણ મળી આવતા તેઓ ગેરકાયદે રીતે લોકોને અમેરિકા મોકલતા એજન્ટોના સંપર્કમાં હોવાની પોલીસને શંકા છે. ઉલ્લેખનીય છે કે, 19 જાન્યુઆરીના રોજ બોર્ડર ક્રોસ કરી કેનેડાથી અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં ડીંગુચાના જગદીશ પટેલ, તેમના પત્ની વૈશાલી, દીકરી વિહંગા અને ત્રણ વર્ષનો દીકરો ધાર્મિક કાતિલ ઠંડીમાં મોતને ભેટ્યા હતા.

Read latest Ahmedabad News and Gujarati News

Read Next Story