એપશહેર

19 વર્ષીય બ્રેન ડેડ દીકરાનું માતા-પિતાએ કર્યું અંગદાન, 4 લોકોને આપી નવી જિંદગી

19 વર્ષની ઉંમરે જીવ ગુમાવનારો યુવક 4 લોકોમાં રહેશે જીવિત. પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લેતા 4 લોકોને મળ્યું નવું જીવન.

TNN 20 Sep 2020, 9:58 am
અમદાવાદ: અંગદાન મહાદાન છે. મૃત વ્યક્તિના સાજા અંગો દ્વારા જરૂરિયાતમંદને નવું જીવન મળી શકે છે. એક વ્યક્તિના અંગદાનથી ઓછામાં ઓછા સાત લોકોનું જીવન બચાવી શકાય છે. આવું જ કર્યું છે 19 વર્ષીય યુવકના પરિવારે. બ્રેન ડેડ કેવલ પટેલ (19 વર્ષ)ના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લેતાં 4 લોકોને નવું જીવન મળ્યું છે. બે કિડની, લિવર, સ્વાદુપિંડ અને હૃદય મૃતકના શરીરમાંથી કાઢીને 4 વ્યક્તિઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. શનિવારે ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને રિસર્ચ સેન્ટર (IKRDC)માં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. મૃત્યુ બાદ યુવક ચાર લોકોને જિંદગીની ભેટ આપતો ગયો છે.
I am Gujarat keval patel
19 વર્ષીય કેવલ પટેલ


19 વર્ષીય કેવલ પટેલ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. શહેરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેવલને બ્રેન ડેડ જાહેર કરાયો હતો. ત્યારબાદ તેના માતા-પિતાએ તેનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં કેવલ રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ધ્રાંગધ્રા રૂટ પરથી પસાર થતી વખતે કેવલના બાઈકને ટ્રકે ટક્કર મારી હતી. જે બાદ શહેરની એક હોસ્પિટલમાં તેને સારવાર માટે લવાયો હતો. જો કે, તેને બચાવી ના શકાયો. ત્યાર બાદ બ્રેન ડેડ કેવલને અંગદાન માટે IKRDC ખાતે લવાયો હતો.

આ વિશે વધુ વિગતો આપતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને રિસર્ચ સેન્ટર-ITSના ડાયરેક્ટર ડૉ. વિનિત મિશ્રાએ કહ્યું, "અમે કેવલના માતા-પિતાનું કાઉન્સિલિંગ કર્યું હતું. તેમને સમજાવ્યા કે ગ્લાસગો ટેસ્ટના પરિણામ મુજબ કેવલને ફરી જીવતો કરી શકાય તેવી સંભાવના નથી. કેવલના પરિવારજનો અને માતા-પિતા અંગદાનનું મહત્વ સમજ્યા. તેઓ સમજી ગયા કે અંગદાન દ્વારા કોઈક રીતે તો તેમનો દીકરો ચાર અલગ-અલગ લોકોના શરીરમાં જીવતો રહેશે." પરિવારની મંજૂરી બાદ કેવલના અંગોનું ચાર લોકોમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.

કેવલ પટેલ ગાંધીનગરની એક કોલેજમાં BScનો અભ્યાસ કરતો હતો. જો કે, લોકડાઉન થયા બાદ તે માતા-પિતા સાથે રહેવા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પોતાના ગામ સરવાલ ગયો હતો.

Read Next Story