એપશહેર

અબજોની લોન ચાઉં કરી જનાર ત્રિપુટી ગુજરાતના આ ગામના એક જ શેરીના રહેવાસી

Mitesh Purohit | TNN 29 Sep 2018, 12:10 pm
I am Gujarat absconders alley in gujarat home to indias 3 most wanted
અબજોની લોન ચાઉં કરી જનાર ત્રિપુટી ગુજરાતના આ ગામના એક જ શેરીના રહેવાસી


દેશના અબજો ચાંઉ કરી જનારા ત્રણેય ગુજરાતના એક જ ગામના વતની

ભરત યાજ્ઞિક & આશિષ ચૌહાણ, અમદાવાદઃ દેશની બેંકો પાસેથી કરોડો અબજો રુપિયાની લોન લઈ દુનિયાના જુદા જુદા દેશમાં ભાગી જનારા હાઈપ્રોફાઇલ ભાગેડૂઓ નિરવ મોદી, મેહુલ ચોક્સી અને જતિન મેહતા આ ત્રણેયની સ્ટોરીમાં એક કોમન વસ્તુ હોય તો એ છે કે ત્રણેય ગુજરાતી છે અને તેમાં પણ ત્રણેય ગુજરાતના પાલનપુર ગામના ધલવાસની એક જ સાંકડી શેરીના રહેવાસી છે.

આજે પણ શેરીની ચમક એવી જ પણ…

ધલવાસની આ શેરીમાં તમને ચોમેર જ્વેલરીની શોપ્સ અને મસ્જિદો દેખાશે આ બધા વચ્ચે ગ્રાહકોને આકર્ષવા માટે મોટ મોટેથી પોતાને ત્યાં વેચાતા માલ અને તેના ભાવ અંગે બોલતા વેપારીઓના અવાજથી ગુંજતી આ શેરી કોઈ સામાન્ય ભારતીય ગ્રામીણ બજાર જેવી જ લાગે છે. પરંતુ જ્યારથી દેશની મોસ્ટવોન્ટેડ ત્રીપુટી સમાચારોમાં ઝળકી છે આ શેરીમાં અજાણ્યા વ્યક્તિ સાથે લોકો વાત કરતા પણ થોડું અચકાય છે.

તપાસ એજન્સીઓથી બચવા ત્રણેય અંગે કોઈ કશું બોલવા નથી તૈયાર

નિરવ મોદીનું પૂર્વજોનું ઘર તો આજે વેચાઈને તેની જગ્યાએ એક શોપિંગ સેન્ટર ઉભું છે પરંતુ તેના કાકા ચોક્સી અને ત્રીજો ભાગેડૂ મેહતાના ઘર હજુ પણ તે જ સ્થિતિમાં ઉભા છે. જોકે તપાસ એજન્સીઓને પોતાની નાની દુકાનથી દૂર જ રાખવા માગતો લોકો તમારી સાથે આ ત્રણેય અંગે ખાસ વાતચીત નહીં જ ખરે. બસ દબાયેલ અવાજમાં એટલું જ કહેશે કે, ‘મોદી, ચોક્સી અને મેહતા ત્રણેય અહીં જ રહેતા હતા.’

નિરવની ભાળ નથી મળી પણ બીજા બે આ દેશના નાગરિક બની ગયા

બેંકો પાસેથી રુ.20,000 કરોડની લોન લઈને ફુલેકું ફેરવી ભાગી જનારા ત્રણેય પૈકી વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલર્સના મેહતા કે જણે 6800 કરોડ બેંકના ચૂકવ્યા નથી હાલ કેરેબિયન આઇલેન્ડ સૈન્ટ કિટ્સના નાગરિક છે. જ્યારે રુ. 13,578 કરોડના બેંક ફ્રોડમાં નામ આવ્યું છે તેવા નિરવ મોદી અને ચોક્સી પૈકી ચોક્સી એન્ટિગુઆનો નાગરિક બની ચૂક્યો છે જ્યારે નિરવ અંગે હજુ કંઈ અતોપતો નથી લાગતો. જોકે દુનિયાના જુદા જુદા દેશોમાં તેને જોયો હોવાના રિપોર્ટ જરુર મળે છે.

દેશ છોડી ભાગી જતા પહેલા તહેવારો અને લગ્ન પ્રસંગમાં આવતા હતા

મોદીનું ઘર જેમની સામે હતું તેવા સિરામિકના વેપારી આતિક રહેમાન શૈખે કહ્યું કે, ‘ભલે મોદી અને તેનો પરિવાર ઘણા વર્ષોથી અહીંથી મુંબઈ ચાલ્યો ગયો હતો પરંતુ તેઓ દરવર્ષે તહેવારો અને ધાર્મિક કાર્યો માટે અહીં આવતા હતા.’ જ્યારે શહેરના જાણીતા હીરાના વેપારી દિલિપ શાહ કહે છે કે, ‘ત્રણેય કૌભાંડીઓ શેરીના એક જ ખુણામાં રહેતા હતા અને અહીંથી ચાલ્યા ગયા બાદ લગ્નપ્રસંગે ક્યારેક ક્યારેક આવતા હતા.’

એક સમયે ડાયમંડનું હબ ગણાતું પાલનપુર

શાહે કહ્યું કે, ‘પાલનપુરમાંથી દેશ અને દુનિયાના ઘણા મોટા હીરા વેપારીઓ આવ્યા છે. આ ત્રણેય કૌભાંડીઓ પણ અહીંના જ રહેવાસી છે. મુંબઈથી લઈને એન્ટવર્પ સુધી પાલનપુરના હીરા વેપારીઓ અને તેમનો કારોબાર ફેલાયેલ છે. 1982માં ગામમાં 2000 જેટલા હીરાના કારખાના હતા જેમાં 1.50 લાખ લોકો રોજગારી મેળવતા હતા. જોકે આજે 200 જેટલા જ યુનિટ કાર્યરત છે અને તેમાં પણ માંડ 1500 જેટલા હીરાઘસુ કામ કરે છે. વેપારની અવદશા માટે તેઓ સીન્થેટિક ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી અને વેપારીઓની મુંબઈ-સુરત તરફ હીજરતને જવાબદાર ગણે છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો