એપશહેર

અમદાવાદ: વસ્ત્રાલમાં દીપડો દેખાયો? વન વિભાગે શરૂ કરી તપાસ

ગત 16મી જાન્યુઆરીએ વસ્ત્રાલમાં આવેલા દશામાના મંદિર પાસે દીપડો જોવા મળ્યો હોવાની આશંકાને પગલે લોકોમાં ભય ફેલાયો.

I am Gujarat 17 Jan 2021, 11:05 pm
અમદાવાદ: જંગલ વિસ્તારો ઘટતા જતા હોવાને પગલે જંગલી પશુઓ અવાર-નવાર શહેરી વિસ્તારોમાં જોવા મળી જાય છે. તેમાંય રાજ્યના વિવિધ વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટના ઘણી જ વધી ગઈ છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં દીપડો દેખાયાની આશંકાએ ફફડાટ ફેલાઈ ગયો છે.
I am Gujarat Vastral


હકીકતમાં, સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં વસ્ત્રાલની સીમમાં એક ખેતરમાં આવેલા મેલડી માતાના મંદિર પાસે એક દીપડા જેવું પ્રાણી ફરતું જોવા મળી રહ્યું છે. તસવીરમાં પ્રાણી સ્પષ્ટ નથી દેખાતું, પરંતુ લોકોનું કહેવું છે કે, તે દીપડો જ છે. દરમિયાનમાં વસ્ત્રાલમાં આવેલા ભયજી રાજાજીના ખેતરમાં મંદિર પાસે દીપડાના પગના નિશાન મળી આવતા તે પ્રાણી દીપડો જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને પગલે વન વિભાગે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. આ તસ્વીર સામે આવ્યા બાદ વન વિભાગે તપાસ કરતા મંદિર નજીકથી પગલાઓ પણ મળી આવ્યા છે. આ વન્ય પ્રાણીના પગલા હોવાનું વન વિભાગ માની રહ્યું છે. પંજાની આગળ નખનાં નિશાનો પણ છે જેના કારણે આ કોઇ હિંસક પ્રાણી હોવાનું વન વિભાગ માની રહ્યું છે. જો કે હાલ તો વન વિભાગ કયુ પ્રાણી હોઇ શકે તે અંગે સ્પષ્ટતા કરી નથી.

દરમિયાનમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તરફથી તકેદારીના ભાગરૂપે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સૂચના આપવામાં આવી છે કે, 16 જાન્યુઆરી 2021ની રાત્રે વસ્ત્રાલ આસપાસ દીપડાના પગના નિશાન જોવા મળ્યા હોવાથી ગામ લોકો તેમજ પશુ પાલકોએ ખુલ્લામાં સૂવું નહીં અને રાત્રિ દરમિયાન અવર-જવર કરવામાં ધ્યાન રાખવું. વન વિભાગે લોકોને રાત્રિના સમયે બેટરી જેવી વસ્તુ સાથે રાખીને જવા અને અવાજ થઈ શકે તેવી વસ્તુ સાથે રાખવા પણ સલાહ આપી છે. દરમિયાનમાં વન વિભાગના જણાવ્યા મુજબ, જે જગ્યાએ દીપડો દેખાયાની વાત કહેવાઈ રહી છે ત્યાં પાંજરા મૂકવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો