એપશહેર

અ'વાદઃ આંગડિયા પેઢીના લોકરમાંથી 50 લાખની ચોરી, CCTVનું ડીવીઆર પણ ગાયબ

I am Gujarat 26 Nov 2020, 8:11 am
અમદાવાદઃ શહેરના સી.જી રોડ ખાતે અલગ-અલગ બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતી જે.કે એન્ડ કંપની નામની આંગડિયા પેઢીના સમુદ્રા એનેક્સી કોમ્પલેક્ષના લોકરમાંથી 11 દિવસના સમયમાં જ રૂ.50 લાખ ગાયબ થઈ જતા પેઢી સંચાલકો ચોંકી ઉઠ્યા હતા. લોકરરૂમવાળી ઓફિસમાં સીસીટીવીનું ડીવીઆર પણ ગાયબ થઈ જતા પેઢીમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જોકે છતાં કોઈ સંતોષજનક જવાબ ન મળતા એક સમયે વિશ્વાસુ ગણાતા ચાર કર્મચારીઓ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
I am Gujarat nav 1
નવરંગપુરા પોલીસ સ્ટેશનની તસવીર


ઘટનાની વિગતો મુગજ , ન્યૂ ચાંદખેડામાં ડાયમંડ ગ્રીન્સ ખાતે પરિવાર સાથે રહેતા 27 વર્ષના ચિરાગ ઠક્કર કચ્છ ખાતે રહેતા મામા જયેશ પૂજારા તથા સેટેલાઈટની સત્યમ ઈન્સિગ્નિયામાં રહેતા કાકા કલ્પેશ ઠક્કર સાથે મળીને સી.જી રોડ પર અલગ-અલગ બિલ્ડિંગમાં જે.કે એન્ડ કંપની નામની આંગડિયા પેઢી ચલાવે છે. તેમની સી.જી રોડના ગોલ્ડસુખ કોમ્પલેક્ષ, સમુદ્ર એનેક્સી બિલ્ડિંગ તથા ઈસ્કોન આર્કેટ ખાતે આવેલી છે. આ ઉપરાંત તેમના મામા અને કાકાની ગૌ શાળાની ઓફિસ ટેન-ઈલેવન કોમ્પલેક્ષમાં આવેલી છે.

જેમાં નવરંગપુરા સમુદ્ર એનેક્સી કોમ્પલેક્ષની ઓફિસમાં પૈસા મૂકવા માટે લોકરની વ્યવસ્થા કરવામાં આવી છે તથા આ લોકરની ચાવી ટેન-ઈલેવન કોમ્પલેક્ષમાં આવેલી ગૌ શાળાની ઓફિસમાં કામ કરતા અને ચાંદખેડાના સોનાનગરમાં રહેલા કૃણાલ તુરખીયા પાસે છેલ્લા 6 મહિનાથી છે. પૈસાનું કામ હોય ત્યારે કૃણાલભાઈ અન્ય કર્મચારીઓ સાથે પૈસાનું કામ પતાવીને ચાવી ગૌ શાળાની ઓફિસમાં મૂકી દેતા હતા. તેમના ઉપરાંત ગોલ્ડ સુખ કોમ્પલેક્ષ ખાતેની ઓફિસમાં કામ કરતા હસમુખ ડાભી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તેમના ઉપરાંત ઈસ્કોન આર્કેટ ઓફિસમા કામ કરતા હરિલાલ ઠક્કર અને જિતેન્દ્ર ગોહિલ પણ પૈસા લેવા-મૂકવાની જવાબદારી સંભાળે છે.

12મી નવેમ્બરે સાંજના સમયે હસમુખ ડાભી તથા જીતેન્દ્ર ગોહિલે કૃણાલની હાજરીમાં જ સમુદ્ર એનેક્સી ખાતે લોકરમાં 40 લાખ રોકડા મૂક્યા હતા અને ત્યાર બાદ તે જ દિવસે હિતેન્દ્ર ઠક્કરે કૃણાલની હાજરીમાં 10 લાખ લોકરમાં મૂક્યા હતા. એમ એક જ દિવસમાં 50 લાખ જેટલી રકમ લોકરમાં મૂકવામાં આવી હતી. જે બાદ દિવાળી બાદથી ઓફિસ બંધ હતી અને 19મી નવેમ્બરે ઓફિસનું મુહૂર્ત કરાયું પરંતુ પૈસાની જરૂર ન હોવાથી લોકર ખોલાયું નહોતુ. 23મી નવેમ્બરે પૈસાની જરૂર પડતા ચિરાગભાઈએ પેઢીના ડ્રાઈવર બીટન દાસ અને કૃણાલ તુરખીયાને લોકરમાથી 50 લાખ લેવા મોકલ્યા હતા. થોડી જ વારમાં ડ્રાઈવરે ફોન કરીને લોકરમાં પૈસા ન હોવાનું જણાવતા ચિરાગભાઈ ત્યાં પહોંચ્યા હતા. અહીં તેમણે તપાસ કરતા લોકર સંપૂર્ણ ખાલી હતું તથા સીસીટીવી ફૂટેજનું ડીવીઆર પણ ગાયબ જણાયું.

અહીં ચોંકાવનારી બાબત એ હતી કે લોકર ખાલી હતું પરંતુ કોઈપણ દરવાજા કે લોકરનું તાળું તૂટેલું નહોતું એટલે અંદરની જ કોઈ વ્યક્તિએ ચાવીથી તાળા ખોલીને છેતરપિંડી કરી હોવાનો ખ્યાલ આવ્યો. આ બાદ ચિરાગભાઈએ પેઢીમાં કામ કરતા તમામ કર્મચારીઓની પૂછપરછ કરી પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ એક સમયે વિશ્વાસુ મનાતા કર્મચારીઓ સામે જ પોલીસે તપાસ શરૂ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો