અમદાવાદઃ તમારા ઘરની આસપાસ ક્યાંય ખાલી પ્લોટ પડેલો હોય અને ત્યાં આવનારા બે-ત્રણ વર્ષ બાદ અથવા તો પાંચ વર્ષ બાદ તમને ત્યાં ઊંચા-ઊંચા વૃક્ષો જોવા મળે તો? તમને આ વાત પર હસવું આવે તે પહેલા એટલું જાણી લો કે આમ થવું શક્ય છે અને કેટલીક જગ્યાએ તો આવું જોવા પણ મળી રહ્યું છે, આ બધું આભારી છે જાપાનની મિયાવાકી ટેકનોલોજીના કારણે. આ ટેકનોલોજી દ્વારા નાનકડી એવી જગ્યામાં ઝડપથી વૃક્ષો ઉગાડી શકાય છે, જે શહેરી વિસ્તારો માટે એકદમ પર્ફેક્ટ છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો વૃક્ષારોપણ કરતાં વિજય નહેરા શુક્રવારે અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર અને AUDAના ચેરમેન વિજય નહેરાએ AUDA CEO એ.બી.ગોર સાથે શહેરના બોપલ વિસ્તારમાં પ્લાન્ટેશન ડ્રાઈવ હાથ ધરી પાંચ જેટલી જગ્યાઓ પર મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કર્યું હતું. નહેરાએ AUDA ઓક્સિજન પાર્કમાં પહેલો છોડ વાવ્યો હતો. ઓક્સિજન પાર્ક સિવાય ઉમિયા ધામ અને કઠવાડામાં પણ છોડ વાવ્યા હતા. GIHED ક્રેડાઈ, ઈસ્ટ બિલ્ડર્સ અસોસિએશન અને આર્કિટેક્ટની ટીમ પણ આ પ્રોજેક્ટ માટે AUDA સાથે જોડાઈ છે. તેમણે પાંચ વર્ષ સુધી વૃક્ષોના સારસંભાળ રાખવાની જવાબદારી સ્વીકારી છે. વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ‘અમને શહેરીજનો તરફથી જબરદસ્ત સપોર્ટ મળી રહ્યો છે. અમારો ટાર્ગેટ 10 લાખ વૃક્ષો વાવવાનો હતો પરંતુ જે રીતે અમને સપોર્ટ મળી રહ્યો છે તે જોઈને મને આશા છે કે અમે 20થી 25 લાખ જેટલા વૃક્ષો વાવી શકીશું. આમ કરવાથી શહેરમાં ધીમે-ધીમે હરિયાળી જોવા મળશે’. AUDAના CEO એ.બી. ગોરે કહ્યું કે, ‘આ વખતે અમે વૃક્ષોની વૃદ્ધિ થાય તે તરફ પણ ધ્યાન આપ્યું છે. અસોસિએશન અને લોકો પણ પાંચ વર્ષ સુધી વૃક્ષોનું જતન કરવાની જવાબદારી લઈ રહ્યા છે’. પાંચમી જૂને નહેરાએ સાયન્સ સિટી વિસ્તારમાં પ્લાન્ટેશન ડ્રાઈવ હાથ ધરી હતી, જ્યાં મિયાવાકી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓક્સિજન પાર્ક માટે આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ટેકનોલોજીને લાગુ કરતા પહેલા વિજય નહેરાએ બેંગાલુરુની મુલાકાત લીધી હતી, જ્યાં આ ટેકનોલોજી પહેલાથી સફળ છે. મહાનગરપાલિકા શહેરીજનોના સહયોગથી આ વર્ષે 5.88 લાખ વૃક્ષો ઊગાડવાનું લક્ષ્ય સેવી રહી છે. મિયાવાકી પદ્ધતિ વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકીના નામ પરથી પરથી પ્રસિદ્ધ થયેલી મિયાવાકી પદ્ધતિમાં માટીની ચકાસણી, પાણીની ચકાસણી તેમજ દેશી જાતિઓનું ધ્યાન રાખવામાં આવે છે. અમદાવાદમાં બદામ, લીમડો અને આસોપાલવ જેવા 45 પ્રકારના દેશી વૃક્ષો છે. આ પદ્ધતિમાં મુખ્ય છ સ્ટેપ્સ હોય છે. પહેલા તો જમીનનાં ઉપરના ભાગમાં રહેલો કચરો હટાવવામાં આવે છે અને બાદમાં એક મીટર ઊંડો ખાડો કરવામાં આવે છે, જેમાં ચોખાનું ભૂસું, કોકો પીટ અને ખાતર નાંખવામાં આવે છે. આ બધું મટિરિયલ ભેગું કરીને લેયરમાં પાથરવામાં આવે છે. જરૂર પડે તો વરસાદના પાણીનો નિકાલ કરવા ઢોળાવ બનાવવા માટે લેવલિંગ કરવામાં આવે છે. અને છેલ્લો સ્ટેપ છે જાળવણી જેમાં છોડને નિયમિત પાણી આપવું અને નીંદણનો સમાવેશ થાય છે. આ જંગલો બે વર્ષમાં સ્વ-ટકાઉ બની જાય છે અને 30 ગણા વધારે કાર્બન ડાયોક્સાઈડને એબ્ઝોર્બ કરે છે તેમજ પક્ષી-પતંગિયાઓની ઈકોસિસ્ટમને ટેકો આપે છે.