એપશહેર

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોનાના લક્ષણ દેખાતા હોસ્પિટલમાં એડમિટ

પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જંગી રેલીઓ કાઢીને ચર્ચામાં આવ્યા હતા

I am Gujarat 8 Sep 2020, 5:42 pm
અમદાવાદ: એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસો રોજેરોજ વધી રહ્યા છે તેવા સમયે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જંગી રેલીઓ કરી ચર્ચામાં આવેલા ભાજપના નેતા સી.આર. પાટીલમાં કોરોનાના લક્ષણ દેખાતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સીઆર પાટીલ ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં એડમિટ થયા છે. પાટીલને કોરોના થતાં તેમના સંપર્કમાં આવનારા ભાજપના હજારો કાર્યકરો ઉપરાંત સીનિયર નેતાઓ પણ ટેન્શનમાં આવી ગયા છે.
I am Gujarat CR Paatil
સીઆર પાટીલે કરેલી જંગી રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા


પાટીલે ટ્વીટ કરી પોતાનની તબિયત સારી હોવાનું જણાવ્યું


સીઆર પાટીલે આજે પોતાને નબળાઈ લાગતી હોવાની ફરિયાદ કરતા તેમને એપોલોમાં લઈ જવાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, પાટીલનો સિટી સ્કેન કરવામાં આવ્યો છે, અને તેમને કોરોના છે કે નહીં તે કન્ફર્મ કરવા માટે RTPCR ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ હજુ નથી આવ્યું. આમ તો પાટીલ પર એન્ટિજન ટેસ્ટ પણ કરાયો હતો, જેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. મહત્વનું છે કે એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ 15 મિનિટમાં આવી જાય છે. જો કે પાટીલમાં કોરોનાના લક્ષણો જણાતા હોઈ અગમચેતીના ભાગ રુપે તેમનો RTPCR ટેસ્ટનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

સીઆર પાટીલને તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. ત્યારબાદ તેમણે સૌરાષ્ટ્રમાં જંગી રેલી કરી હતી. પાટીલની રેલીમાં હજારો કાર્યકરો ઉમટ્યા હતા, અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્રમાં થયેલી આ રેલીઓ પર ઉઠેલા સવાલને ના ગણકારતા પાટીલે ઉત્તર ગુજરાતમાં પણ જંગી રેલીઓ કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. પાટીલની સાથે રેલીઓમાં ભાજપના સીનિયર નેતાઓ પણ સામેલ રહ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રવાસમાં તેમની સાથે ગોરધન ઝડફિયા સહિતના સૌરાષ્ટ્રના નેતાઓ હાજર હતા, જ્યારે ઉત્તર ગુજરાતમાં તો પાટીલની એક રેલીમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ પાટીલ સાથે હાજર રહ્યા હતા.

કમલમમાં કોરોનાનો રાફડો ફાટ્યો

આજે ભાજપના અન્ય બે સિનિયર નેતાઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેમાં પક્ષના પ્રવક્તા ભરત પંડ્યા અને અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય કમલમમાં પણ એક સાથે છ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ કમલમની બહાર રિબીનવાળા બેરિકેટ્સ લગાવી દેવાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપના પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ ઉપરાંત, પ્રદેશ મહિલા મોરચા કાર્યાલયના મંત્રી મોના રાવલ પણનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કમલમના ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા ઉપરાંત, સફાઈકર્મીઓને લાવનારા ડ્રાઈવર તેમજ બે સફાઈકર્મી પણ પોઝિટિવ આવતા કમલમ પર કાર્યકરોની આવનજાવન પર નિયંત્રણ મૂકી દેવાયા છે.

Read Next Story