એપશહેર

4 સપ્ટેમ્બરે ખુલનારા અંબાજી મંદિરના દ્વાર પાટીલ માટે એક દિવસ વહેલા ખુલશે!

સોમનાથમાંથી સૌરાષ્ટ્ર બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અંબાજીથી ઉત્તર ગુજરાતના પ્રવાસે જવાના છે. પહેલા અંબાજી મંદિર 4 સપ્ટેમ્બરથી ખુલવાનું હતું. જોકે, હવે પાટીલ માં અબાના દર્શન કરીને યાત્રા શરૂ કરવાની જાહેરાત કરતા અંબાજી મંદિરને એક દિવસ પહેલા એટલે કે, 3 સપ્ટેમ્બરથી જાહેર જનતા માટે ખુલ્લું કરવાની જાહેરાત કરવામાં આવી છે! જાણો, પાટીલનો ઉત્તર ગુજરાતનો કાર્યક્રમ...

I am Gujarat 28 Aug 2020, 9:12 am
ગાંધીનગર/ અંબાજી: સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હવે ઉત્તર ગુજરાતના પ્રવાસે જવાના છે. પાટીલ માં અંબાના દર્શન કરીને ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત કરશે. જણાવી દઈએ કે, કોરોના મહામારીને પગલે ભાદરવી પૂનમ મેળો રદ કરવામાં આવ્યો છે. જેથી મંદિરને 24 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે પાટીલના પ્રવાસને પગલે અંબાજી મંદિર એક દિવસ વહેલું એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ ખોલવામાં આવશે.
I am Gujarat 5
Image Source- Twitter


અગાઉ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સાથે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાને ધ્યાનમાં રાખતા 24 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું છે. જોકે, ગઈકાલે અંબાજી મંદિરે જાહેર કરેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, હવે દર્શનાર્થીઓ માટે મંદિર 3જી સપ્ટેમ્બરથી ખુલ્લુ મૂકાશે. મીડિયા રિપોર્ટ મુજબ 3 દિવસના ઉત્તર ગુજરાત પ્રવાસ દરમિયાન સી આર પાટીલ વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવની મુલાકાત કરે તેવી શક્યતા છે. એટલું જ નહીં, પાટીલ પાટીદારાનો આસ્થાધામ ઊંઝા ઉમિયા માતાના મંદિરે પણ શીશ ઝૂકાવશે.

પાટીલનો ઉત્તર ગુજરાત કાર્યક્રમ (ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા અને ઉત્તર ગુજરાતના મહામંત્રી કે.સી.પટેલના જણાવ્યા મુજબ)
  • 2 સપ્ટેમ્બર- પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દાંતા પહોંચશે.
  • 3 સપ્ટેમ્બર- સવારે 8.30 વાગ્યે માં અબાના દર્શન કરીને પાટીલ ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કરશે. પહેલા દિવસે ડીસા તથા પાટણમાં સામાજિક, વ્યાપારી, અને સહકારી આગેવાનો સાથે બેઠક યોજશે.
  • 4 સપ્ટેમ્બર- મહેસાણા જિલ્લા અને શહેરના લોકો સાથે તેમજ બપોર પછી કલોલ ખાતે ગાંધીનગર જિલ્લા, મહાનગરના હોદ્દેદારો, આગેવાનો સાથે સંવાદ કરશે.
  • 5 સપ્ટેમ્બર- ગાંધીનગરથી નાના ચિલોડા થઈને પ્રાંતિજ અને હિંમતનગર પહોંચશે. જ્યાં સાબરકાંઠા જિલ્લા સંગઠન સાથે બેઠક બાદ મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાની બેઠકક પૂરી કરીને રાત્રે સુરત જવા રવાના થશે.
જણાવી દઈએ કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ જરૂરી છે. ભાજપ પ્રમુખ સી આર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન એવી કેટલીય તસવીરો અને વિડીયો સામે આવ્યા હતા જેમાં સરકારે જાહેર કરેલા તમામ નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ભાજપની આકરી ટીકા થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન પણ આવું ન બને તે માટે ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ યાત્રામાં સ્વાગતથી લઈને બેઠકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને થર્મલ ગન જેવી બાબતોનો ચૂસ્ત અમલ કરવાની સૂચનાઓ આપી છે.

Read Next Story