એપશહેર

શિક્ષકના ત્રાસથી પ્રિન્સિપાલનો આપઘાત, પત્નીએ એક મહિના બાદ નોંધાવી ફરિયાદ

બાવળાની શિયાળ પ્રાથમિક શાળાના 34 વર્ષીય પ્રિન્સિપાલ પ્રકાશ નાઈએ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે બગોદરા પોલીસે શિક્ષક ટીના ભરવાડ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે, પત્ની સાથેની શિફ્ટમાં નોકરી કરવા માટે શિક્ષક ટીના ભરવાડે પ્રિન્સિપાલને કથિત રીતે ત્રાસ આપ્યો હતો.

Authored byAshish Chauhan | Edited byદીપક ભાટી | TNN 30 Apr 2022, 10:32 am
અમદાવાદ: બાવળામાં સ્કૂલના એક શિક્ષકના ત્રાસથી પ્રિન્સિપાલએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાવળાની શિયાળ પ્રાથમિક શાળાના 34 વર્ષીય પ્રિન્સિપાલ પ્રકાશ નાઈએ જીવન ટૂંકાવી લેતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ફરિયાદ અનુસાર બગોદરા પોલીસે શિક્ષક ટીના ભરવાડ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે, પત્ની સાથેની શિફ્ટમાં નોકરી માટે શિક્ષક ટીના ભરવાડે પ્રિન્સિપાલને કથિત રીતે ત્રાસ આપ્યો હતો.
I am Gujarat Principal Suicide
પત્નીએ બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી


બાવળાના રહેવાસી પ્રકાશ નાઇની પત્ની નિલમે પોલીસને જણાવ્યું કે, તેમના પતિની અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના શિયાળ ગામની એક શાળામાં 2015માં આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અમે ખુશીથી જીવતા હતા. મારા પતિએ અત્યંત નિષ્ઠાથી કામ કર્યું. જો કે, 2018માં મારા પતિ મૌન રહેવા લાગ્યા અને હંમેશા અસ્વસ્થ રહેતા હતા. મેં તેમને તેમની સમસ્યા વિશે પૂછ્યું પરંતુ તેમણે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો. નિલમે વધુમાં કહ્યું કે, ધીમે ધીમે તેમની સ્થિતિ વધુ બગડતી ગઈ.

એક દિવસ તેમણે અમને કહ્યું કે ટીના ભરવાડ નામનો શિક્ષક તેમની શાળામાં સવારની શિફ્ટમાં કામ કરે છે જ્યારે તેની પત્ની અલકા બપોરની પાળીમાં કામ કરે છે. ટીના ઈચ્છતો હતો કે તેની પત્નીને સવારની પાળીમાં ટ્રાન્સફર કરવામાં આવે. જ્યારે મારા પતિએ તેને કહ્યું કે આ નિર્ણય માત્ર ઉચ્ચ અધિકારીઓ જ લઈ શકે છે, ત્યારે ટીનાએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું.

મૃતક પ્રકાશ નાઈની પત્નીએ આરોપ લગાવ્યો કે, ટીનાએ મારા પતિને મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું. તેણે પરિવારને ધમકી પણ આપી હતી. મારા પતિ વારંવાર ડરથી કંપી જતા અને કહેતા હતા કે ટીના અમારા બાળકને મારી નાખશે.

નિલમે જણાવ્યું કે, પતિને સારું લાગે અને અને શાળાએ જવાનું શરૂ કરે તે માટે નાઈનો પરિવાર તેમને અમદાવાદ અને તેમના વતન પાલનપુરમાં મનોચિકિત્સકોની સલાહ લેવા માટે લઈ ગયા હતા. જો કે ફેબ્રુઆરીમાં ટીનાએ તેમને ધમકી આપ્યા બાદ મારા પતિ ફરીથી બીમાર પડ્યા. આ કારણે માર્ચના પહેલા સપ્તાહમાં અમે થોડા સમય માટે પાલનપુર રહેવા ગયા. ત્યાં થોડા દિવસ રહ્યા પછી અમે બાવળા પાછા ફર્યા. મેં મારા પતિને કહ્યું કે, જો તે ઈચ્છે તો નોકરી છોડી શકે છે. પરંતુ 21 માર્ચે તેઓ પાછા શાળાએ ગયા હતા. આ વખતે જ્યારે તેઓ સ્કૂલથી પાછા ફર્યા ત્યારે તેઓ પુત્રને જોઈ રડવા લાગ્યા અને ભાંગી પડતા ઘરની બહાર જતા રહ્યા હતા.

નિલમે કહ્યું કે તેમના પતિએ તેને થોડી વાર પછી ફોન કર્યો. પરિસ્થિતિ સામાન્ય ન લાગતા તેણીએ પતિને વિડિયો કોલ કર્યો ત્યારે પતિ રડતા અને મોં પર ફીણ આવતા જોઈ નિલમ ઘટનાસ્થળે દોડી ગઈ અને તેમને બાવળાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાંથી પતિને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ તેણીને કહ્યું કે તે બચી શકશે નહીં.

નિલમે કહ્યું કે, મારા પતિ જાણતા હતા કે તે બચી શકશે નહીં એટલે ટીના ભરવાડના ડરથી તેમણે મને બાવળા છોડી દેવા કહ્યું હતું. આ દરમિયાન નાઈનું 23 માર્ચે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને પરિવાર લગભગ એક મહિના સુધી ઘરે રહ્યો હતો. બાદમાં નિલમે પોલીસનો સંપર્ક કર્યો અને ટીના સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરિયાદ નોંધાવી હતી.

Read Next Story