એપશહેર

અ'વાદ: વસ્ત્રાલમાં દેખાયેલું પ્રાણી દીપડો નહીં, પરંતુ ઝરખ હોવાનું બહાર આવ્યું

દીપડો નહીં....આ તો ઝરખ છે! વસ્ત્રાલમાં દેખાયેલું પ્રાણી દીપડો નથી, સ્થળ પર મળેલા પંજાના નિશાન ઝરખના છે, વન વિભાગે પકડવા માટે 4 પાંજરા મૂક્યા.

Written byMehul Jani | Ahmedabad Mirror 18 Jan 2021, 8:43 am
અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દેખાયેલું પ્રાણી દીપડો નહીં, પરંતુ ઝરખ હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે રાત્રે વસ્ત્રાલ ગામમાં રહેતા કેટલાક લોકોને મંદિરની પાછળ કોઈ પ્રાણી હોવાનું જણાતા પહેલા કૂતરું હોય તેમ લાગ્યું હતું, પરંતુ ધ્યાનથી જોતા દીપડો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી લોકોએ તેનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. થોડીવારમાં વસ્ત્રાલમાં દીપડો આવ્યો હોવાની વાત ફેલાઈ ગઈ હતી અને આખા વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. દીપડાએ દેખા દીધી હોવાની જાણ થતાં પોલીસ અને વન વિભાગનો કાફલો પણ મંદિર પાસે દોડી આવ્યો હતો અને લોકોને સાવચેત રહેવા માટે સૂચના પણ જાહેર કરી હતી.
I am Gujarat 1

વસ્ત્રાલમાં દીપડો આવ્યાની વાત ફેલાઈ હતી
રવિવારે સવારે અમદાવાદ સ્થિત રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, 16 જાન્યઆરી 2021ના રોજ રાત્રિ દરમિયાન વસ્ત્રાલ આજુબાજુ દીપડાની હાજરી જોવા મળી હોવાથી ગામ લોકો તથા પશુપાલકોને જાણ કરવામાં આવે છે કે, ખુલ્લામાં સુવું નહીં તેમજ રાત્રિ દરમિયાન અવર-જવર કરવામાં ખાસ ધ્યાન રાખવું. મહત્વના કામે બહાર જવાનું થાય તે સમયે બેટરી અને અવાજ થઈ શકે તેવી વસ્તુ સાથે રાખવી જેથી જાન-માલને નુકસાન ન થાય. દીપડાની હાજરી જોવા મળે તો જાણ કરવા માટે કર્મચારીઓ નામ અને નંબર પણ દર્શાવાયા હતા.
દીપડો નહીં..ઝરખ હોવાનું સામે આવ્યું
ત્યારબાદ જંગલ ખાતાની એક ટીમ દીપડો દેખાયો તે જગ્યાએ તપાસ માટે ગઈ હતી. જ્યાંથી મળેલા પગના માર્કની ઝીણવટપૂર્ણ અભ્યાસ કરતા દેખાયેલું પ્રાણી દીપડો નહીં પરંતુ ઝરખ હોવાનું સામે આવ્યું હતું. સૂત્રો મુજબ રાતના અંધારામાં સામાન્ય માણસ માટે ઝરખ અને દીપડા વચ્ચેનો ભેદ ઓળખવો મુશ્કેલ હોવાથી વસ્ત્રાલમાં ખેતરમાં આવેલા મંદિર પાસે દીપડો દેખાતો હોવાનો કોઈએ ફોટો સોશિયલ મીડિયામાં મૂકતા દીપડો આવ્યાની વાત ફેલાઈ હતી.
સ્થળ પરથી મળેલા પગના નિશાન ઝરખના: ડીએફઓ
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર (DFO) સકીરા બેગમના જણાવ્યા અનુસાર મંદિર પાસે તપાસ કરતા દેખાયેલું પ્રાણી દીપડો નહીં, પરંતુ પટ્ટાવાળું ઝરખ હોવાનું જાણવા મળ્યું હતું. સ્થળ પરથી મળેલા પગના નિશાન ઝરખના છે તે સાબિત થાય છે, પરંતુ તે સ્પષ્ટ ના હોવાથી તેની અંદાજિત ઉંમર તથા લિંગ જાણી શકાયું નથી. જંગલ વિભાગ દ્વારા 3 સભ્યોની એક એવી ચાર ટુકડીઓ ઝરખની ભાળ મેળવવા વસ્ત્રાલ વિસ્તારમાં મોકલવામાં આવી છે, જે આસપાસના 10 કિલોમીટર સુધી તપાસ કરશે.
ચાર પાંજરા મૂકવામાં આવ્યા: વન વિભાગ
અમદાવાદ વન વિભાગના DFO સકીરા બેગમના જણાવ્યા મુજબ, દીપડા હોવાનાં કોઈ નિશાન મળ્યાં નથી, તેથી લોકોએ ડરવાની જરૂર નથી. ઝરખ હુમલો કરી શકે છે, જેથી તેને પકડવા વન વિભાગ દ્વારા 4 પાંજરાં મૂકવામાં આવ્યા છે. ઝરખ મરેલા પ્રાણીઓ ખાતું નિશાચાર પ્રાણી છે અને તે વેરાન જગ્યાઓએ જ ફરતું હોવાથી રહેઠાણ વિસ્તારમાં આવતું નથી. આ પ્રાણી એક વખતમાં 10 કિલોમીટર જેટલો પ્રવાસ ખેડી શકે છે. દીપડાનો સ્વભાવ એકની એક જગ્યાએ બીજી વખત આવવાનો હોય છે, પરંતુ સામાન્ય રીતે ઝરખ એક જ જગ્યાએ બીજી વખત આવવાની ટેવ ધરાવતું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો