અમદાવાદઃ શહેરમાં મેડિકલ સ્ટોર ધરાવતા દેવેન્દ્ર રાજગોરે પોતાની વહાલસોયી દીકરી વૈદેહી માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરીને સુખ મૃત્યુની માગણી કરી હતી. રાજગોરે પોતાની અપીલમાં જણાવ્યું હતું કે તેમની દીકરી વૈદેહીને સેરેબ્રલ પાલ્સી નામની બીમારી છે જે એક પ્રકારે જન્મજાત ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આ બીમારીના કારણે વ્યક્તિનું હલનચલન, મસલ્સ ટોન અને પોશ્ચર તમામ ક્રિયાઓ પર અસર પડે છે અને તે કોઈપણ ક્રિયા પોતાની જાતે કરવા સક્ષમ રહેતા નથી. આ કારણે પોતાની અરજીમાં કોર્ટને જણાવ્યું હતું કે તેમની દીકરી એક જીવતી લાશ બરાબર છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો રાજગોરના વકીલ અન્વેશ વ્યાસે હાઈકોર્ટમાં 2018ના સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને જણાવ્યું કે ‘જે દર્દી માટે કોઈ દવા મેડિકલ સાયન્સમાં ઉપલબ્ધ નથી અને તેના સાજા થવાની કોઈ શક્યતા નથી ત્યારે લાઈપસપોર્ટ સીસ્ટમને દૂર કરીને તેને સુખ મૃત્યું આપવું જોઈએ.’ જ્યારે આ મામલે હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો છે. તેમજ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટને પણ તેમનો મત રજૂ કરવા જણાવ્યું છે. રાજગોરે પોતાની અરજીમાં જણાવ્યું કે હાલમાં જ તેને પોતાને બ્રેઇન ટ્યુમર હોવાનું નિદાન થયું છે જ્યારે તેની પત્ની પણ ડાયાબિટિસની દર્દી છે. જ્યારે તેમની દીકરી સાથે સમસ્યા એ નથી કે તે કંઈ જ હલનચલન નથી કરી શકતી પરંતુ સૌથી વધુ કરુણતા તો એ છે કે તે બધુ સમજી શકે છે તેમ છતા કરી ન શકવાથી તેની સ્થિતિ વધુ દયનીય બને છે. જ્યારે તેમની દીકરી રીકવર થઈ શકે તેવી કોઈ શક્યતા નથી અને તેનું આખું જીવન આ જ રીતે વિતાવવું પડે તેવી સ્થિતિ છે માટે દયા મૃત્યુની મંજૂરી આપવામાં આવે. જોકે પેરેન્ટ્સની આ અરજીની વિરુદ્ધમાં શહેરની અપંગતાના અધિકારો માટે લડતી સંસ્થા બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન(BPA) દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી કરીને જણાવાયું છે કે દીકરીને દયા મૃત્યુ આપવાની પિતાની અરજીને નકારી કાઢવામાં આવે અને આ કેસમાં દરમિયાન એક પક્ષકાર તરીકે તેમને પણ ઉપસ્થિત રહેવા દેવામાં આવે. BPAના એક્ઝેક્યુટિવ સેક્રેટરી ભુષણ પુનાનીએ કહ્યું કે, ‘રાજગોર દ્વારા કરવામાં આવેલી અરજીમાં ઘણા મુદ્દા છે. જેમ કે દયા મૃત્યુની વ્યવસ્થા એવા દર્દી માટે છે જેમની સારા થવાની કોઈ શક્યતા જ નથી અને જેમના માટે કોઈ દવા જ ઉપલબ્ધ નથી પરંતુ વૈદેહી બીમારીના અંતીમ પડાવમાં નથી. તે ખુરશી પર બેસી શકે છે. તે વાત કરી શકે અને તમારી સામે જોઈ પણ શકે છે.’ બીમારી અને અપંગતા વચ્ચે ફરક છે. ભારતમાં હાલ 2 કરોડ જેટલા લોકો અપંગતા હેઠળ આવે છે. આ તેમની પણ ઓળખ છે. તેમણે કહ્યું કે અમે પરિવારને સમજાવવા માટે પણ પ્રયાસ કર્યા હતા પરંતુ રાજગોરે અમારી સાથે વાત કરવાથી ઇનકાર કરી દીધો હતો. અમે તેમને સહાયતા માટે કોઈ ડોનર કે પછી એવા ઇન્સ્ટિટ્યુટમાં વૈદેહીની મુકવાની ભલામણ કરી હતી જેમાં તેનો ખ્યાલ રાખવામાં આવે. જોકે અમે હજુ સુધી પરિવાર તરફથી કંઈ જ સાંભળવા નથી મળ્યું. કોઈ વ્યક્તિની જીવનનો આવી રીતે અંત લાવવો તે આપણા કાયદા અને માનવતાની ભાવનાથી તદ્દન વિરુદ્ધનું છે.