એપશહેર

દીવથી આવતા ટુરિસ્ટો પાસેથી તોડબાજી કરતા ઉનાના પોલીસ ઈન્સપેક્ટરની ધરપકડ

દારૂના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપીને ઉના પોલીસ સ્ટેશનનો સ્ટાફ કરતો હતો તોડબાજી, ACBએ કેસ કર્યા બાદ છેલ્લા એક મહિનાથી ફરાર હતા પીઆઈ એન.કે. ગોસ્વામી.

Authored byનવરંગ સેન | I am Gujarat 23 Feb 2024, 10:24 am
અમદાવાદ: દીવથી આવતા વાહનચાલકોને રોકીને તેમના પર દારૂ પીધો હોવાનો આરોપ મૂકીને તોડબાજી કરવાના મામલામાં એન્ટી કરપ્શન બ્યૂરોએ ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. ગોસ્વામીની ધરપકડ કરી છે.
I am Gujarat pi nk goswami
એક મહિનાથી ફરાર હતા પીઆઈ ગોસ્વામી, આગોતરા જામીન ના મળતાં કર્યું સરેન્ડર


પીઆઈ ગોસ્વામી છેલ્લા એક મહિનાથી ફરાર હતા, તેમણે આગોતરા જામીન અરજી પણ કરી હતી જેને કોર્ટે ફગાવી દેતા ગોસ્વામીને ગુરુવાર સુધીમાં એસીબી સામે સરેન્ડર કરવાનું હતું. જોકે, સરેન્ડર કરતા પહેલા ગોસ્વામીએ હાઈકોર્ટમાં પણ આગોતરા જામીન અરજી કરી હતી, જે તેમણે પરત ખેંચી લીધી હતી.

વાહનચાલકોને ધમકાવીને તેમની પાસેથી પૈસા પડાવવા ઉપરાંત પીઆઈ ગોસ્વામી અને તેમના પોલીસ સ્ટેશનના અમુક કર્મચારીઓ બુટલેગરોના દારૂના કન્સાઈન્મેન્ટ ઘોઘલા ચેકપોસ્ટ પરથી નીકળવા દેતા હતા. એસીબીએ તેમને પકડવા માટે ફેક બુટલેગરને ઘોઘલા ચેકપોસ્ટ પર મોકલ્યો હતો, જેને ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ સ્ટાફે દારૂના જથ્થા સાથે જવા દીધો હતો.

ઉના પોલીસનો આ કાંડ પકડાયો ત્યારે તેમાં પીઆઈ ગોસ્વામી સહિતના બીજા પાંચ પોલીસકર્મી તેમજ નિલેશ તડવી નામના એક વચેટિયાનું પણ નામ ખૂલ્યું હતું જેમાંથી નિલેશ તડવી જ એસીબીના હાથમાં આવ્યો હતો જ્યારે બાકીના તમામ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

નિલશ તડવી અને ગોસ્વામી વચ્ચે ચેકપોસ્ટ પર રોજનું કેટલું કલેક્શન થયું તેને લઈને પણ ફોન પર વાતચીત થતી રહેતી હતી જેની ઓડિયો ક્લિપ નિલેશ તડવીના ફોનમાંથી એસીબીને મળી આવી હતી. એસીબીની ટીમ જ્યારે ઘોઘલા ચેકપોસ્ટ પર તોડબાજ પોલીસકર્મીઓને પકડવા પહોંચી ત્યારે જ બધા ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે, તે વખતે નિલેશ તડવી એસીબીના હાથમાં આવી ગયો હતો.

પીઆઈ ગોસ્વામીનો સ્ટાફ દીવથી આવતા ટુરિસ્ટ પાસેથી ઉઘરાણું કરતો હતો, અને જેમની પાસે કેશ ના હોય તેમને એટીએમમાંથી પૈસા વિડ્રો કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી, એટલું જ નહીં તેઓ ડિજિટલ પેમેન્ટ દ્વારા પણ તોડની રકમ સ્વીકારતા હતા.

ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કેટલા વાહનોને રોકવામાં આવ્યા અને કોની-કોની પાસેથી તોડ કરવામાં આવ્યો તે સમગ્ર કામગીરી પર નજર રાખવાનું કામ પીઆઈ ગોસ્વામીએ પોતાના વહીવટદાર નિલેશ તડવીને સોંપ્યું હતું, એટલું જ નહીં કોઈ ટુરિસ્ટ પોલીસ દ્વારા કરાતી તોડબાજીનું વિડીયો રેકોર્ડિંગ ના કરી લે તેનું ધ્યાન રાખવાનું કામ પણ નિલેશ તડવી કરતો હતો, આ કામ માટે તેને પીઆઈ ગોસ્વામી મહિને 20 હજાર રૂપિયા પગાર ચૂકવતા હતા.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story