Ahmedabad Mental Health Hospital Treats Schizophrenic Patient Who Was Tied Since Last 20 Years News In Gujarati
20 વર્ષથી ચેઈનમાં બંધાયેલા દર્દીને અમદાવાદની હોસ્પિટલમાં મળી મુક્તિ
Ahmedabad Mirror10 Dec 2017, 9:58 am
20 વર્ષ સુધી ચેઈનમાં બંધાઈ રહ્યોઃ
મેઘા ભટ્ટ, અમદાવાદઃ વિચારો, 20 વર્ષ સુધી ચેઈનમાં બંધાઈ રહેવાનો અનુભવ કેવો હોય? કેશોદના નરેશ જોટાંગિયાના નસીબમાં આવી જ પીડા લખાઈ છે. સ્કિઝોફ્રેનિયાના દર્દી નરેશભાઈ જોટાંગિયાને તેમની માનસિક બીમારીને કારણે પરિવારે છેલ્લા 20 વર્ષથી ચેઈનથી બાંધી રાખ્યા હતા. જોકે 49 વર્ષના નરેશભાઈને હવે સરકારી હોસ્પિટલમાં સારવાર મળતા તે હવે સામાન્ય જીવન જીવી શકે તેવી આશા ઉજળી થઈ છે.
અચાનક લાઈફ બદલાઈ ગઈઃ
19 વર્ષની વય સુધી નરેશ એક સામાન્ય યુવક જેવી જ હસતી રમતી જીંદગી પસાર કરતો હતો. તેના ભાઈઓએ મુંબઈ જઈને પૈસા કમાવાનો વિચાર કર્યો. નરેશના પિતરાઈ અશોક જોટાંગિયા જણાવે છે, “નરેશના જીવનમાં અહીંથી જ ઝંઝાવાત આવ્યો. તે વાતેવાતે ચીડાઈ જતો, ગુસ્સે થઈ જતો. મુંબઈનો માહોલ નરેશને જામ્યો નહિ અને તે તથા તેનો ભાઈ રમેશ જુનાગઢ પાછા ફરી ગયા.”
પરિવારે જોવો પડ્યો કપરો સમયઃ
જોટાંગિયા પરિવારને થોડા જ સમયમાં અહેસાસ થઈ ગયો કે નરેશને કોઈ સાઈકિયાટ્રિસ્ટની જરૂર છે. તેમણે રાજકોટ અને જુનાગઢના ખાનગી દવાખાનાઓમાં બતાવ્યુ પરંતુ માનસિક બીમારી સાથે જોડાયેલા સામાજિક કલંકને કારણે તે ટ્રીટમેન્ટમાં આગળ ન વધ્યા. અશોક જણાવે છે, “આ પરિવાર ગરીબી રેખાની નીચે જીવે છે. તેમની મુશ્કેલીઓ ત્યારે વધી ગઈ જ્યારે વોચમેન તરીકે કામ કરનારા રમેશને બે વખત હાર્ટ એટેક આવી ગયો અને તેને બેડ રેસ્ટ કરવાની ફરજ પડી. તેની પત્ની સંધ્યાને રસોઈ કરવા જવાની અને મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરવાની ફરજ પડી.”
આ કારણે ચેઈનમાં બાધવો પડ્યોઃ
આ ગાળામાં નરેશની તબિયત વધુ કફોડી થઈ ગઈ. તેણે નિયમિત ખાવાનું અને નહાવાનું બંધ કરી દીધુ. તે પોતાની જાતમાં જ બંધ થઈ ગયો. તે કોઈને પણ કહ્યા વિના ઘરમાંથી નીકળી જતો. સંધ્યા માટે આ પરિસ્થિતિ કપરી ની જતા તેણે નરેશને કોઈ ઘરે ન હોય ત્યારે ચેઈનમાં બાંધવાનુ શરુ કરી દીધુ.
અમદાવાદની મેન્ટલ હેલ્થ હોસ્પિટલે મદદ કરીઃ
20 વર્ષ પછી અમદાવાદની મેન્ટલ હેલ્થ હોસ્પિટલના ધ્યાનમાં નરેશનો કેસ આવ્યો. માનસિક આરોગ્યની હોસ્પિટલના સાઈકિયાટ્રિક સોશિયલ વર્કર અર્પણ નાયક જણાવે છે, “એક ટીમ અહીં આવી અને તેમણે નરેશની તપાસ કરી. તેમણે નરેશને અમદાવાદ ટ્રીટમેન્ટ માટે લાવવાનો સુઝાવ આપ્યો. આથી 1લી ડિસેમ્બરે નરેશને અમદાવાદ લાવવામાં આવ્યો.”
સુધરી શકે છે નરેશની લાઈફઃ
અમદાવાદમાં નરેશને સ્કિઝોફ્રેનિયા હોવાનું નિદાન થયુ હતુ. તે ટ્રીટમેન્ટને થોડો પ્રતિસાદ આપી રહ્યો છે. હવે કોઈ તેનુ નામ બોલાવે તો પણ તે જવાબ આપે છે. નરેશની ટ્રીટમેન્ટ કરતા રવિ સોની જણાવે છે, “સ્કિઝોફ્રેનિયા એક લાંબાગાળાની બીમારી છે. નરેશને સ્કિઝોફ્રેનિયા હોવા છતા તેણે ક્યારેય આત્મહત્યા કરવાની કે બીજાને હાનિ પહોંચાડવાની કોશિશ નહતી કરી. તેને બાંધી રાખવાની કોઈ જરૂર જ નહતી. પરંતુ અમે સમજીએ છીએ કે પરિવારે તેના માટેની ચિંતા અને પ્રેમને કારણે આવો નિર્ણય લીધો હતો. પરંતુ આ જ દર્શાવે છે કે માનસિક સ્વાસ્થ્ય માટે સમાજમાં હજુ પણ કેટલી જાગૃતિની જરૂર છે.”
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.