એપશહેર

અમદાવાદ: પિરાણાના કચરાના ઢગલામાં શનિવારથી દટાયેલી બાળકીનો હજુ નથી લાગ્યો પત્તો

કચરો વીણવા ગયા હતા ત્યારે બની દુર્ઘટના, 9 વર્ષનો ભાઈ મળી ગયો પરંતુ બહેનની હજુ પણ નથી મળી ભાળ

I am Gujarat 27 Sep 2020, 6:33 pm
અમદાવાદઃ ઓગસ્ટ 2019માં ગંદકીના પહાડ તરીકે ઓળખાતા પીરાણાના 'કચરાના પર્વત' મુદ્દે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ગુજરાત સરકાર અને AMCની આકરી ઝાટકણી કાઢી હતી. જોકે, કોઈ નક્કર યોજના ન હોવાના કારણે કચરાના ગંજ હજુ પણ યથાવત્ જ ખડકાઈ રહ્યાં છે. હવે આ જ પીરાણા ડમ્પિંગ સાઈટ પર 12 વર્ષની બાળકી દટાઈ ગઈ હતી. જે હજુ પણ મળી નથી. જ્યારે ભાઈ બહેન કચરો વીણવા માટે ગયા હતા ત્યારે શનિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ કાફલા સહિત ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.
I am Gujarat a girl trapped in a dump of pirana garbage since saturday in ahmedabad
અમદાવાદ: પિરાણાના કચરાના ઢગલામાં શનિવારથી દટાયેલી બાળકીનો હજુ નથી લાગ્યો પત્તો


9 વર્ષના ભાઈનો બચાવ, 12 વર્ષની બાળકી ગુમ
સૂએજ ફાર્મના કચરાના ઢગલામાં બાળકી દટાઈ હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાઈ બહેન બન્ને કચરો વીણવા માટે ગયા હતા ત્યારે અચાનક જ ઉપરથી કચરાનો ઢગલો તેમની પર પડ્યો હતો અને બન્ને તેની નીચે દટાઈ ગયા હતાં. ગઈકાલે રાતે આ ઘટના બની હતી. જેમાં 9 વર્ષના ભાઈને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે 12 વર્ષની બાળકીની હજુ કોઈ ભાળ મળી નથી. ટીમ દ્વારા બાળકીનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બાળકીને બચાવવા માટે અધિકારીઓ તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. જેસીબી તેમજ અલગ અલગ મશીનો દ્વારા કચરો ઉલેચવામાં આવી રહ્યો છે.

ઝેરી અસરના કારણે મુશ્કેલ બન્યું રેસ્ક્યૂ
જોકે, શહેરભરનો કચરો અહીં ઠલવાતો હોવાથી કચરાના મોટા મોટા ગંજ ખડકાઈ ચૂક્યા છે. આ ઢગલા ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાના કારણે ઉત્સર્જિત થતા ઝેરી ગેસની પણ અસર જોવા મળે છે. જેને લઈને બાળકીને શોધવાનું કામ પણ ખૂબ જ મુશ્કેલભર્યું બન્યું છે. હાલ તો ફાયર બ્રિગેડના કર્મચારીઓ એ શોધવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે કે બાળકી કઈ જગ્યાએ છે?

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના ઠપકા પછી આદરી હતી કામગીરી
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે આપેલા ઠપકા પછી યુદ્ધના ધોરણે ઘનકચરો ઠલવાય છે એવા પીરાણા ડમ્પ સાઈટને ક્લિયર કરવાની કામગીરી આદરવામાં આવી હતી. રોડ સાઈડના કચરાના પહેલા ડુંગરને ક્લિયર કરવાની કામગીરી 12 જેટલા ટ્રોમિલ મશીનથી કરવામાં આવી હતી. ઉપરાંત એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે 3 લાખ મેટ્રિકટન જેટલો કચરો સાફ થઈ ચૂક્યો છે. જોકે આ દાવા પછી હજુ પણ કચરાનો ગંજ યથાવત છે. જેનાથી સ્થાનિકોને આ વિસ્તાર આસપાસથી નીકળવું પણ મુશ્કેલ પડે છે.

Read Next Story