એપશહેર

હવે બધી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવા આદેશ

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે હવે 30મી એપ્રિલ સુધી રાજ્યની તમામ ખાનગી અને સરકારી કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે, કોલેજો પોતાની જરૂરિયાત મુજબ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખી શકશે.

I am Gujarat 11 Apr 2021, 6:53 pm

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધુ વિકટ બની રહ્યું છે.
  • ગત 5 એપ્રિલથી રાજ્યની તમામ સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું હતું.
  • હવે, રાજ્યની તમામ કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાયું.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Gujarat University
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણની ગંભીર બની રહેલી સ્થિતિને પગલે રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. કોલેજો ઓનલાઈન શિક્ષણની પોતાની જરૂરિયાત મુજબ ચાલુ રાખી શકશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય સરકારે 18 માર્ચથી 10 એપ્રિલ સુધી રાજ્યના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જ્યારે 2 એપ્રિલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં 5મી એપ્રિલથી 1થી 9ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોક, ઓનલાઈન શિક્ષણ ચાલુ જ રાખવામાં આવ્યું છે. જ્યારે હવે રાજ્યની તમામ ખાનગી અને સરકારી કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરાયા હતા. તે પછી રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરાઈ હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.

શાળાઓ શરૂ થયા બાદ અનેક બાળકો સંક્રમિત થતા બાળકોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હતો તેવામાં રાજ્યના મહાનગરો ઉપરાંતની કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવાને લઈને અસમંજસની સ્થિતિ હતી. જોકે, આજે સરકાર દ્વારા માહિતી વિભાગના માધ્યમથી આ જાહેરાત કરવામાં આવી હતી કે હવે રાજ્યની તમામ ખાનગી અને સરકારી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી શિક્ષણ કાર્ય ઓફલાઇન ચલાવી નહીં શકાય.

Read Next Story